ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળ્યા ત્યારથી પક્ષની કામગીરીને વધુ વેગ મળ્યો છે. પ્રદેશ પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ સી.આર.પાટીલે જાહેરાત કરી હતી કે, પક્ષના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે રાજ્ય સરકારના 2 મંત્રીઓ બેસશે અને કાર્યકરોના પ્રશ્નોને સાંભળશે. તેને લઇને આજરોજ એક મહત્વનો નિર્ણય લેવાયો છે.
પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલના આદેશનો ચૂસ્ત અમલ
સોમવારથી કમલમ ખાતે બેસશે સરકારના મંત્રીઓ
ઉલ્લેખનીય છે કે, કમલમ ખાતે સોમવારે કેબિનેટ પ્રધાન કૌશિક પટેલ અને મંગળવારે જયદ્રથસિંહ પરમાર બેસશે. આ બંન્ને મંત્રી કમલમ્ ખાતે તમામ પ્રશ્નોનું ફાઈલિંગ કરશે અને નિરાકરણ માટે સંબધિત વિભાગમાં પ્રશ્નોને મોકલાશે.
મંત્રીઓ બપોરે 12 થી 5 કાર્યકરોના પ્રશ્નો સાંભળશે
આપને જણાવી દઇએ કે, પોતાના સૌરાષ્ટ્રના ચાર દિવસના પ્રવાસ દરમિયાન ગઇકાલે જૂનાગઢમાં પક્ષના કાર્યકરોને સંબોધતા તેમણે આ પ્રમાણે જણાવ્યું હતું.
સી.આર પાટિલે કહ્યું કે સરકારના મંત્રીઓ બપોરે 12 થી 5 કાર્યકરોના સરકારને લગતા પ્રશ્નો સાંભળશે.
સૂચવાયેલા કામો અંગે લેખિતમાં આપશે જવાબ
પાટિલે જણાવ્યું હતું કે કાર્યકરો દ્વારા સૂચવાયેલા કામો થશે કે નહીં તેનો જવાબ મંત્રીઓ એ લેખિતમાં આપવો પડશે. એ જવાબની બીજી નકલ પક્ષના કાર્યાલય કમલમ ખાતે મોકલાશે જ્યાં પક્ષ દ્વારા તેની સમીક્ષા કરવામાં આવશે.