કલમ 370ને રદ કરીને જમ્મૂ-કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ બનાવનાનો ફેંસલો મોદી સરકારે ભલે સોમવારે લીધો હોય પરંતુ તેની પટકથા ઘણા લાંબા સમયથી લખવામાં આવી રહી હતી. એ વાત અલગ છે કે, સંસદમાં આ વાત જાહેર થઈ ત્યાં સુધી કોઈને આ પગલાનો અણસારો પણ ન મળ્યો. કેમ કે ગૃહમંત્રી અમિત શાહે દરેક મુદ્દે પૂરતી તૈયારી સાથે એક એક ડગલું આગળ માંડ્યું હતું. તે જોઈએ આ અહેવાલમાં.
હકીકતમાં આ ઓપરેશનની અસલી શરૂઆત અમિત શાહે ગૃહમંત્રી બન્યા બાદ કાશ્મીર ખીણની મુલાકાત લીધી ત્યારથી જ શરૂ થઈ ગઈ હતી. તે પછી જૂન મહિનાના ત્રીજા સપ્તાહમાં જમ્મૂ-કાશ્મીરનાં નવા સચિવના રૂપમાં છત્તીસગઢ કેડરના 1987 બેચના આઈએએસ અધિકારી બીવીઆર સુબ્રમણ્યમની નિમણૂંક થઈ. બીવીઆર સુબ્રમણ્યમ પ્રધાનમંત્રી મોદીના મિશન કાશ્મીરના મુખ્ય અધિકારીમાનાં એક હતા. તો આ તરફ કેદ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ અને એક કોર ટીમ સાથે મળીને સમગ્ર મામલાને કાયદાની એરણ પર ચકાસવાનું શરૂ કર્યુ હતું.
પોતાના એક એક પગલાને કાયદાકીય રીતે મજબૂત કરવા તેમણે કાયદા અને વ્યસ્થાની સ્થિતિ પર નજર રાખવાનું શરૂ કર્યું હતું. જેના માટે અમિત શાહે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની મદદ લીધી. જુલાઈના ત્રીજા સપ્તાહમાં ખુદ અજિત ડોભાલ જમ્મુ-કાશ્મીર પહોંચ્યા હતા. અજીત ડોભાલ ત્યાં ત્રણ દિવસ રોકાયા. તેમના પરત ફરવા સાથે જ 27 જુલાઈએ સીઆરપીએફની 100 કંપનીઓને શ્રીનગર મોકલવાનો આદેશ જાહેર થયો. એ પછી દેશમાં કોઈ નવી ઘટના બનવાની અટકળોનો દૌર શરૂ થઈ ગયો.
આ છે માસ્ટર પ્લાનઃ
એક કાશ્મીર ઘાટી તરફ સેનાની મૂવમેન્ટ શરૂ થઈ ગઈ હતી તો આ તરફ અમિત શાહ ગુપ્તચર વિભાગ, કાશ્મીરના ગવર્નર, પોલીસ અને વહીવટી તંત્રના સીધા સંપર્કમાં રહેવા લાગ્યા હતા. પીએમ મોદીને પળે પળની ખબર આપવામાં આવી રહી હતી. પરંતુ કોઈને એ ભણકારો પણ આવવા દીધો ન હતો કે અમિત શાહ આખરે શું કરવા જઈ રહ્યાં છે. એ પછી આતંકી હુમલાની આશંકા દર્શાવીને અમરનાથ યાત્રીઓ અને પર્યટકોને પરત ફરવાનો આદેશ આપવામાં આવ્યો.
એનઆઈટી અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ અને રાજ્યમાં કામ કરનારા બહારના લોકોને રાજ્યમાથી બહાર કાઢવાનું શરૂ કરવામાં આવ્યું. ત્યાં સુધીમાં લોકોમાં અને રાજકીય પાર્ટીઓમાં એ વાતની શંકા દ્રઢ થઈ ગઈ હતી કે સરકાર કાશ્મીરમાં કોઈ મોટું પગલું ઉઠાવવા જઈ રહી છે. મહેબૂબા મુફ્તિ, ઓમર અબ્દુલ્લા સહિત અનેક રાજકીય નેતાઓ એકજૂથ થવા લાગ્યા. તેઓ રાજ્યપાલ સામે સવાલ કરીને શંકાનું સમાધાન શોધવા પ્રયાસ કરવા લાગ્યા પરંતુ રાજ્યપાલ સત્યપાલ મલિકે માત્ર સાંત્વના આપી અને ઓપરેશનની ગુપ્તતા જાળવી રાખી.
આ તરફ બીજેપીના સાંસદોનો અભ્યાસ વર્ગ ચાલી રહ્યો હતો. પરંતુ મોદી અને શાહના દિમાગમાં તો 370 હટાવવાનું જનૂન સવાર હતું. શાહ સંસદમાં પોતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક પર બેઠક કરી રહ્યાં હતા. આ તરફ સત્યપાલ મલિકે તમામ વહેતી થયેલી અફવાઓ વચ્ચે કાશ્મીરમાં સ્થિતિ બગડવા ન દીધી. આ તરફ રામમાધવે કાશ્મીરમાં ગઠબંધન સરકાર વખતથી જ મોકો પારખીને કાશ્મીરમાં પરિવર્તનની જમીન તૈયાર કરી દીધી હતી.
બીવીઆર સુબ્રમણ્યમ જમ્મૂ કાશ્મીર જઈને અજીત ડોભાલ સાથે સતત સંપર્કમાં રહ્યાં તેમણે સુરક્ષાદળો અને અધિકારીઓ સાથે સંકલન કરવાનું કામ કર્યું. તો આ તરફ રાજ્યપાલના સચિવ તરીકે રહેલા કે વિજય કુમાર અજિત ડોભાલની કોર ટીમનો હિસ્સો બની રહ્યાં તેમણે સત્યાપાલ મલિક અને અજિત ડોભાલ વચ્ચે મહત્વની કડી તરીકે કામ કર્યું.
આ તરફ સરકારે સંસદનું સત્ર સાત ઓગસ્ટ સુદી લંબાવી દીધું હતું. એટલે કે અમિત શાહ કોઈ ફૂલપ્રૂફ પ્લાન સાથે સંસદમાં આવવાના હતા. જે માટે ભરપૂર તૈયારીથી રહી હતી. 370 ને હટાવવાની રણનીતીમાં કોઈ અડચણ ન આવ, તેના માટે સરકારે પુરતી તૈયારી કરી લીધી હતી. રાજયસભામાં બિલ રજૂ કરવા માટે સંશોધિત કાર્ય સૂચી છેલ્લા સમયે બહાર પડી હતી. ગહેલોટના રૂમને વોરરૂમ બનાવવામાં આવ્યો હતો. અહીંની કમાન ગૃહમંત્રી અમિત શાહે સંભાળી હતી તુષાર મહેતા સદનમાં ભાજપ અને સરકાર તરફથી પક્ષ રાખનાર વકતાઓને ચિઠ્ઠીઓ મોકલી રહ્યાં હતા.
...અને રાતોરાત બદલાઇ ગઇ કાશ્મીરની સ્થિતિઃ
કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ, રેલ મંત્રી પીયૂષ ગોયલ, સંસદીય કાર્ય રાજયમંત્રી અર્જુનરામ મેધવાલ અને સાંસદ ભુપેદ્ર યાદવનું આવવા-જવાનું ચાલું રહ્યું હતું. રવિવારે રાત્રે બાર વાગ્યા તો કાશ્મીરની સ્થિતિ બિલકુલ બદલાઈ ગઈ. કાશ્મીરના નેતાઓને નજર અંદાજ કરી લેવામાં આવ્યાં. મોબાઈલ અને ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવાંમાં આવી. કાશ્મીર ખીણમાં ધારા-144 લગાવીને કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો. એનાથી એ સાફ થઈ ગયું હતું કે, સોમવારની સવારની કાશ્મીર માટે એક નવા અધ્યાયની શરૂઆત કરનારી બની જશે
આખરે એ જ થયું કે 5, ઓગસ્ટનો આ દિવસ ભારતના સંસદીય ઈતિહાસમાં એક નવા અધ્યાયની શરૂઆત કરવા જઈ રહ્યો હતો અને તેની જ તૈયારીને આખરી ઓપ આપવા ગૃહ મંત્રી અમિત શાહ સવારે લગભગ સાડા આઠ વાગ્યે પ્રધાનમંત્રી નરેદ્ર મોદી સાથે મુલાકાત કરી ચૂક્યાં હતા. કેબિનેટની મીટિંગ બાદ અમિત શાહ સીધા સંસદ પહોંચ્યાં. ત્યાં સુધીમાં ઘણી પાર્ટીઓ રાજ્યસભામાં કાશ્મીરની સ્થિતિ પર ચર્ચા માટે નિયમ -267 પ્રમાણે ચર્ચા કરવા નોટિસ આપી ચૂકી હતી.
ગૃહની કાર્યવાહી શરૂ થાય તે પહેલાં જ વિપક્ષ એ માર્ગ પર એકજૂથ થઈ ગયો કે, પહેલા નિયમ 267 મુજબ કાશ્મીરની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવે. વિપક્ષી સભ્યો પોતાના માગણી સાથે પોતાના સ્થાન પર ઊભા થઈને હોબાળો કરવા લાગ્યા. અંતે વિપક્ષના શોરબકોર વચ્ચે ગૃહ મંત્રી અમિત શાહે બે ઠરાવ રાજ્યસભામાં રજૂ કર્યા. પહેલા અમિત શાહે જમ્મૂ-કાશ્મીરમાંથી કલમ-370 દૂર કરવાનો ઠરાવ રજૂ કર્યો. તે પછી તેમણે જમ્મૂકાશ્મીરની પુનર્રચના વિધેયક-2019ને રજૂ કર્યો. છેલ્લી ઘડી સુધી વિપક્ષને અને વિરોધીઓને અને કાશ્મીરી આકાઓને અંધારામાં રાખીને ભાજપ સરકારે કાશ્મીર માટે નવા યુગના મંડાણ કરી દીધા હતાં.