બુહારીમાં આદિવાસી દિને મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીનું મોટુ નિવેદન, ઉકાઈડેમ વખતે વિસ્થાપીતોની જમીનો નવી શરતની હોવાથી લાભો નથી મળતા, હું સમસ્યાનું નિરાકરણ લાવીશ
વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી
તાપીમાં મહેસૂલ મંત્રી રહ્યા હાજર
મહેલૂસ મંત્રીએ પ્રશ્ન ઉકેલવા આપી ખાતરી
આજે ગુજરાતમાં વિશ્વ આદિવાસી દિવસની રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજયના વિવિધ આદિજાતી વિસ્તારોમાં ૨૬ સ્થાનો પર એક સાથે થયેલી ઉજવણીમાં વિધાનસભાના અધ્યક્ષ સહિત મંત્રી મંડળના સભ્યો સહભાગી થયા હતા.
વિસ્થાપીતોની જમીનો નવી શરતની હોવાથી લાભો નથી મળતા તેનું નિરાકરણ લવાશે: મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી
જે અંતર્ગત તાપી જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી પ્રસંગે વાલોડ ખાતે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી હાજરી આપી હતી. ઉર્જા મંત્રી મુકેશ પટેલ અને મંત્રી પ્રદિપ પરમાર પણ કાર્યક્રમમાં જોડાયા હતા. બુહારી ખાતે મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આદિવાસી સમાજને ખાતરી આપતા કહ્યું હતું કે ઉકાઇ ડેમ બન્યો ત્યારે વિસ્થાપિત આદિવાસી ભાઈઓેને જમીન આપી હતી. આજે મારી પાસે એક પ્રશ્ન આવ્યો છે. જમીન નવી શરતની હોવાથી કોઇએ લાભ લેવો હોય તો સમસ્યા આવે છે. આ સમસ્યાનું હું નિરાકરણ લાવીશ અને આગામી મંગળવારે કેબિનેટ બેઠક થશે ત્યારે આ મુદ્દો ચર્ચામાં લઈ યોગ્ય સમાધાન કરવાની બાંહેધરી પણ આપી હતી.
ઝાલોદ ખાતે વિશ્વ આદિવાસી દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત આદિવાસીઓના મસીહા અને સ્વાતંત્ર્ય સંગ્રામના વીર નાયક શ્રી ગોવિંદગુરૂની સમાધિ સ્થળ કંબોઈધામ ખાતે ભાવપૂર્વક દર્શન-અર્ચન કર્યા હતા. ઝાલોદ ખાતે વિશ્વ આદિવાસી દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીમાં સહભાગી બનવા પહોંચેલા મુખ્યમંત્રીશ્રીએ મંદિર પરિસરમાં શ્રી ગોવિંદગુરૂની મૂર્તિ પાસે નવધ્વજાનું આરોહણ કર્યું હતું.
CM ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું?
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, આદિવાસીઓનો સામાજિક, આર્થિક વિકાસએ હંમેશા રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા છે. આદિજાતિ વિસ્તાર દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતેથી વિશ્વ આદિવાસી દિવસની રાજયવ્યાપી ઉજવણીનો પ્રારંભ કરાવતા રાજ્યના આદિજાતિ વિસ્તારો માટે રૂ. ૧૬૦૦ કરોડના ૫૬૯૦ જેટલા વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યા હતા.
૨૦૭૪૫ કરોડના વિકાસ કામો થકી આદિવાસીઓનું જીવન વધુ સરળ બન્યું: CM ભૂપેન્દ્ર પટેલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં આદિવાસીઓને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે શરૂ કરેલી વનબંધુ કલ્યાણ યોજનાને તેજ ગતિથી અમે આગળ વધારી રહ્યા છીએ એમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. છેલ્લા બે દાયકામાં રાજ્યના આદિવાસી સમાજના વિકાસ માટે બજેટમાં ૨૬ ગણો માતબર વધારો કર્યો છે. આદિવાસીઓના રોજગાર, શિક્ષણ, આરોગ્ય અને માળખાકીય સુવિધાઓ માટે અત્યાર સુધીમાં રૂ. એક લાખ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે તેની ભૂમિકા તેમણે આપી હતી. વધુમાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર છેલ્લા બે દાયકાથી સતત કર્તવ્યરત છે. આ બે દાયકામાં રૂ. ૨૦૭૪૫ કરોડના વિકાસ કામો થકી આદિવાસીઓનું જીવન વધુ સરળ બનાવ્યું છે અને તેમને વિકાસના રાહ પર લાવ્યા છીએ. આદિજાતિ વિભાગના બજેટમાં ક્રમશઃ જંગી વધારો કરીને વર્ષ ૨૦૨૧ ૨૨ માં રૂ. ૨૬૫૬.૪૦ કરોડની આદિજાતિ બાંધવો માટે જોગવાઇ કરી છે.