રાજ્યના માર્ગમકાન મત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતં કે ગુજરાત આજે વિકાસનું મોડલ પૂરવાર થઈ રહ્યું છે, ત્યારે નગરો-શહેરોમાં નાગરિકોને યાતાયાતની સુવિધાઓ વધુ ઝડપી બને, ઈંધણની બચત થાય તથા ટ્રાફિક સમસ્યાઓનું નિરાકરણ થાય એ માટે બાયપાસ તથા રીંગ રોડનું નિર્માણ કરવાનું અમારું આયોજન છે. એ માટે સર્વેની સરવેની કામગીરી ચાલુ છે તે પૂર્ણ થતાં કામો હાથ ધરાશે.
તારાપુર-ચાણોદ રસ્તાના ૨૦ કિ.મી.ના કામો પૂર્ણ
આજે વિધાનસભા ખાતે તારાપુરથી ચાણોદ રસ્તાના મજબૂતીકરણના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મત્રીએ કહ્યું કે તારાપુરથી ચાણોદ રસ્તાનું ૨૦ કિલોમીટરનું કામ પૂર્ણ થયું છે અને બાકીનું જે કામ છે એ પ્રગતિ હેઠળ છે જે પણ સત્વરે પૂર્ણ કરાશે.
નવા રસ્તા ૧૦ મીટરના બને એવું આયોજન
મત્રીએ ઉમેર્યું કે સમગ્ર રાજ્યમાં રસ્તાના નેટવર્કની સુવિધાઓ વધારવા માટે રજૂઆતો મળી રહી છે. જ્યાં ૩.૭૫ મીટરના રસ્તા છે તે ૭ મીટરના, ૫.૫ મીટરના રસ્તાને ૧૦ મીટરના બનાવવા, ૧૦ મીટરના રસ્તાને ફોર લેન બનાવવા તથા ફોર લેનને સિક્સ લેન બનાવવા અંગે રાજ્ય સરકાર દ્વારા સરવેની કામગીરી હાથ ધરાઈ છે અને આગામી સમયમાં નવા રસ્તાનું નિર્માણ કરવાનું થાય તો તે ઓછામાં ઓછા ૧૦ મીટરના રોડ બને એવું આયોજન પણ કરાઈ રહ્યું છે.
હેવી લોડેડ વાહનો જ્યાંથી પસાર થાય છે તેવા રસ્તાઓ માટે અલગ ડિઝાઇનો સાથેના રસ્તા બનાવાશે
આ ઉપરાંત ઔદ્યોગિક વસાહતોમાં જ્યાં હેવી લોડવાળાં વાહનો પસાર થતાં હોય છે તેવા રસ્તાઓ માટે અલાયદી ડિઝાઇનના રસ્તા બનાવવાનું આયોજન છે તેમજ ચોમાસા દરમિયાન જે રસ્તાઓ પણ વરસાદી પાણી ભરાતું હોય તેવા રસ્તાઓ પણ RCCથી રસ્તા બનાવવાનું આયોજન છે. રસ્તાઓ સંદર્ભે કોઇ પણ ફરિયાદ હોય, તે અંગે રાજ્ય સરકારનું ધ્યાન દોરવામાં આવશે તો ચોક્કસપણે કડક કાર્યવાહી કરી પગલાં લેવાશે તેમ તેમણે ઉમેર્યું હતું.