બનાસકાંઠામા ખખડધજ માર્ગમા આજે મંત્રી કીર્તિસિંહ વાઘેલાનું બાઇક ફસાતા તેઓ પડતાં માંડ માંડ બચ્યા હતા.
બનાસકાંઠામા મંત્રીને જમીની હકીકતનો પરચો મળ્યો
કીર્તિસિંહ વાઘેલાનું બાઇક ખાડામાં ફસાયું
રેલીમાં જોડાયેલા કાર્યકરોએ મંત્રીને બચાવ્યા
હર ઘર તિરંગા મહોત્સવ દરેક નેતાના દિમાગમા છવાયો છે. નેતાઓ તિરંગાને આકાશમા લહેરાવવા ગામ ગામ ખૂંદી રહ્યા છે. આ દરમિયાન બનાસકાંઠામા મંત્રી કીર્તિસિંહ વાઘેલાને જમીની હકીકતનો પણ પરચો મળી ગયો હતો. મંત્રી કીર્તિસિંહ વાઘેલાનું બાઇક ખાડામા અટવાયું હતું. જે અંગેનો વિડિયો પણ વાયરલ થયો હતો.
બાઈક પાણી ભરેલા ખાડામાં ખૂંપી ગયું
બનાસકાંઠામાં છેલ્લા ઘણા સમયથી વરસાદ બાદ રોડ રસ્તાની હાલત ખૂબ જ ખરાબ બની છે. આજે શિક્ષણ રાજ્યમંત્રી કીર્તિસિંહ વાઘેલા તિરંગા યાત્રામાં બાઇક લઈને જોડાયા હતા. હાથમાં તિરંગો હતો પરંતુ તેઓ દેશની જે ભૂમિ પર સવારી કરી રહ્યા હતા તે ભૂમિને વિકાસનો કોઈ રંગ ચડ્યો ન હતો. આથી બાઈક લઈને જતા રાજ્યમંત્રી કીર્તિસિંહ વાઘેલાને પણ ખરાબ રોડ રસ્તાનો અનુભવ થયો હતો એટલું જ નહિ અનુભવ એટલો કડવો રહ્યો હતો કે તેમની બાઈક પાણી ભરેલા ખાડામાં ખૂંપી અને તેઓ પડતા પડતા માંડ બચ્યા હતા. જો કે, રેલીમાં જોડાયેલા કાર્યકરોએ મંત્રીના બાઇકને પાછળથી ધક્કો મારીને બાઈક બહાર કાઢવામાં મદદ કરી આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. મંત્રીને તો આ એક દિવસ જ મુશ્કેલી પડી પરંતુ જનતા તો કાયમ આ અભિશાપ ઝીલતી આવે છે.
તાત્કાલિક રોડનું રિપેરિંગ કામ હાથ ધરે તેવી લોકમાંગ
વરસાદમાં બનાસકાંઠાના રોડ રસ્તાઓની ખરાબ હાલતને લઈને સ્થાનિકોને પરેશાનીનો કોઇ પાર નથી. બનાસકાંઠાના હાઇવે પર મોટા ખાડાના કારણે વારંવાર અકસ્માત સર્જવાના ઘટનાઓ પણ સામે આવતી રહે છે. જેને લઇને રોડ પરથી પસાર થતાં લોકો ઘણીવાર બિસ્માર રસ્તાઓનો ભોગ બની રહ્યા છે. તો ટોલ ટેક્સ ઉઘરાવવામા પાવરધા હાઈવે ઓથોરિટી દ્વારા રસ્તાઓના સમારકામ ન કરવામા આવતા લોકોમા રોષ ફેલાયો છે. આથી તંત્ર લોકોની પરેશાની પારખી તાત્કાલિક રોડનું રિપેરિંગ કામ હાથ ધરે તેવી લોકોમા માંગ ઉઠી છે.