લોકોને પોતાના જનપ્રતિનિધિ પાસે મદદની અપેક્ષા હોય છે. અરે મદદ નહીં તો દિલાસો આપતાં બે શબ્દો પણ સાંભળવા મળે તેવી આશા હોય છે. પરંતુ રાજકોટ શહેરમાં વધી રહેલા રોગચાળાને કારણે છેલ્લાં 2 દિવસમાં 3 બાળકોનાં મોત નિપજ્યાં છે અને હજારો લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યારે આવાં માહોલમાં જનતાનાં એક સેવક તરીકે ધારાસભ્ય ગોવિંદ પટેલે સમસ્યાનું મૂળ શોધવાના બદલે લોકોને ધાર્મિક કથા સંભળાવી જેનાં કારણે નાગરિકોમાં રોષ જોવાં મળી રહ્યો છે. ત્યારે આખરે શું છે આ સમગ્ર ઘટના.
રાજ્યમાં ભારે વરસાદ બાદ વરસાદે તો વિરામ લીધો છે, પરંતુ રાજ્યનાં અનેક વિસ્તારોમાં લોકો રોગચાળાના ભરડામાં ભરાયા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ જાણે દર્દીઓથી ઉભરાઇ રહી છે. રાજકોટમાં છેલ્લાં 1 મહિનામાં માત્ર જુલાઈ મહિનામાં જ 13 હજારથી વધુ દર્દીઓએ સારવાર લેવી પડી છે. શહેરમાં વધી રહેલા રોગચાળાને કારણે છેલ્લાં 2 દિવસમાં 3 બાળકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે હજારો લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રોગચાળાને લઈને સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે.
ઘણીક હોસ્પિટલોમાં તો બેડ ખૂટી પડતાં દર્દીઓને જમીન પર જ સુવડાવીને સારવાર આપવામાં આવી રહી છે. એક તરફ જન્માષ્ટીનો તહેવાર શરૂ થઈ ગયો છે અને બીજી તરફ રોગચાળાએ માજા મૂકી છે. ત્યારે રાજકોટ આરોગ્યતંત્ર આ રોગચાળાને ડામવામાં નિષ્ફળ ગયું હોવાની બૂમ ઊઠી છે. પરંતુ હોસ્પિટલમાં બાળકો મૃત્યુ પામવાની ઉપરાછાપરી ઘટના બાદ રાજકોટ સિવિલ સર્જન આ રીતે પોતાનો બચાવ કરી રહ્યાં છે.
રાજકોટ સિવિલ સર્જનને પોતાની હોસ્પિટલમાં કોઈ બાળકનું મૃત્યું થયુ હોય તેવું લાગતું નથી. ત્યારે ચાલો એક સરકારી અધિકારી તરીકે તેઓ રક્ષણાત્મક વાત કરી સ્વબચાવ કરતા હોય તે માની લઈએ પરંતુ જેને જનતાઓ પોતાના નાગરિક તરીકેના હિતોના રક્ષણ માટે ચૂંટીને વિધાનસભામાં મોકલ્યાં છે તેવાં રાજકોટ પૂર્વના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ પણ સરકારની નિષ્ફળતા અને તંત્રની બેદરકારી છૂપાવા લાગ્યાં.
રાજકોટમાં વ્યાપેલા રોગચાળા અને ભોગ બનતા બાળકોનાં કારણોની ખરી તપાસ કરવાની વાત તો દૂર રહી. ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે રોગચાળા અને બાળકોનાં મોત માટે ભગવાનની ઈચ્છાને કારણભૂત ગણાવી દીધી. તેમણે કહ્યું કે, જન્મ અને મૃત્યુ એ ભગવાનનાં હાથની વાત છે. તે બાળકોનું આયુષ્ય કદાચ એટલું જ લખ્યું હશે. તમે પણ સાંભળો એક જનપ્રતિનિધિની આ ધાર્મિક વાર્તા કદાચ ગળે નહીં ઉતરે.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બાળકોનાં મૃત્યુ માટે તેમણે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે જે બેજવાબદારી ભર્યું નિવેદન આપ્યું તેના કારણે નાગરિકોમાં રોષ જોવાં મળી રહ્યો છે. ધારાસભ્ય ગોવિંદ પટેલનાં વિવાદાસ્પદ નિવેદનને લઇ કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડાએ નિશાન સાધ્યું છે તેમણે કહ્યું કે, ગોવિંદભાઈ પટેલ ચોમાસામાં રોગચાળો ડામવામાં નિષ્ફળ ગયેલા આરોગ્ય વિભાગનો બચાવ કરવા ભગવાનનાં નામનો સહારો લઈ રહ્યાં છે.
ધારાસભ્યનાં બેજવાબદાર નિવેદન બાદ છેડાયેલી ચર્ચાઓ વચ્ચે રાજકોટ શહેરમાં વધી રહેલા રોગચાળાની સમીક્ષા કરવા આરોગ્ય સચિવ જયંતિ રવિએ રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી. આરોગ્ય કમિશનરને ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલનાં બેજવાબદાર નિવેદન અંગે પૂછવામાં આવ્યું તો તેમણે આ સવાલનો જવાબ આપવાનું ટાળી દીધું હતું. પરંતુ સવાલ એ ઊભા થાય છે કે, શું રોગચાળા મુદ્દે આરોગ્ય વિભાગની કોઇ જવાબદારી નથી? શું ભગવાન ભરોસે જ છે રાજકોટનાં લોકોનું સ્વાસ્થ્ય? બધું ભગવાન ભરોસે છે તો પછી આરોગ્ય તંત્રની જરૂર શું છે?