યુપીના મિરઝાપુરના રિક્ષાવાળાએ પોતાની પત્નીના લગ્ન તેના પ્રેમી સાથે કરાવી દીધા હતા.
યુપીના મિરઝાપુરની ઘટના
ઓટો ચલાવતા વ્યક્તિએ પત્નીના કરાવ્યાં લગ્ન
લગ્ન પછી પત્ની પ્રેમીને ન ભૂલી શકી
પતિને જાણમાં આવતા પ્રેમી સાથે કરાવી આપ્યાં પત્નીના લગ્ન
યુપીના મિરઝાપુર શહેરમાં બનેલી એક ઘટનાએ લોકોને વિચારતા કરી મૂક્યા છે. કિસ્સો એવો છે કે ઓટો ચલાવીને પેટિયું રળતાં એક શખ્સે અડધી રાતે પોતાની પત્નીના લગ્ન તેના પ્રેમી સાથે કરાવી આપ્યાં હતા અને પોતે એકલો રહ્યો હતો. પતિએ પત્નીની ખુશી કાજે તેના લગ્ન તેના પ્રેમી સાથે કરાવી આપ્યાં.
રિક્ષાવાળોને યુવતી સાથે થયો પ્રેમ, લગ્ન કરીને સાથે રહેવા લાગ્યા
મિરાઝપુર શહેરમાં રહેતા વિશ્વજીત ભગત નામનો યુવાન ઓટો રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ચારેક મહિના પહેલાં બખ્તિયારપુરમાં રહેતી આરતી નામની યુવતી સાથે તેને પ્રેમ થઇ ગયો હતો. બંને પ્રેમીઓએ સાથે જીવવાની અને મરવાની પ્રતિજ્ઞા લીધી અને બંનેએ સાથે રહેવાનું નક્કી કર્યું. આ દરમિયાન બંનેએ બે મહિના પહેલા જ પોતાની મરજીથી લગ્ન કરી લીધા હતા અને સુખેથી રહેવા લાગ્યાં હતા પરંતુ આ દરમિયાન એક એવી ઘટના બની કે આખી બાજી પલટાઈ ગઈ હતી અને વિશ્વજીત ભગતે પત્નીને લઈને એક મોટો નિર્ણય લીધો હતો.
પ્રેમી ગામમાં આવતા પત્ની મળવા ગઈ
લગ્નના બે મહિના જ થયા હતા ત્યાં બખ્તિયારપુરમાં રહેતો અભિરાજ નામનો યુવક તેની પૂર્વ પ્રેમિકા આરતીના સાસરે મિર્ઝાપુર પહોંચ્યો હતો. આ દરમિયાન આરતી પોતાના પહેલા બોયફ્રેન્ડને ભૂલી શકી નહીં. તે પોતાના જૂના બોયફ્રેન્ડને મળવા માટે પણ પહોંચી હતી. આ ઘટના બાદ એવું લાગતું હતું કે બન્ને એકબીજાને ભૂલ્યા નથી અને હજુ પણ સાથે રહેવા માગે છે. ગામમાં વાયુવેગે આ વાત ફેલાઈ અને વિશ્વજીત ભગતના કાને પણ આ વાત પહોંચી તેમ છતાં પણ તેમણે શાંતિ ધારણ કરી રાખી અને મનોમન કંઈ નિર્ણય લઈ લીધો.
પતિએ અડધી રાતે કરાવી આપ્યાં પત્નીના લગ્ન
આ ઘટના બાદ વિશ્વજીતને લાગ્યું કે તેની પત્ની હવે તેના અગાઉના પ્રેમી વગર રહી શકે તેમ લાગતું નથી અને આવા કિસ્સામાં તે નકામો પત્નીને વળગીને બેઠો છે અને પત્નીને તેના પ્રેમીને સોંપી દેવામાં જ શાણપણ છે એવું માનીને વિશ્વજીતે જરા પણ વાર લગાડ્યાં વગર અડધી રાતે પત્ની આરતીના લગ્ન પોતાના જ ઘરમાં પ્રેમી અભિરાજ સાથે કરાવીને બન્નેને શાંતિથી વળાવી દીધા હતા. આ ઘટના બાદ વિશ્વજીતે લીધેલા પગલાંની ખૂબ ચર્ચા થઈ રહી છે.