ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આગમન પહેલા રાજકીય પક્ષોએ જોરશોરની પ્રચારનો પ્રારંભ કર્યો છે. જેને લઈને પક્ષના આગેવાનો ગુજરાતમાં ધામા નાખી રહ્યા છે. ત્યારે આજે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા રાજકોટની મુલાકાતે આવ્યા હતા. જયા તેઓએ પત્રકારો સાથેની વાતચીતમાં આમ આદમી પાર્ટીને લઇ નિવેદન આપ્યું હતું.
કેજરીવાલે શિક્ષણની ગુજરાત સાથે સરખામણી ન કરવી જોઈએઃ રૂપાલા
કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે, ચૂંટણી નજીક આવતાની સાથે જ લોકશાહીમાં જુદા-જુદા પક્ષ આવતા હોય છે. સીઝનેબલ પક્ષના આગેવાનોને ગુજરાતની જનતા સારી રીતે જાણે છે. ગુજરાતમાં આવા અખતરાઓ થતા જ રહ્યા છે. જેને ગુજરાતની જનતાએ ક્યારેય મહત્વ આપ્યું નથી. જેથી આ ચૂંટણીમાં રાજનીતિ કોઈ મોટી ઘટના બને એવું મને લાગતું નથી. જો કેજરીવાલે શિક્ષણની સરખામણી કરવી હોય, તો રાજકોટના મેયર સાથે કરવી જોઈએ. તેમણે ગુજરાત સાથે સરખામણી કરવી જોઈએ નહીં. કેમ કે આ એજ ભૂમિ છે જે રાજ્યના રાજવીઑએ પ્રાથમિક મફત શિક્ષણ આપવાની પરંપરાની શરૂઆત કરી છે.
પડકારને પડકારીને પ્રચંડ બહુમતી ચૂંટણી જીતશું : પરસોત્તમ રૂપાલા
પડકારને પડકારવોએ ભારતીય જનતા પાર્ટની પ્રકૃતિ છે અમે પડકારને પડકારીને આગામી ચૂંટણી પ્રચંડ બહુમતીથી કાર્યકરોના સહકારથી જીતશું. તેવો કેન્દ્રીય મંત્રી રૂપાલાએ આશાવાદ વ્યકત કર્યો હતો. વધુમાં પામ તેલનું ઉત્પાદ દેશમાં વધે તે માટે સરકાર દ્વારા મિશન મોડમાં કામ ચાલી રહ્યું હોવાનો પણ તેઑએ દાવો કર્યો હતો. એટલુ જ નહિ રખડતાં ઢોર મામલે પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું કે બનાસ ડેરીમાં ગોબર ખરીદવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે અને આગામી સમયમાં સરકાર દ્વારા પણ આ પ્રકારની નીતિ ઘડી કાઢવામાં આવી છે. જેથી ઢોરની ઉપયોગિતાને લઇને રખડતાં ઢોરની સમસ્યાનો અંત આવી શકે છે.