હાલમાં જ છોટાઉદેપુર જિલ્લાના કવાંટના વાંટડા ગામને જોડતા બ્રિજનું મંત્રી આર.સી. ફળદુએ લોકાર્પણ કર્યું છે. પણ મંત્રીએ લોકાર્પણ સમયે ન તો બ્રિજ જોયો કે ન તો બ્રિજનું કેવું કામ થયું છે તે જોયું.
આ બ્રિજ પહેલા વરસાદમાં જ ધોવાઈ ગયો. કરોડોના ખર્ચે તૈયાર કરેાયલો બ્રિજ ચાર દિવસ પહેલાં જ પડેલા વરસાદમાં તૂટી ગયો હતો. બ્રિજની સ્થિતિથી અજાણ મંત્રીએ પણ આ બ્રિજનું હોંશે હોંશે લોકાર્પણ કર્યુ. હંમેશા વરસાદ આવે ત્યારે બ્રિજ તૂટી જવાની કે જમીન ધસી જવાની ઘટનાઓ સતત બન્યા કરે છે પરંતુ વિકાસના કામ કરતી સરકાર તેનાથી અજામ જ હોય છે. જેનું ઉદાહરણ આ કિસ્સો છે.
મંત્રી તો એ વાતથી પણ અજાણ છે કે બ્રિજ તૂટી ગયો છે. કારણ કે મંત્રીએ દૂર બેસીને બ્રિજનું લોકાર્પણ કર્યું. બ્રિજ નિહાળવાની મંત્રીએ તસ્દી ન પણ લીધી. મળતી માહિતિ પ્રમાણે મંત્રીને બ્રિજ ધોવાઈ ગયો હોવાનો સવાલ કર્યો ત્યારે ખુદ મંત્રી જ અંધારામાં હોવાનું સામે આવ્યું. મંત્રીએ જણાવ્યું કે આ અંગે તેમને કોઈ જ જાણ નથી. પણ જો બ્રિજ ધોવાઈ ગયો હશે તો તેનું સમારકામ કરવામાં આવશે. અહીં સૌથી મોટો સવાલ તો એ છે કે કરોડોના ખર્ચે કોઈ વિકાસના કાર્યો કરવામાં આવે છે અને બાદમાં ધોવાયેલા વિકાસના કાર્યોનું લોકાર્પણ પણ કરી દેવામાં આવે છે. તો શું અત્યાર સુધી જે પણ વિકાસના કાર્યો થયા તે તેમામનું લોકાર્પણ આવી જ રીતે થયું હશે ને. શું તંત્ર દ્વારા અને જે તે વિભાગ દ્વારા કોઈ તપાસ નથી થતી. અહીં તો અધિકારીઓએ પ્રજાની સાથે સાથે મંત્રીને પણ અંધારામાં રાખ્યા છે.