એક તરફ ભાજપના ધારાસભ્યો અને અધિકારીઓ વચ્ચે વિવાદ સર્જાઇ રહ્યા છે. અધિકારીઓ ધારાસભ્યોનું કહ્યું નથી કરતા તેવી ફરિયાદો કરવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ સચિવાલયમાં મંત્રીઓ અને તેના અંગત સચિવ વચ્ચે પણ મનમેળ ન હોવાનું સામે આવી રહ્યું છે.
સચિવાલયમાં મંત્રી-PS(અંગત સચિવ) વચ્ચે ય મનમેળ નથી
મંત્રીના પુત્ર સાથે વાંકુ પડતાં PSની બદલી કરી દેવાઇ
મંત્રી બાવળિયાના PS એએક્સ્ટેશન પૂર્ણ છતા ફરજ પર હાજર
અંગત સચિવો હવે મંત્રીઓનું કહ્યું નથી કરતા જેને લઇને ડખાં સર્જાયા છે. એક મંત્રીના દીકરા સાથે અંગત સચિવ (Personal secretary) ને વાંકુ પડતાં મંત્રીએ એકઝાટકે અંગત સચિવની સામાન્ય વહીવટ વિભાગમાં બદલી કરી નાખી છે. આ મુદ્દો અત્યારે સચિવાલયમાં ચર્ચાનો વિષય બન્યો છે.
છેલ્લા કેટલાંક દિવસોથી મંત્રી અને અંગત સચિવ વચ્ચે વિવાદ સર્જાયાં છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, પશુપાલન મંત્રીના દીકરાને કોઇ કારણસર અંગત સચિવ સાથે વાંધો પડ્યો હતો. પુત્રહઠ સામે ઝૂકીને પશુપાલન મંત્રીએ તાકીદે અંગત સચિવની બદલી કરી નાખી હતી તેવી ચર્ચા છે. અંગત સચિવની હાલમાં સામાન્ય વિભાગમાં બદલી કરી દેવમાં આવી છે. ગોલ્ડ મેડલ વિજેતા સ્વર્ણિમ સંકુલ-2માં ચર્ચાનો વિષ્ય બન્યો છે કે કયા કારણોસર મંત્રીના પુત્રને અંગત સચિવ સાથે વાંધો પડ્યો હશે.
આ તરફ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના અંગત સચિવને પણ મંત્રી સાથે કામ કરવાનું ન ફાવ્યું. તેમના અંગત સચિવ જે.બી.વદરેને કોઇ બહાનું આપીને છૂટા કરી દેવામાં હતાં.
કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના અંગત સચિવ રાજેશ રાવલ જૂન-2019માં નિવૃત્ત થયાહતા જેને લઇને CMOએ બે મહિનાનું એક્સ્ટેશન આપ્યું હતું. આ એક્સ્ટેશન પણ ઓગસ્ટ-2019માં પૂર્ણ થયું હતું. તે વખતે મંત્રી વતી વધુ એક્સ્ટેશન આપવા માંગ કરવામાં ાવી હતી. જોકે, CMO દ્વારા કેબિનેટ મંત્રી કુંવરજીના અંગત સચિવનો ઓર્ડર કરવા ધરાર નનૈયો ભણી દીધો હતો. આ મામલાને પાંચ મહિનાથી વધુ સમય થયો પરંતુ હજુ બાવળિયાના અંગત સચિવ આજે પણ નિયમિતપણે ફરજ પર આવે છે. CMO કાર્યાલયના સૂત્રોએ પણ આ વાતને સમર્થન આપ્યું હતું. આમ, સચિવાલયમાં મંત્રીઓ અને અંગત સચિવ વચ્ચે ય મતભેદ જામ્યા છે.