રાધનપુરનાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું સભ્ય પદ રદ કરવા માટે કોંગ્રેસે વિધાનસભાના અધ્યક્ષને રજૂઆત કરી છે. ત્યારે હજુ સુધી આ અંગે કોઈ જ કાર્યવાહી નાં થતા વિધાનસભાના દંડક અશ્વિન કોટવાલે અલ્પેશ ઠાકોરને બચાવવા માટે કરામત કરાતી હોવાનો આક્ષેપ કર્યો છે.
અલ્પેશ ઠાકોરનું સભ્ય પદ રદ કરવા માટે દંડક સહીત કોંગ્રેસ અગ્રણીઓએ રજૂઆત કર્યા બાદ વિધાનસભાના અધ્યક્ષે દંડક અશ્વિન કોટવાલને રજીસ્ટર એડીથી પત્ર લખ્યો હતો.
ત્યારે આ પત્ર મોકલ્યાના છ દિવસ થયા છતાં હજુ પત્ર ના મળતા અશ્વિન કોટવાલે ગંભીર આક્ષેપો કર્યા છે. વિધાનસભાના અધ્યક્ષની ઓફિસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. આજ સાંજ સુધી પત્ર ના મળે તો આવતીકાલે અધ્યક્ષને રૂબરૂ રજૂઆત કરવા જવાના હોવાનું તેમણે જણાવ્યું હતું.
અરજીમાં કોંગ્રેસ દંડકની સહી ન હોવાથી અધ્યક્ષે આપી હતી નોટિસ
અલ્પેશ ઠાકોરનું સભ્યપદ રદ કરવા માટે કોંગ્રેસ દ્વારા વિધાનસભા અધ્યક્ષને અરજી કરવામાં આવી હતી. જો કે અરજીમાં કોંગ્રેસ દંડકની સહી ન હોવાથી અધ્યક્ષે દંડક અશ્વિન કોટવાલને નોટિસ ફટકારી અને 15 દિવસમાં જવાબ રજૂ કરવા કહ્યું હતું.
વિધાનસભાના અધ્યક્ષે પબુભાનું ધારાસભ્ય રદ્દ નથી કર્યું: કોંગ્રેસ
દ્વારકા વિધાનસભા ચૂંટણી રદ કરવા બાદ પણ પબુભા માણેકનું ધારાસભ્ય પદ રદ ન કરતાં કોંગ્રેસે વિધાનસભા અધ્યક્ષ પર સવાલ ઉઠાવ્યા હતા. પબુભાના લાભ અટકાવીને ખોટો દેખાડો કરવાનો આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે પબુભા માણેકનું ધારાસભ્ય પદ રદ થવું જોઈએ. સાથે જ અલ્પેશ ઠાકોરનું ધારાસબ્ય રદ કરવાની અરજી મામલે જણાવ્યું કે વિધાનસભાના અધ્યક્ષ ભેદભાવ કરી રહ્યા છે. નીતિ નિયમોને ધ્યાને રાખીને કામ કરવું જોઈએ.