જમાલપુરમાં બે દિવસ પહેલાં એક નિર્દોષ મહિલાને ટોળાએ ભેગા થઈ મારી હતી. ભરૂચ અને દાણીલીમડામાં પણ મહિલા અને પુરુષ પર હુમલોની ઘટના બની હતી.
બાળ તસ્કરીના વાયરલ થયેલા વીડિયોના કારણે નિર્દોષોને સજા
લોકોએ કાયદો હાથમાં ન લઇને શંકાસ્પદને પોલીસને સોંપવા જોઇએ
અજાણ્યા લોકોને માર મારીને કાયદો હાથમાં ના લોઃ પોલીસની અપીલ
બાળકોને ઉઠાવતી ગેંગ સક્રિય થઇ છે તે વાતની દહેશત આજે શહેરના તમામ ખૂણે જોવા મળી રહી છે, જેના કારણે ડરનો માહોલ સર્જાયો છે. શહેરમાં ડરના માહોલ વચ્ચે નિર્દોષ લોકોને પણ જાહેરમાં માર પડતો હોવાની ઘટનાઓ સામે આવી છે. બાળકોનાં અપહરણ કરવા માટે આવ્યાં છે તે વાતની ખાતરી કર્યા વગર ઉશ્કેરાયેલાં ટોળાં અજાણ્યા પુરુષ અને સ્ત્રીને જાહેરમાં માર મારીને અધમૂઆ કરી રહ્યા છે. બે દિવસ પહેલાં જમાલપુરમાં એક અજાણી મહિલાને બે શખ્સોએ બાળકોની તસ્કરી કરવા માટે આવી છે તેવું વિચારીને માર માર્યો હતો. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર અમદાવાદમાં બાળકોને ઉઠાવતી કોઇ પણ ગેંગ સક્રિય થઇ નથી અને જો કોઇ વ્યક્તિ શંકાસ્પદ લાગે તો તેના પર હુમલો કરીને કાયદો હાથમાં લેવાની જગ્યાએ પોલીસને જાણ કરવી જોઇએ.
જો તું અહીંયાં દેખાઇશ તો તને જાનથી મારી નાખીશ : જમાલપુર બ્રિજ નીચે થઇ હતી બબાલ
બહેરામપુરા વિસ્તારમાં રહેતા અને જમાલપુરબ્રિજ નીચે શાકભાજીનો ધંધો કરતા જાવેદ શેખે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં મુનિ શેખ સહિત બીજા અન્ય શખ્સો વિરુદ્ધ માર માર્યાની ફરિયાદ કરી છે. થોડા દિવસ પહેલાં જમાલપુરબ્રિજ નીચે જાવેદ ધંધો કરતો હતો ત્યારે શાકભાજીનો ધંધો કરતો મુનિ શેખ કોઇ મહિલા સાથે બબાલ કરી રહ્યો હતો. જોતજોતામાં મામલો એટલી હદે બીચક્યો કે મુનિએ મહિલાને માર મારવાનું શરૂ કરી દીધું હતું. આ ઘટના જોઇને મુનિ પાસે ઊભેલા લોકોએ પણ મહિલાને ઢોર માર માર્યો હતો. જાવેદે વચ્ચે પડીને સમગ્ર મામલાને રફેદફે કર્યો હતો, જ્યારે મુનિએ મહિલાને ધમકી આપી હતી કે જો તું અહીંયાં દેખાઇશ તો તને જાનથી મારી નાખીશ ગાયકવાડ હવેલી પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
લોકોએ કાયદો હાથમાં ન લઇને શંકાસ્પદને પોલીસને સોંપવા જોઇએ
ઉલ્લેખનીય છે કે ગેંગ દ્વારા બાળકોની ઉઠાંતરી કરવામાં આવે છે તેવા અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યા છે. રેલવે સ્ટેશન પરથી તો ક્યાંક સ્કૂલ નજીકથી બાળકોની ઉઠાંતરી કરાતી હોવાનું સામે આવી રહ્યું છે. આવા કિથત વીડિયોના કારણે લોકો હિંસક થઇ રહ્યા છે અને અજાણ્યા પુરુષ અને સ્ત્રી પર હુમલો કરતાં સહેજ પણ અચકાતા નથી. માત્ર શંકા અને વહેમના આધારે લોકો પણ હિંસક થતા જોવા મળી રહ્યા છે. લોકો આવા શંકાસ્પદ લોકોને પોલીસને સોંપવા કરતાં પોતે કાયદો હાથમાં લઈ હિંસક બની રહ્યા છે.
થોડા દિવસ અગાઉ દાણીલીમડામાં પણ મહિલાઓને પડ્યો હતો માર
થોડા દિવસ પહેલાં દાણીલીમડામાં બાળક ચોરની માત્ર આશંકાના લીધે એક વ્યક્તિને ઢોર માર મારવામાં આવ્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં લોકોએ વાઈરલ કર્યો હતો. આ સિવાય ભરૂચમાં પણ આવી જ ઘટના સામે આવી હતી, જેમાં બાળકોના અપહરણનો વહેમ રાખીને મહિલાઓને માર મારવામાં આવ્યો હતો. સ્થાનિકોના ટોળાએ ભરૂચ એપીએમસી માર્કેટમાં બે મહિલાઓને જાહેરમાં માર માર્યો હતો. આ મારામારીની ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. આ સિવાય શાહપુર સહિત અલગ અલગ જગ્યા પર અજાણ્યા લોકોને શંકાના આધારે મારવામાં આવી રહ્યા છે.
અજાણ્યા લોકોને માર મારીને કાયદો હાથમાં ના લોઃ પોલીસની અપીલ
સેક્ટર-રના જોઇન્ટ પોલીસ કમિશનર ગૌતમ પરમારે જણાવ્યું છે કે જો કોઇ વ્યક્તિ શંકાસ્પદ લાગે તો તરત જ પોલીસને જાણ કરી દેવી જોઇએ. શંકાસ્પદ વ્યક્તિને સમજ્યા વગર માર મારીને કાયદો હાથમાં લેવો જોઇએ નહીં. પોલીસ હવે કાયદો હાથમાં લેનાર વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેમને કાયદાનો પાઠ ભણાવશે.