કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યા છે. અમિત શાહ અમદાવાદ અને ગાંધીનગર ખાતે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. જેને લઇને અમદાવાદ ખાતે મિશન મિલિયન ટ્રી અભિયાનનું સમાપન કરાવ્યું. સાયન્સ રોડ પર આવેલા વર્ગીસ ટાવર ખાતે 108 વડના વૃક્ષો વાવી અભિયાનનું સમાપન કર્યું છે. આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને અમદાવાદના મેયર ઉપસ્થિત રહ્યાં.
ઉલ્લેખનીય છે કે અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશન દ્વારા 5 જૂનના રોજ આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં લીમડો, પીપળો અને જાંબુડાના વૃક્ષોનું વધુ વાવેતર કરવામાં આવ્યું છે. જેને લઇને 120 પ્લોટમાં અર્બન ફોરેસ્ટ શરૂ કરવામાં આવ્યાં. જ્યારે વસ્ત્રાલ ખાતે 20 એકર જગ્યામાં વન અભ્યારણ શરૂ કરાયાં.
અમિત શાહના નિવાસસ્થાને મુલાકાતનો દોર
આજરોજ સવારે અમિત શાહના નિવાસ સ્થાને પેટાચૂંટણીને લઇને કવાયત હાથ ધરાઇ હતી. રાજ્યની આગામી પેટાચૂંટણીને લઇને અમિત શાહના નિવાસસ્થાને ધમધમાટ જોવા મળ્યો હતો. જેમાં પૂર્વ ધારાસભ્ય તેજશ્રીબેન પટેલ અને રમિલાબેન દેસાઇએ અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે ભરતસિંહ ડાભી સાંસદ બનતા ખેરાલુ સીટ ખાલી પડી છે. અમિત શાહ અને રમિલાબેન દેસાઇ વચ્ચે અડધા કલાકથી વધુ બેઠક ચાલી હતી. જ્યારે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પણ અમિત શાહના ઘરે પહોંચ્યા હતા.