લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ એક બીજા પર આક્ષેપો કરી રહ્યા છે. ત્યારે વાવના ધારાસભ્ય ગેનીબેને શંકર ચૌધરી પર પણ આકરા પ્રહાર કર્યા હતા.
આજે વાવના ધારાસભ્ય ગેનીબેને અલ્પેશ ઠાકોરને એક નિવેદન પર વળતો જવાબ આપ્યો હતો. ત્યારે ગેનીબેન ઠાકોરે શંકર ચૌધરી પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે ભાભરના કુવાળા ગામે જાહેરસભાને સંબોધતા શંકર ચૌધરી પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, શંકર ચૌધરી કાવા દાવા કરી મંત્રી બનવા માગે છે. ગેનીબેને શંકર ચૌધરીને કાવાદાવા કરનાર ગણાવ્યા.
ગેનીબેને લોકોને અપીલ કરી કે જેવી રીતે વિધાનસભાની ચૂંટણીમાં શંકર ચૌધરીને ઘર ભેગા કર્યા હતા તેવી રીતે જ પરબત પટેલને પણ ઘર ભેગા કરજો. સાથે જ કોંગ્રેસના ઉમેદવાર પરથી ભટોળને મત આપી વિજયી બનાવવા માટે લોકોને અપીલ કરી હતી.
ગેનીબેન ઠાકોરે અલ્પેશને સણસણતો જવાબ આપ્યો હતો
અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપતાં સમયે કોંગ્રેસના ધારાસભ્યો પર રૂપિયા લેવાનો આક્ષેપ કર્યો હતો. જે મામલે ગેનીબેન ઠાકોરે અલ્પેશ ઠાકોરને સણસણતો જવાબ આપ્યો હતો. ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે કોઈપણ ધારાસભ્યએ પરથીભાઈ પાસેથી નાણા નથી લીધા. પૈસા મામલે ગેનીબેને અકડાઈને જવાબ આપતાં કહ્યું કે મારા સહિત અન્ય 5 ધારાસભ્યોએ નાણા લીધા હોય તો અમને ભગવાન પહોંચે. અલ્પેશ ઠાકોર જે આક્ષેપ લગાવતા હતા તે ખોટા આક્ષેપ કરતા હતા.