અમદાવાદમાં પાલડીમાં આવેલ વિકાસગૃહમાં ફરી એકવાર યુવતી ગુમ થવાનો મામલો સામે આવ્યો છે. અગાઉ પણ આવા અનેક મામલા સામે આવી ચૂક્યા છે. વિકાસગૃહમાંથી યુવતીઓનું ભાગી જવું એ આ પહેલી વહેલી ઘટના નથી. હાલ તો પોલીસ ગૂમ થયેલી યુવતીની શોધખોળ કરી રહી છે. તાજેતરમાં જ વિકાસગૃહમાં સામાડીક કાર્યકર લાંચ લેતા ઝડપાઈ ગયા હતા. દર વખતે શંકાની સોય વિકાસગૃહના સંચાલકો તરફ જ ઈશારા કરતી હોય છે.
મોડી રાત્રે 1 વાગે યુવતિ ગુમ થઇ હોવાનુ માહિતી
પોલીસે ST, રેલવે સ્ટેશન પર તપાસ હાથ ધરાઇ
યુવતિ ગુમ થવાની અનેક વાર બની છે ઘટના
અમદાવાદના પાલડી વિકાસગૃહમાંથી ફરી એક વખત યુવતી ગુમ થઈ છે. ગત મોડી રાત્રે એક વાગ્યે યુવતિ ગુમ થઈ હોવાનું અનુમાન છે. આ ઘટનાની જાણ થતા પોલીસકર્મીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે ST અને રેલવે સ્ટેશન પર તપાસ હાથ ધરી હતી.. અગાઉ પર અનેક વખત પાલડી ગૃહમાંથી યુવતીઓ ગુમ થઈ છે. ત્યારે હવે ફરી એક વખત પાલડી ગૃહમાંથી યુવતી ગુમ થતા અનેક સવાલ ઉઠી રહ્યા છે.
સામાજિક કાર્યકર પકડાયા હતા લાંચ લેતા
વિવાદો વચ્ચે ઘેરાયેલા પાલડીના વિકાસગૃહમાં વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રમાં 3500 રૂપિાયાની લાંચ લેતા પકડાયેલા સામાજિક કાર્યકર લીના બી. શાહને ખાસ કોર્ટે એક દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે. એસીબીની તપાસમાં ખૂલ્યું છે કે, આરોપી દ્વારા લેવામાં આવેલી લાંચની રકમ તેમના ઉપલા અધિકારીને આપવાની હતી. પાલડી વિકાસગૃહમાં મહિલા કલ્યાણ કેન્દ્રમાં સામાજિક કાર્યકર તરીકે લીના બી. શાહ નોકરી કરતી હતી આ પાંચ વર્ષની નોકરી દરમિયાન કેટલા પાસેથી લાંચ અથવા તો સોના-ચાંદીના દાગીના જેવી કિમતી ચીજ વસ્તુઓ મેળવી હોય તેની તપાસ કરવામાં આવશે.
ઓગસ્ટ 2019માં પણ એક સગીરા ગુમ થઈ હતી
પાલડી વિકાસગૃહમાં જુહાપુરામાં રહેતી સગીરાને કોર્ટના હુકમ મુજબ રાખવામાં આવી હતી.સગીરાના પરિવાર તેમની દીકરીને મળવા માટે વિકાસગૃહમાં ગયા ત્યારે ખબર પડી કે તે નાસી ગઈ છે. પરિવારજનોએ વિકાસગૃહના ગૃહમાતા સહિત ટ્રસ્ટીઓ પાસે પોતાની દીકરી મેળવવા માટે આજીજી કરી હતી ત્યારે ગૃહમાતાએ કહ્યુ કે અમે શોધી રહ્યા છે અને તમે પણ શોધવામાં મદદ કરો. પછી ગુમ થયેલી કિશોરીના પરિવારજનોએ પોલીસને કહ્યુ કે, વિકાસગૃહ દ્વારા હજુ સુધી કોઈ ફરિયાદ કરવામાં આવી નથી. આ પહેલા 3 સગીરાઓ ભાગી ગઈ હતી.
વિકાસગૃહના સંચાલન અંગે પણ તપાસની માગ
પાલડી વિકાસગૃહમાંથી છાશવારે કિશોરીઓ ભાગી જવાના કિસ્સા બને છે. પોલીસ દ્વારા વારંવાર આ અંગે ગાઇડ લાઇન બહાર પાડી ફેરફાર કરવા તથા સિક્યુરિટી સાથે સીસીટીવી રાખવા સૂચનાઓ આપવામાં આવી છે. તેમ છતાં સંસ્થા દ્વારા કોઇ જ પગલાં ભરવામાં આવતા ન હોવાનું પોલીસ રટણ કરી રહી છે. ગત વર્ષે પણ અનેક સગીરાઓ ભાગી ગઇ હતી. આમ છતાં વિકાસગૃહમાંથી કિશોરીઓ નાસી જવા અંગે ટ્ર્સ્ટીઓ દ્વારા ભેદી મૌન ધારણ કરવામાં આવી રહ્યું છે.