નવી દિલ્હી: સરકારે ફ્યુઅલ સેક્ટરમાં નવી ઉદાર રિટેલ નીતિ જાહેર કરી છે. આ નીતિ હેઠળ ઇંધણના રિટેલ વેચાણના ક્ષેત્રમાં ઊતરનાર કંપનીઓને દેશભરમાં ઓછામાં ઓછા 100 પેટ્રોલ પંપ ઊભા કરવા પડશે અને તેમાં પાંચ ટકા પેટ્રોલ પંપ અંતરિયાળ વિસ્તારમાં સ્થાપિત કરવાની શરત રાખવામાં આવી છે.
પાંચ ટકા પેટ્રોલ પંપ અંતરિયાળ વિસ્તારમાં સ્થાપિત કરાશે
સરકારે હવે બિન પેટ્રોલિયમ કંપનીઓને પણ આ ક્ષેત્રમાં આવવાની મંજૂરી આપી છે
સરકારે ગયા મહિને જ કંપનીઓ માટે પેટ્રોલ પંપ ખોલવાના નિયમોમાં છૂટછાટ આપી હતી. સરકારે હવે બિન પેટ્રોલિયમ કંપનીઓને પણ આ ક્ષેત્રમાં આવવાની મંજૂરી આપી છે. નવી નીતિ અનુસાર દેશમાં પેટ્રોલ પંપનું લાઇસન્સ મેળવવાની સુધારેલી જોગવાઇ હેઠળ સંબંધિત કંપનીને ઓછામાં ઓછા ૧૦૦ પેટ્રોલ પંપ ઊભા કરવા પડશે, જેમાંથી પાંચ ટકા પેટ્રોલ પંપ દૂરના અંતરિયાળ વિસ્તારમાં હોવા જોઇએ.
એક ગેઝેટ નોટિફિકેશનમાં પેટ્રોલ પંપ ઊભા કરવાની સુધારેલી જોગવાઇ અંગે જાણ કરાઇ છે. આ જોગવાઇઓ હેઠળ લાઇસન્સ મેળવનાર કંપનીને પેટ્રોલ પંપનું ઓપરેશન શરૂ કર્યાના ત્રણ વર્ષની અંદર સીએનજી, બાયો ફ્યુઅલ, એલએનજી, ઇલેક્ટ્રિક વિહિકલ ચાર્જિંગ સ્ટેશન વગેરે જેવા વૈકલ્પિક માધ્યમોમાંથી કોઇ પણ એકનું માર્કેટિંગ કરવાની સુવિધા પણ ઊભી કરવી પડશે.