પાટણમાં વિશ્વાસથી વિકાસ યાત્રા સભામાં મંત્રી જગદીશ વિશ્વકર્માનું નિવેદન
રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માના સામે આવ્યા વિવાદિત બોલ
ગુજરાતમાં ફ્રી રેવડીના નેતાને ગણાવ્યા કાળા નાગ
વિધાનસભા ચૂંટણીને લઈ તમામ પાર્ટીઓ અને નેતાઓ એકબીજા પર શાબ્દિક પ્રહાર કરતા જોવા મળે છે. નેતાઓ શાબ્દિક પ્રહાર કરવામાં કોઈના પદની ગરીમાંને પણ ભૂલી જાય છે. ત્યારે આવું જ એક વિવાદીત નિવેદન આપ્યું છે. પાટણમાં વિકાસ યાત્રા દરમિયાન મંત્રી જગદીશ વિશ્વકર્માએ તેઓએ અરવિંદ કેજરીવાલને કાળા નાગ સમાન ગણાવ્યા છે. તેઓએ કહ્યું કે સાહેબને આવા કાળા નાગને કાબુમાં કરતા આવડે છે. તો સામે આપ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ પ્રહાર કરતા કહ્યું કે ભાજપના નેતાઓ કામનો હિસાબ નથી આપી શકતા એટલે આવા નિવેદન કરે છે. ભાજપના નેતાઓ કેજરીવાલને આતંકવાદ અને ઠગ કહે છે.
મંત્રી જગદીશ વિશ્વકર્માનું વિવાદિત નિવેદન
મંત્રી જગદીશ વિશ્વકર્માએ પાટણમાં સંબોધન દરમિયાન વિવાદિત બોલ બોલતા કહ્યું કે ગુજરાતમાં આપવાળા મફતની રેવડી આપવાનું કામ કરે છે પણ ગુજરાતની પ્રજા એવી સ્વમાની છે કે તે ક્યારેય આ તરફ વળે નહીં, ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર લઈ બેઠેલા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવા ગમે તેવા કાળા નાગને કાબૂ કરતાં સાહેબને આવડે છે. આ પાટણની જનતા મને વિશ્વાસ છે, મને ભરોસો છે કે આવા છછુંદર જેવા કાળા નાગને સૂપડા સાફ કરી પાર્સલ કરી દે એમ છે, આવા ગમે તેવા કાળા નાગને નાથવાનું કામ પાટણની જનતા આવનારા દિવસોમાં કરવાની છે.
ગોપાલ ઈટાલિયાનો વળતો પ્રહાર
ગોપાલ ઈટાલિયાએ સમગ્ર મામલે ભાજપ નેતાને આડે હાથ લેતા પ્રહાર કર્યા કે છેલ્લા ઘણા દિવસોથી આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાતના મંત્રીઓ કે કેન્દ્રિય મંત્રીઓ કેજરીવાલને કાળો નાગ કહે છે, કોઈ કેજરીવાલને આતંકવાદી કહે છે. કોઈ કેજરીવાલને ઠગ કહે છે. પણ આટલા બધા મંત્રીઑ ભેગા મળીને પોતે 5 વર્ષમાં શું કામ કર્યું છે તે જનતાને નથી જણાવતા, પોતાના મંત્રાલયના માધ્યમથી જનતા માટે શું નિર્ણયો કર્યા એની માહિતી નથી આપતા. ગુજરાતનું શું ભલું 5 વર્ષમાં કર્યું એ નથી જણાવતા, પોતાને એટલે કે ભાજપના મંત્રીઓને જનતાએ જે કામ કરવા ચૂંટયા હતા તે કામ કરી શક્યા ન હોવાથી હવે કેજરીવાલ પર આરોપો કરી જેમ ફાવે તેમ બોલે છે. ગુજરાતની જનતા બધુ જ જોઈ રહી છે. આનો જવાબ ચૂંટણીમાં આપશે.