ગુજરાત ચુંટણીને લઇને ભાવનગર પશ્ચિમ વિધાનસભા બેઠકમાં ખરાખરીનો જંગ જામ્યો છે. હાઈપ્રોફાઈલ ગણાતી આ બેઠક પર ભાજપના વર્તમાન ધારાસભ્ય અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને ટિકિટ આપી છે. તો કોંગ્રેસે વરતેજ ગામના સામાજિક આગેવાન કે. કે. ગોહિલને ટિકિટ આપી છે. બંને ઉમેદવારોએ જીત માટે પ્રચંડ પ્રચારની શરૂઆત કરી દીધી છે. અને બંને જીતનો દાવો કરી રહ્યા છે.
વિકાસકાર્યોને જોઈ જનતા મત આપશે:જીતુ વાઘાણી
ભાવનગર પશ્ચિમ બેઠક પર ભાજપના જીતુ વાઘાણી સતત બે ટર્મથી ચૂંટાતા આવ્યા છે. એટલું જ નહીં ભૂપેન્દ્ર પટેલ સરકારમાં જીતુ વાઘાણી શિક્ષણ મંત્રીના પદ પર છે. બીજી તરફ કે. કે. ગોહિલ કોંગ્રેસના પાયાના કાર્યકર છે અને સારી લોકચાહના ધરાવે છે. વર્ષો સુધી તેઓ વરતેજ ગામના સરપંચ રહ્યા છે. જીતુ વાઘાણીનો દાવો છે કે વિકાસકાર્યોને જોઈ જનતા મત આપશે જ્યારે કે. કે. ગોહિલનું કહેવું છે કે અહીં વિકાસકાર્યો થયા નથી.
બેઠક પર ખરાખરીનો જંગ
ભાવનગર પશ્ચિમ બેઠક પર વર્ષ 2007માં ભાજપે જીતુ વાઘાણીને ટિકિટ આપી હતી. તેની સામે કોંગ્રેસે શક્તિસિંહ ગોહિલને ટિકિટ આપી હતી. 2007માં શક્તિસિંહ ગોહિલ સામે જીતુ વાઘાણીની હાર થઈ હતી. એ વર્ષ 2012માં ભાજપે ફરી જીતુ વાઘાણીને ટિકિટ આપી અને તેમણે કોંગ્રેસના ડૉ. મનસુખ કાનાણીને હરાવ્યા. 2017માં કોંગ્રેસના દિલીપશસહ ગોહિલને પણ જીતુ વાઘાણીએ જંગી બહુમતીથી હરાવ્યા હતા. હવે ફરી એક વખત આ બેઠક પર ખરાખરીનો જંગ છે ત્યારે કોણ જીતે છે તે જોવું રહ્યું!
કેવા છે ભાવનગર પશ્ચિમ બેઠક પર જાતિગત સમીકરણો?
ભાવનગર પશ્ચિમ વિધાનસભા બેઠકમાં નારી ચોકડી, મસ્તરામ બાપા મંદિર, યાર્ડ, દેસાઈનગર, લાલટાંકી, બોરતળાવ, શાસ્ત્રીનગર અને નિલમબાગ તેમજ કુંભારવાડા જેવા પછાત વિસ્તારનો સમાવેશ થાય છે. આ બેઠકમાં ચિત્રા GIDC પણ આવેલી છે. જેમાં શ્રમિકો અને મધ્યમવર્ગને રોજગાર મળે છે તો, હીરાના કારખાનાઓ, પ્લાસ્ટિકના કારખાનાઓ હજારો લોકોને રોજીરોટી પૂરી પાડે છે. જીતુભાઇ વાઘાણી ભાવનગર પશ્ચિમ બેઠક પર સારી પકડ ધરાવે છે. આ બેઠક પર 1 લાખ 97 હજાર 977 પુરૂષ મતદારો અને 1 લાખ 73 હજાર 967 સ્ત્રીમતદારો મળી કુલ 3 લાખ 71 હજાર 944 મતદારો છે. જ્ઞાતિની દ્રષ્ટીએ જોવા જઈએ તો અહીં કોળી સમાજ, પટેલ સમાજ અને ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ રહેલું છે.
શું છે ભાવનગર પશ્ચિમના લોકોની માગણી?
પશ્ચિમ વિધાનસભા બેઠક પર સૌથી મોટી સમસ્યા ટ્રાફિકની છે. આ વિસ્તારમાં ફ્લાઈ ઓવરનું કામ ચાલે છે. પરિણામે ડાયવર્ઝનના કારણે ટ્રાફિક સર્જાય છે. એટલું જ નહીં આ વિસ્તારમાં વરસાદના પાણી ભરાઈ જાય છે. કેટલાક લોકોનો આક્ષેપ છે કે ભાજપના શાસનમાં અહીં કોઈ જ કામ થયા નથી. જો કે ભાવનગર પશ્ચિમના કેટલાક નાગરિકોનું માનવું છે કે જીતુ વાઘાણીએ આ વિસ્તારમાં ખુબ સારા કામ કર્યા છે જેનો બદલો જનતા તેને મત આપશે.
ભાવનગર જીલ્લામાં વર્ષોથી ભાજપનું પ્રભુત્વ રહેલું છે. પરંતુ ભાવનગર પશ્ચિમ બેઠક કયારેક ભાજપ તો કયારેક કોંગ્રેસ જીતતું આવ્યું છે. જો કે જીતુ વાઘાણી સામે તેમના વિવાદિત નિવેદનોને કારણે જનતામાં થોડો રોષ છે તો સાથે જ અટકીપડેલા કેટલાક વિકાસ કામોને લઈને પણ જનતા નારાજ છે.