જૂનાગઢ: શિવરાત્રીમાં દર વર્ષે જૂનાગઢમાં મીની કુંભમેળાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ જૂનાગઢમાં મેળાનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. આ વર્ષએ જૂનાગઢમાં પ્રથમવાર ડમરુંયાત્રાનું પણ આયોજન કરવામાં આવશે.
જેને પગલે જિલ્લામાં સંતોનો નગર પ્રવેશ કરાશે. શિવરાત્રીમાં થઈ રહેલા મિની કુંભમેળાને લઈને તંત્ર દ્વારા તાડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે આજે મંત્રી ગણપત વસાવા અને વિભાવરીબેન દવેએ મેળાનું નિરીક્ષણ કર્યું હતુ. મેળાનું સ્થળ નિરીક્ષણ કર્યા બાદ ગણપત વસાવાએ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ સાથે જ મીની કુંભમેળાના રૂટ અને કાર્યક્રમ અંગેની જાણકારી મેળવી હતી અને વિવિધ કાર્યકમોને લઈને ચર્ચા પણ કરી હતી.
મહત્વનું છે કે 9 દિવસ ચાલનારા આ મીનીકુંભ મેળામાં 3 દિવસ સંત સંમેલનનું અને 3 દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયુ છે. તેમજ મેળા દરમિયાન લાઈટ અને સાઉન્ડ શો પણ યોજાશે. જોકે શિવરાત્રીના મેળાને રાજ્ય સરકારે મીનીકુંભ મેળો જાહેર કર્યો છે. દર વર્ષે ભવનાથ મહાદેવના સાનિધ્યમાં પાંચ દિવસ સુધી મેળો યોજાઇ છે. જેમાં મોટી સંખ્યમાં સંતો અને શ્રદ્ધાળુઓ જોડાય છે.
ઉલ્લેખનીય છે કે, આ મેળાને લઇને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જૂનાગઢની તાજેતરમાં મુલાકાત લીધી હતી. ત્યારે સીએમ રૂપાણીએ જાહેરાત કરી હતી કે મહાશિવરાત્રી નિમિત્તે જૂનાગઢમાં ભવનાથની તળેટીમાં મીનીકુંભ મેળો યોજવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા કરાયું ખાસ આયોજન
CM વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં એક બેઠક મળી હતી. આ બેઠકમાં આગામી શિવરાત્રી દરમિયાન યોજાનારા જૂનાગઢના મેળાનું મીની કુંભ મેળા તરીકે ઉજવવા માટેના આયોજનને ઓપ આપવામાં આવ્યો છે. ગિરનાર ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરવામાં આવી છે. જે અંગે ગાંધીનગરમાં આજે મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો.