જૂનાગઢના ગીરનારમાં રાજ્ય સરકાર દ્વારા પ્રથમવાર મીનીકુંભ શિવરાત્રીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 27 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી મીની કુંભમેળો યોજાશે. ત્યારે આ કુંભમેળામાં ઉત્તરપ્રદેશના CM આદિત્યનાથ હાજર રહેશે. તેમજ કલાકાર કૈલાશ ખેર પણ મેળામાં વિશેષ હાજરી આપશે.
મહત્વનું છે કે 9 દિવસ ચાલનારા આ મીનીકુંભ મેળામાં 3 દિવસ સંત સંમેલનનું અને 3 દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયુ છે. તેમજ મેળા દરમિયાન લાઈટ અને સાઉન્ડ શો પણ યોજાશે.
જોકે શિવરાત્રીના મેળાને રાજ્ય સરકારે મીનીકુંભ મેળો જાહેર કર્યો છે. દર વર્ષે ભવનાથ મહાદેવના સાનિધ્યમાં પાંચ દિવસ સુધી મેળો યોજાઇ છે. જેમાં મોટી સંખ્યમાં સંતો અને શ્રદ્ધાળુઓ જોડાય છે.
ઉલ્લેખનીય છે કે આ મેળાને લઇને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જૂનાગઢની મુલાકાત લીધી હતી. ત્યારે સીએમ રૂપાણીએ જાહેરાત કરી હતી કે મહાશિવરાત્રી નિમિત્તે જૂનાગઢમાં ભવનાથની તળેટીમાં મીનીકુંભ મેળો યોજવામાં આવશે.