રાજ્યસભાની ચૂંટણીમાં રસાકસી જોવા મળી રહી છે. ત્યારે રાજ્યસભાની ચૂંટણીમાં કાંધલ જાડેજા ભાજપને સમર્થન આપશે. કુતિયાણાના NCPના ધારાસભ્ય ભાજપ સાથે જશે. ત્યારે રાજ્યસભાની ચૂંટણી પહેલા NCPના નેતા કાંધલ જાડેજા સાથે ભાજપના દંડક પંકજ દેસાઈની ઓફિસમાં ભાજપના નેતાઓ સાથે બેઠક યોજાઇ હતી.
કાંધલની ભાજપ સાથે મોટી મુલાકાત
કાંધલ જાડેજા રાજ્યસભામાં ભાજપને મત આપશે
કાંધલ જાડેજા સાથે ભાજપના નેતાની મુલાકાત
રાજ્યસભાની ચૂંટણી પહેલા મતો અંકે કરવા માટે ભાજપ સક્રિય થયું છે. NCP નેતા કાંધલ જાડેજા સાથે ભાજપના નેતા જીતુ વાઘાણી અને ગોરધન ઝડફિયાએ બેઠક કરી હતી. આ બેઠકમાં રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન મુદ્દે ચર્ચા થઇ હતી.
કાંધલ જાડેજાએ અગાઉ કહ્યું હતું કે, મારા વિસ્તારના વિકાસના કામને મહત્વ આપીશ. હજુ મારે મારા વિસ્તાર માટે ઘણું કરવાનું છે. રોડ-રસ્તા અને પાણીના અનેક કામ કરવાના છે.
આ અગાઉ પણ કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા બાદ NCPના કાંધલ જાડેજાએ પ્રદિપસિંહ જાડેજા સાથે મુલાકાત કરી હતી. પ્રદીપસિંહ સાથે મુલાકાત બાદ તેઓ વિધાનસભાના સત્રમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા.
શંકરસિંહે કહ્યું હતું કે, NCP કોંગ્રેસ સાથે રહેશે
બીજી તરફ મહારાષ્ટ્રમાં કોંગ્રેસ સાથે ગઠબંધન હોવાથી ગુજરાત NCPના વડા શંકરસિંહ વાઘેલાએ સ્પષ્ટ કર્યુ હતું કે, રાજ્યસભાની ચૂંટણીમાં NCP કોંગ્રેસના ઉમેદવારની સાથે રહેશે. જો કાંધલ જાડેજા પક્ષના વ્હિપનો અનાદર કરશે તો, પક્ષ કાર્યવાહી કરશે. ત્યારે શું કાંધલ જાડેજાએ શંકરસિંહના નિર્ણયને અવગણતા ભાજપને મત આપવાનો નિર્ણય લીધો છે?