લૉકડાઉન 4.0ની તૈયારીઓ થઇ રહી છે, આ અંગે પ્રધાનમંત્રીએ પણ જાહેરાત કરી હતી કે આ લૉકડાઉન નવા રંગરૂપમાં હશે. ત્યારે આ લૉકડાઉન પહેલા જ મિઝોરમ સરકારે કોરોના વાયરસના વધતા જતા સંક્રમણને રોકવા માટે એક મોટું પગલું ભર્યું છે. મિઝોરમમાં કેન્દ્રની ઘોષણા થાય તે પહેલાં લોકડાઉન 31 મે સુધી લંબાવવામાં આવ્યું છે.
મિઝોરમ સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
31 મે સુધી લૉકડાઉન લંબાવાયું
આસામ સરકારે પણ કેન્દ્ર સરકારને લખ્યો પત્ર
મિઝોરમ સરકારે કોરોના વાયરસના વધતા જતા સંક્રમણને રોકવા માટે એક મોટું પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારની જાહેરાત પૂર્વે મિઝોરમમાં લૉકડાઉન 31 મે સુધી વધારવાની જાહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મિઝોરમમાં કોરોના વાયરસના સંક્રમણનો પ્રથમ કેસ 25 માર્ચે આવ્યો હતો. ત્યારબાદ એક પણ નવો કેસ આવ્યો નથી. બીજી તરફ, આસામ સરકારે પણ કેન્દ્રને પત્ર લખીને તાકીદ કરી છે કે 18 મેથી લોકડાઉન વધુ બે અઠવાડિયા માટે લંબાવવામાં આવે.
મિઝોરમમાં હાલમાં કોઇ કોરોના કેસ નહીં
મિઝોરમમાં હાલમાં કોરોના વાયરસના સંક્રમણનો કોઈ સક્રિય કેસ નથી. આખા રાજ્યમાં એકમાત્ર કેસ હતો તે 50 વર્ષનો પાદરી જે એમ્સ્ટરડેમથી પાછો ફર્યા હતાં તે હતો. જોકે હવે તે પણ સ્વસ્થ છે અને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. મિઝોરમના આરોગ્ય પ્રધાન ડૉ. આર. લાલથંગલિયાનાએ અગાઉ કહ્યું હતું કે રાજ્ય સરકારે કોરોના વાયરસ સામેની લડત માટે સંકલન અને તબીબી સુવિધાઓને મજબૂત બનાવવા માટે ખાનગી હોસ્પિટલોના સહયોગથી એક તબીબી અભિયાન ટીમની રચના કરી છે. તે જ સમયે, સરકારે આસામ અને ત્રિપુરાની સરકારથી આગ્રહ કર્યો કે લૉકડાઉનના સમયગાળા દરમ્યાન આંતરરાજ્ય સીમાઓ પર લોકોની અવરજવર રોકી દેવાય.
આસામે પણ લૉકડાઉન વધારવા માટે કેન્દ્રને પત્ર લખ્યો હતો
આ દરમિયાન, આસામ સરકારે પણ રાજ્યમાં લોકડાઉન વધારવાની ઇચ્છા વ્યક્ત કરી છે. મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે શુક્રવારે કહ્યું હતું કે રાજ્યએ કેન્દ્રને એક પત્ર લખીને તાકીદ કરી છે કે લૉકડાઉન 18 મેથી વધુ બે અઠવાડિયા માટે લંબાવવામાં આવે. કોરોના વાયરસને કારણે લાગુ લૉકડાઉનનો ત્રીજો તબક્કો 17 મેના રોજ સમાપ્ત થવાનો છે. સોનોવાલે જણાવ્યું હતું કે લોકડાઉન અવધિ વધારવા માટે શુક્રવાર સુધીમાં તમામ રાજ્યોએ પોતાનો જવાબ આપવાનો હતો અને આસામ સરકારે પહેલેથી જ પોતાનો મત કેન્દ્રને પહોંચાડ્યો છે. તેમણે કહ્યું કે અમે કેન્દ્રને વધુ બે અઠવાડિયા માટે લૉકડાઉન લંબાવાની અપીલ કરી છે. આ સંદર્ભમાં અમે તેમને અમારા વિગતવાર વિચારો મોકલ્યા છે.
મહારાષ્ટ્ર સરકારે મુંબઇ સહિતના તમામ હોટસ્પોટમાં લૉકડાઉન 31 મે સુધી વધાર્યુ
આ પહેલાં મહારાષ્ટ્ર સરકારે મુંબઈ સહિતના તમામ હોટ સ્પોટ વિસ્તારોમાં 31 મે સુધી લૉકડાઉન લંબાવી દીધું છે. મુંબઇ મેટ્રોપોલિટન રિજન, પૂણે, સોલાપુર, ઔરંગાબાદ અને માલેગાંવમાં લૉકડાઉન લંબાવી દેવાયું છે. મહારાષ્ટ્રમાં, કોરોનાને કારણે મૃત્યુઆંક 1000ને વટાવી ગયો છે. એક દિવસ અગાઉ ગુરુવારે જ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠક દરમિયાન આ સ્થળોએ પ્રતિબંધો વધારવાની સંભાવના અંગે ચર્ચા કરવામાં આવી હતી.