વધુ એક આંદોલનકારી એટલે જીજ્ઞેશ મેવાણી. દલિતોના મસિહા બની આંદોલનો કર્યો. રાજ્ય અને દેશમાં છવાઈ ગયા એટલે રાજકારણમાં પદાર્પણ કરી દીધું. કોઈ પક્ષ સાથે ન છોડાયા પણ પડદા પાછળ કોંગ્રેસનું સમર્થન લઈ ધારાસભ્ય બની ગયા. પણ કહેવાય છે ને સત્તાની ભૂખ ક્યારેય સંતોષાતી નથી. તેથી જ હવે જીજ્ઞેશ મેવાણીને ધારાસભ્ય નહીં પણ સાંસદ બનવું છે.
આક્રમક ભાષણથી ભાજપ અને મોદી સરકારને હચમચાવવાનું શરૂ કર્યું
એક એવો નવયુવાન કે જે ઉના દલિત કાંડથી દલિતોના મસીહા બની ઉભરી આવ્યો. ઉના કાંડ વખતે તેણે દલિતો માટે અવાજ ઉઠાવ્યો અને દલિતોમાં છવાઈ ગયો. જો કે એ સવાલ છે કે જે મુદ્દાને કારણે જીજ્ઞેશ મેવાણી માર્કેટમાં આવ્યા તે મુદ્દાને કેટલો ન્યાય મળ્યો. પરંતુ ઉના કાંડે જીજ્ઞેશ મેવાણીને હીરો બનાવી દીધો તેમાં કોઈ બેમત નથી. ગુજરાતમાં છવાઈ ગયા બાદ મેવાણીએ રાજ્ય બહાર દલિતોના નામે રાજકારણ શરૂ કર્યું. દલિતોના પ્રશ્ને આંદોલનો શરૂ કર્યા. પોતાના આક્રમક ભાષણથી ભાજપ અને મોદી સરકારને હચમચાવવાનું શરૂ કર્યું. તો દેશભરના દલિતોએ પણ મનભરીને પોતાના આ યુવા આંદોલનકારીને સહયોગ આપ્યો. ધીરે ધીરે આ આંદોનકારી કોંગ્રેસના સહયોગથી નેતા બની ગયો. 2017માં બની ગયો અપક્ષનો ધારાસભ્ય.
જીજ્ઞેશ મેવાણી લડી શકે છે કચ્છમાંથી લોકસભા ચૂંટણી
પરંતુ હવે જીજ્ઞેશ મેવાણીને ગુજરાતના નેતા નહીં પણ દેશના નેતા બનવું છે. સંસદમાં પોતાનો મગ મુકવો છે. તેથી સુત્રો પાસેથી માહિતી મળી રહી છે કે જીજ્ઞેશ મેવાણીએ કચ્છ લોકસભા બેઠક પર પોતાની નજર સ્થિર કરી છે. કચ્છ SC માટે અનામત બેઠક છે. ત્રણ દાયકાથી ભાજપનો આ બેઠક ગઢ રહી છે. દલિત, પાટીદાર, ક્ષત્રિય અને મુસ્લિમ સમાજની નોંધપાત્ર સંખ્યા અહીં વસે છે. પરંતુ નલિયાકાંડ પછી ભાજપ પ્રત્યે નારાજગી વધી છે. કોંગ્રેસ અહીં ઉમેદવારની પસંદગી અને જ્ઞાતિ સમીકરણો સંતુલિત કરવામાં કાળજી રાખે તો તેના માટે થોડીક તક છે. ભાજપ પાસે કોઈ મજબૂત દલિત ઉમેદવાર નથી. તેવા સંજોગોમાં સંજોગોમાં કોંગ્રેસના સમર્થનથી અપક્ષ ધારાસભ્ય અને દલિત નેતા જિજ્ઞેશ મેવાણી અહીંથી ઉમેદવારી કરે તેવી શક્યતા જોવા મળી રહી છે. મેવાણીની હાજરી ગેમ ચેન્જર સાબિત થઈ શકે.
ભાતીગળ સંસ્કૃતિ ધરાવતો આ સરહદી જિલ્લો વિસ્તારની દૃષ્ટિએ દેશનો સૌથી મોટો જિલ્લો છે. ભૂકંપ પછી મુન્દ્રા, ગાંધીધામમાં વધેલી ઉદ્યોગોની હાજરી અને પ્રવાસનની તકોને લીધે એક સમયનો આ વંચિત વિસ્તાર હવે સમૃદ્ધિનું પ્રતિક ગણાવા લાગ્યો છે. 2014માં ભાજપના વિનોદ ચાવડા અઢી લાખથી પણ વધુ મતોથી વિજયી બન્યા હતા. પરંતુ જો દલિત આંદોલનકારી જીજ્ઞેશ મેવાણી કચ્છમાંથી ઉમેદવારી કરે તો ભાજપ માટે થોડી મુશ્કેલી સર્જાઈ શકે. જો કે મતદારોનો મિજાજ વ્યક્તિ તરફી રહે છે કે પછી મોદી તરફી તે જોવું રહ્યું.