આરોગ્ય મંત્રાલયે આપેલા એક નિવેદન પ્રમાણે ભારત ટૂંક સમયમાં જ રસીકરણના મામલે અમેરિકાને પછાડવા જઈ રહ્યું છે, હકીકતે સરકારે આપેલી માહિતી પ્રમાણે ભારત આગામી ત્રણ દિવસોમાં રસીકરણ કરાયેલા લોકોની સંખ્યાના મામલે અમેરિકાને પાછળ પાડી દેશે.
આરોગ્ય મંત્રાલયનું મોટું નિવેદન
રસીકરણ મામલે અમેરિકાને પણ પછાડશે ભારત
અત્યાર સુધીમાં 4 લાખ 54 હજાર 49 લોકોને અપાઈ રસી
નોંધનીય છે કે ભારતમાં 16મી જાન્યુઆરીથી પીએમ મોદીએ દેશવ્યાપી રસીકરણની શરૂઆત કરાવી હતી અને આ વિશ્વનું હાલનું સૌથી મોટું કોરોના રસીકરણ અભિયાન છે જો કે ટૂંક જ સમયમાં ભારતનું રસીકરણ અભિયાન વધુ એક સિદ્ધિ મેળવવા જઈ રહ્યું છે. માહિતી પ્રમાણે અમેરિકામાં ભારત કરતા ઘણું વહેલું રસીકરણ અભિયાન શરુ થઇ ગયું હતું,અને ત્યારે ત્યાં પહેલા અઠવાડિયામાં 5 લાખ, 56 હજાર 208 લોકોને રસી અપાઈ હતી, જો કે ભારત આગામી ત્રણ દિવસમાં આ આંકડાઓને પાર કરી લેશે.
4 લાખ 54 હજાર 49 લોકોને અત્યાર સુધીમાં અપાઈ રસી
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર ભારતમાં 19 જાન્યુઆરી સુધીમાં 4 લાખ 54 હજાર 49 લોકોને કોરોના વેક્સિનનો પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે, તે જ સમયે એક દિવસમાં સૌથી વધુ 2 લાખ 7 હજાર 229 લોકોને રસી અપાઈ હતી. આ આંકડા આરોગ્ય મંત્રાલય દ્વારા એક પ્રેસ કોન્ફ્રન્સમાં જાહેર કરવામાં આવ્યા હતા.
આડઅસરના માત્ર 0.18 ટકા કેસ
યુનિયન હેલ્થ સેક્રેટરી રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે રસી અપાયા પછી આડઅસરના માત્ર 0.18 ટકા કેસ જ રિપોર્ટ થયા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે અમેરિકામાં રસીકરણ શરુ થતા પહેલા અઠવાડિયામાં 5 લાખ 56 હજાર 208 લોકોને રસી અપાઈ હતી, જો કે ભારત આગામી ત્રણ જ દિવસોમાં આ લક્ષ્યાંકને પાર કરી લેશે.
આ સાથે જ નીતિ આયોગના સભ્ય ડો વી કે પોલે જણાવ્યું હતું કે કોવેક્સિન અને કોવીશીલ્ડ બંનેના ડેટા નિહાળ્યા પછી હું ખાતરી પૂર્વક કહી શકું છું કે બંને રસી સુરક્ષિત છે, અને રસીને લઈને જે મૂંઝવણ લોકો અનુભવી રહયા છે તે દૂર થવી જોઈએ નહીં તો આ મહામારીને આપણે કેવી રીતે હરાવી શકીશું ? આ મામલે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી હું તમને ખાતરી આપું છું કે બંને રસી સુરક્ષિત છે.
16મી જાન્યુઆરીથી દેશવ્યાપી રસીકરણ અભિયાનની શરૂઆત
સાથે તેમણે જણાવ્યું હતું કે એક નેસલ રસીની દિશામાં પણ કામ થઇ રહ્યું છે, આ ફેઝ 1 અને ફેઝ 2 ટ્રાયલ માટે આ વિચારાધીન છે જો આ કામ કરી જાય તો તે ગેમ ચેન્જર પુરવાર થઇ શકે છે. મહત્વનું છે કે ભારતમાં સરકાર દ્વારા સીરમની કોવીશીલ્ડ અને ભારત બાયોટેકની કોવાકસિનને મંજૂરી અપાઈ હતી અને 16મી જાન્યુઆરીથી દેશવ્યાપી રસીકરણ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી.