મારી ભાજપમાં જોડાવાની વાત માત્ર અફવા છે: MLA હર્ષદ રીબડીયા
જૂનાગઢના વિસાવદરના ભલગામના એક કાર્યક્રમમાં વિસાવદરના MLA હર્ષદ રીબડીયાએ ચોંકાવનારો દાવો કર્યો છે. જેમાં હર્ષદ રીબડીયાએ જણાવ્યું કે, '2017ની રાજ્યસભાની ચૂંટણીમાં 40 કરોડની ભાજપમાંથી ઓફર મળી હતી છતાં મે પાર્ટી નથી છોડી.' વિસાવદરના ભલગામમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમ્યાન MLA હર્ષદ રીબડીયાનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે.
કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ જૂનાગઢના વિસાવદરના ભલગામમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમ્યાન મળેલી બેઠકમાં હુંકાર કરીને ભાજપને જડબાતોડ જવાબ આપ્યો હતો. તેઓએ હુંકાર કરતા જણાવ્યું કે, 'મારી ભાજપમાં જોડાવાની વાત માત્ર અફવા છે. રાજ્યસભાની ચૂંટણીમાં અમને 40-40 કરોડ આપતા હતા, રાજ્યસભાની ચૂંટણીમાં, અત્યારે કોઇ રૂપિયો આપવાનું છે તમને, 40 કરોડ આપતા હતા છતાંય આ સિંહ કોઇ દિવસ ખડ નો ખાઈ. આપણું મનોબળ તોડવા માટેની જે અફવાઓ છે એમાં ક્યાંય આવતા નહીં.' જો કે, તેમના આ નિવેદન બાદ બેઠકમાં ભારે હાસ્ય ફેલાયું હતું.
જૂનાગઢમાં એક બેઠક દરમિયાન હર્ષદ રીબડીયાએ ખુલાસો કર્યો
મહત્વનું છે કે, જેમ-જેમ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તેમ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. થોડા દિવસ પહેલાં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના એક કદાવર નેતા અને ધારાસભ્ય એ કોંગ્રેસ છોડવાની તૈયારીમાં છે તેવા એક સમાચાર વહેતા થયા હતા. પરંતુ જૂનાગઢમાં એક બેઠક દરમિયાન કોંગ્રેસ ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ ખુલાસો કરીને મોટું નિવેદન આપ્યું છે.
આ મામલે હજુ સુધી ભાજપની કોઇ પ્રતિક્રિયા સામે નથી આવી
જો કે, તમને જણાવી દઇએ કે, હર્ષદ રીબડીયાએ આ મામલે કોઇ પુરાવો તો રજૂ નથી કર્યો. સાથે આ મામલે ભાજપની પણ કોઇ પ્રતિક્રિયા સામે નથી આવી. પરંતુ આગામી સમયમાં ભાજપ તરફથી કોઇ પ્રતિક્રિયા આવે તેવી શક્યતા છે. પરંતુ વિધાનસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે ત્યારે એવા સમયે જ હર્ષદ રીબડીયાના આ નિવેદનથી રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. આ સાથે હર્ષદ રીબડીયાના આ નિવેદન પરથી એમ કહી શકાય કે કદાચ ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પોતાની કોંગ્રેસ પક્ષ પ્રત્યેની વફાદારી દર્શાવી આગામી સમયમાં પોતાને ટિકિટ આપવામાં આવે તેવી પેરવીના પણ સવાલો ઉઠી રહ્યાં છે. આ સાથે એમ કહી શકાય કે કોંગ્રેસમાં મજબૂત સ્થાન મેળવવા માટેના પણ આ રાજકીય કાવાદાવા હોઇ શકે છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ મામલે ભાજપ શું પ્રતિક્રિયા આપે છે અને શું આગામી સમયમાં હર્ષદ રીબડીયા આ અંગે કોઇ પુરાવા રજૂ કરશે કે કેમ?