વરસાદ પછી ગુજરાતના મોટા શહેરોમાં રોગચાળાથી હાહાકાર મચી ગયો છે. જ્યારે રાજકોટમાં દિવસે અને દિવસે રોગચાળો વધુ અને વધુ વકરી રહ્યો છે. શહેરમાં વધી રહેલા રોગચાળાને લીધે છેલ્લા 2 દિવસમાં 3 બાળકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે હજારો લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે 3 બાળકોનાં મોત મામલે ભાજપનાં ધારાસભ્ય ગોવિંદ પટેલે વિવાદસ્પદ નિવેદન આપ્યું છે.
ધારાસભ્ય ગોવિંદ પટેલનું ચોંકાવનારૂ નિવેદન
એક બાજુ રાજકોટમાં રોગચાળો વકરી રહ્યો છે. લોકોના મોત થઇ રહ્યાં છે ત્યારે બીજી બાજુ રાજકોટના ધારાસભ્ય બેજવાબદારી ભર્યું નિવેદન આપી રહ્યાં છે. રાજકોટમાં બાળકોના મોતને લઇ ધારાસભ્ય ગોવિંદ પટેલે ચોંકાવનારૂ નિવેદન આપતા કહ્યું કે, જીવન મરણ ભગવાનના હાથમાં છે. આ કોઇના નિમિત્ત બનતું હોય છે. તેમાં ક્યારેક આવો રોગ પણ નિમિત્ત બને છે. બાળકોના મોતના મામલે ધારાસભ્ય ગોવિંદ પટેલનું આ બેજવાબદારી ભર્યા નિવેદનને લઇ સવાલો ઉઠી રહ્યાં છે. અને રાજકોટ વાસીઓને ધારાસભ્યએ ભગવાન ભરોશે મૂકી દીધા છે.
જ્યારે ગોવિંદ વધુમાં જણાવ્યું કે, અતિવૃષ્ટીના કારણે અને ગટરો ઉભરાઈ જવાના કારણે રોગચાળાની સ્થિતિ સર્જાઈ છે. સરકાર સતર્ક છે. આજે સરકાર દ્વારા હાઇપાવર કમિટીની મિટિંગ રખાઈ છે. મારા અનુભવે આપણે જે જે રજૂઆતો કરી છે તે મુદ્દે સરકાર એક્શન લઈ રહી છે. આજે રાજકોટની હોસ્પિટલમાં જે કાઈ પણ ખામીઓ હશે તે દૂર કરાશે. રોગચાળો હોય કે અકસ્માત હોય કે પછી હાર્ટ એટેક હોય આ તમામ બાબતો મૃત્યુ માટે નિમિત્ત બનતી હોય છે બાકી જન્મ અને મૃત્યુ ભગવાનના હાથમાં છે.
તો આરોગ્ય સચિવ જયંતિ રવિએ પણ આજે રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી, પરંતું ગોવિંદ પટેલના વિવાદાસ્પદ નિવેદન મુદ્દે આરોગ્ય કમિશનરે મૌન સેવ્યું હતું. આરોગ્ય કમિશનરને જ્યારે ગોવિંદ પટેલના 'જીવન અને મરણ ભગવાનના હાથમાં છે' તેવા નિવેદન મુદ્દે પૂછવામાં આવ્યું તો તેઓએ આ અંગે કોઇ જવાબ ન આપ્યો અને સવાલને ટાળી દીધો હતો.
જંયિત રવિએ વધી રહેલા રોગચાળાને કાબૂમાં લેવા પર ચર્ચા કરી હતી. આ સાથે જ કહ્યું હતું કે સફાઈને પ્રધાન્ય આપવું જોઈએ. જેથી રોગચાળા પર કાબૂ મેળવી શકાય. રાજકોટમાં છેલ્લા 1 મહિનામાં માત્ર જુલાઈમાં 13 હજારથી વધુ દર્દીઓએ સારવાર લીધી હોવાનો અહેવાલ છે. જુલાઈ મહિનામાં સિવિલ હોસ્પિટલમાં ઓપીડી 86326 અને આઈપીડી 5468 નોંધાઈ હતી.
બાળકો હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેમના મૃત્યુ થયા: સિવિલ સર્જન મનીષ મહેતા
શહેરની સિવિલ હોસ્પિટલમાં જુલાઇ માસમાં 86 હજાર દર્દીઓએ સારવાર લીધી હતી. તો સાથે જ 5 હજાર 468 દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવાની પણ ફરજ પડી હતી. ત્યારે છેલ્લા 24 કલાકમાં સારવાર દરમિયાન ત્રણ બાળકોના મોત નિપજ્યા હોવાનું પણ સામે આવ્યું છે.
ત્યારે આ મામલે સિવિલ સર્જન મનીષ મહેતાનું કહેવું છે કે, આ ત્રણેય બાળકોની પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી જે બાદ તેમને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. બાળકો સિવિલ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેમના મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું છે.