માનવતાને પણ શરમાવે એવો એક કિસ્સો શહેરના સૈજપુર વિસ્તારમાં બન્યો છે. સૈજપુર વિસ્તારમાં આવેલા મોદી કમ્પાઉન્ડ પાસેના ખુલ્લા પ્લોટ નજીકથી એક યુવક પસાર થઇ રહ્યો હતો ત્યારે કચરાના ઢગલા નજીક એક બાળકીના રડવાનો અવાજ સંભળાયો હતો. યુવકે નજીક જઈને જોયું તો તેના હોશ ઊડી ગયા હતા.
અહીંયાંના કચરાના ઢગલામાં નવજાત બાળકીને એક પ્લાસ્ટિકની થેલીમાં જીવિત હાલતમાં મરવા માટે છોડી દીધેલી હતી. બાળકીને પોલીસે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી છે, જ્યાં તે સંપૂર્ણ સ્વસ્થ છે. નાના ચિલોડા પાસે આવેલ શ્યામશરણ એપાર્ટમેન્ટમાં રહેતા સંદીપ ઉદાસીએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં નવજાત બાળકી જીવિત હાલતમાં મળી આવ્યાની ફરિયાદ કરી છે.
સંદીપભાઈ સૈજપુર બંગલા પાસે ગુરુનાનક પ્રોવિઝન સ્ટોર ધરાવે છે.ગઈ કાલે સાંજે સંદીપભાઈના પરિચિત રવિભાઈએ દુકાન પર આવીને કહ્યું હતું કે સૈજપુર વિસ્તારના સિંધી કોલોની સામેના મોદી કમ્પાઉન્ડના ખુલ્લા પ્લોટ પાસેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે ત્યાંના ઉકરડામાં એક પ્લાસ્ટિકની થેલીમાં જીવિત બાળકીનો રડવાનો મેં સાંભળ્યો હતો.
ત્યાર બાદ સંદીપભાઈ તેમજ આસપાસના લોકો તાત્કાલિક ત્યાં પહોંચી ગયા હતા. સંદીપભાઈએ કચરાના ઢગલા પાસે જઈને જોયું તો પ્લાસ્ટિકની થેલીમાં એક નવજાત બાળકી જીવિત હાલતમાં જોવા મળી હતી, જેથી તેમણે આ અંગે પોલીસને જાણ કરતાં સરદારનગર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસ દ્વારા બાળકીને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. હાલ બાળકીની હાલત એકદમ તંદુરસ્ત છે. બાળકીની સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર દ્વારા વધુ સારવાર કરવામાં આવી રહી છે.
જોકે બાળકીને કોણે અને કયા કારણસર ત્યજી દીધી તેની તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે હાલમાં તેને ત્યજી દેનાર અજાણી મહિલા વિરુદ્ધ આ અંગે ગુનો નોંધ્યો છે. શહેરમાં નવજાત બાળકોને મૃત અને જીવિત હાલતમાં ત્યજી દેવાના કિસ્સા બનતાં હાલમાં તે ચિંતાનો વિષય બન્યો છે, સાથે જ આવી ઘટના દુ:ખદાયક અને હૃદયદ્રાવક છે. બેટી બચાવો અને ભ્રૂણહત્યા અટકાવવા સરકાર અને પોલીસતંત્ર દ્વારા જાગૃતિ દાખવી આવી અસામાજિક પ્રવૃત્તિ કરતાં તત્ત્વોને સબક શિખવાડવાની જરૂર છે.
ઉલ્લેખનીય છે કે શહેરના અલગ અલગ વિસ્તારમાં ત્યજી દેવાયેલાં નવજાત બાળકો અવારનવાર મળી આવ્યાં છે. થોડા સમય પહેલાં સરસપુર વિસ્તારમાં આવેલી શારદાબહેન હોસ્પિટલ પાસે એક સફાઇ કામદાર કામ કરી રહ્યો હતો તે સમયે હોસ્પિટલના ગેટ પાસે આવેલી કચરાપેટીની નજીકમથી એક નવજાત બાળકી મળી આવી હતી તો પાલડી પાસેની એક કચરાપેટીમાંથી પણ મૃત હાલતમાં બાળક મળી આવ્યું હતું. આ ઉપરાંત થલતેજ પાસેની એક કચરાપેટીમાં લેપટોપ બેગમાં કોઈ બાળકીને મૂકીને જતું રહ્યું હતું.
આજે પણ ભારતમાં ઘણા એવા લોકો છે, જેઓ દીકરીને બોજ સમાન સમજે છે. હદ તો ત્યારે થાય છે જ્યારે લોકો દીકરીનાે જન્મ થતાં જ તેને મરવા માટે આવી ખુલ્લી જગ્યામાં છોડી દે છે. તમે પણ અત્યાર સુધીમાં ઘણા એવા સમાચાર સાંભળ્યા હશે, જ્યાં મા-બાપ પોતાની નવજાત બાળકીને મરવા માટે રોડ ઉપર તરછોડી દે છે.