ફ્લાઈંગ શીખ તરીકે મશહૂર બનેલા પૂર્વ એથલેટ મિલ્ખાસિંહ પંચમહાભૂતમાં વિલિન થયા છે. લોકોએ રડતી આંખે તેમને વિદાય આપી.
પૂર્વ એથલેટ મિલ્ખાસિંહ પંચમહાભૂતમાં વિલિન
ચંદીગઢમાં પૂરા રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર
કિરણ રિજ્જુ તથા પંજાબના ગર્વનર વીપી સિંહ બદનોર હાજર રહ્યાં
ચંદીગઢમાં પૂરા રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરાયા છે. આ દરમિયાન કેન્દ્રીય ખેલ મંત્રી કિરણ રિજ્જુ તથા પંજાબના ગર્વનર વીપી સિંહ બદનોર હાજર રહ્યાં.
લીજેન્ડરી પૂર્વ દોડવીર મિલ્ખા સિંઘનું 91 વર્ષની વયે ચંડીગઢ ખાતે નિધન થયું હતું. તેઓ કોરોનાની ઝપેટમાં આવ્યા ત્યાર બાદ તેમની તબિયત લથડી હતી અને તેમને ચંડીગઢ PGI હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જો કે મિલ્ખા સિંઘે કોરોનાને તો મ્હાત આપી દીધી હતી પરંતુ ત્યાર બાદ અચનાક તેમની તબિયત નાજુક થઈ ગઈ હતી અને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમનું શુક્રવાર મોડી રાતે જ નિધન થયું હતું.
સૌથી કરુણ વાત એ રહી કે મિલ્ખા સિંઘ અને તેમની પત્ની બંને કોરોના પોઝિટિવ થયા હતા અને 5 દિવસ પહેલાં જ તેમની પત્ની નિર્મલ મિલ્ખા સિંહનું પણ કોરોનાને કારણે 85 વર્ષની વયે નિધન થયું હતું.
મિલ્ખા સિંઘના નિધનના સમાચાર મળતાં જ PM મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યુ હતું. તેમણે ટ્વિટર પર લખ્યું કે આપણે એક મહાન ખેલાડી ગુમાવી બેઠાં જેણે દેશની કલ્પનાને પકડી પાડી હતી અને અસંખ્ય ભારતીયો દિલમાં જગ્યા બનાવી હતી. તેમના વ્યક્તિત્વએ તેમને લાખો લોકોના ચાહક બનાવી દીધા હતાં. તેમના નિધનથી હું ખૂબ દુઃખી છું.
મિલ્ખા સિંઘનો જન્મ લાયલપુર ખાતે 20 નવેમ્બર 1929ના રોજ થયો હતો. તેઓ એક શિખ પરિવારમાં જન્મ્યા હતા. તેમણે રોમ ખાતે ૧૯૬૦ ગ્રીષ્મ ઓલિમ્પિક તથા ટોક્યો ખાતે ૧૯૬૪ ગ્રીષ્મ ઓલિમ્પિકમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમને "ઉડતા શિખ" - ફ્લાયિંગ શિખ તરીકેનું ઉપનામ આપવામાં આવ્યું હતું. તેઓ ભારત દેશના શ્રેષ્ઠતમ ખેલાડીઓમાંથી એક છે.
અખંડ ભારતના વિભાજન પછીના રમખાણોની નિરંકુશ પરિસ્થિતિ વખતે મિલ્ખા સિંઘે પોતાનાં માતાપિતા ગુમાવ્યા હતા. એમના પર પાકિસ્તાનીઓ દ્વારા આક્રમણ કરવામાં આવ્યું હતું. આ રમખાણોને કારણે એમનો લગભગ આખો પરિવાર ખતમ થઇ ગયો હતો. અંતતઃ તેઓ શરણાર્થી તરીકે ટ્રેન દ્વારા પાકિસ્તાનમાંથી ભારતમાં આવી ગયા હતા.
આ રીતે બન્યા સફળ દોડવીર
આવા ભયાનક ઘટનાઓ બાળપણમાં જોયા પછી તેમણે પોતાના જીવનમાં કંઈક કરી બતાવવાનું મનોમન નક્કી કર્યું. એક હોનહાર દોડવીર તરીકે ખ્યાતિ પ્રાપ્ત કર્યા બાદ તેમણે ૨૦૦ મી તેમજ ૪૦૦ મી દોડની સ્પર્ધાઓ સફળતાપૂર્વક પાર કરી, અને આ રીતે ભારત દેશના અત્યાર સુધીના સૌથી સફળ દોડવીર બન્યા. કેટલાક સમય માટે તેઓ ૪૦૦ મી દોડ માટેના વિશ્વ કીર્તિમાન ધારક પણ રહ્યા.
કાર્ડિફ઼, વેલ્સ, સંયુક્ત સામ્રાજ્યમાં ૧૯૫૮ના કૉમનવેલ્થ ખેલમાં સ્વર્ણપદક જીત્યા પછી શિખ હોવાને કારણે લાંબા વાળ સાથે પદક સ્વીકારવા ગયા હોવાથી તેમને સમગ્ર ખેલ વિશ્વ ઓળખવા લાગ્યું.
આ રીતે મળ્યું હતું 'ફ્લાઈંગ સિખ'નું બિરુદ
આ સમય દરમિયાન તેમને પાકિસ્તાન ખાતે દોડવા માટેનું આમંત્રણ મળ્યું, પરંતુ બાળપણની ઘટનાઓને કારણે તેઓ ત્યાં જવા માટે અચકાવા હતા, પરંતુ ન જવાને કારણે રાજનૈતિક ઉથલ પુથલ થવાના ડરને કારણે તેમને જવા માટે કહેવામાં આવ્યું અને તેમણે દોડવા માટેના આમંત્રણનો સ્વીકાર કર્યો.
દોડ સ્પર્ધામાં મિલ્ખા સિંઘે સરળતાથી પોતાના પ્રતિસ્પર્ધકોને પરાસ્ત કરી દીધા, અને આસાનીથી જીતી ગયા. અધિકાંશ પાકિસ્તાની દર્શક એટલા પ્રભાવિત થયા કે પૂર્ણ રીતે બુરખાનશીન ઔરતોએ પણ આ મહાન દોડવીરને પસાર થતો જોવા માટે પોતાના નકાબ ઉતારી લીધા હતા, ત્યારથી જ તેમને ફ્લાઇંગ શિખ તરીકેનું ઉપનામ મળ્યું.
મિલ્ખા સિંઘે ત્યારબાદ રમતગમતમાંથી સંન્યાસ લઈ લીધો અને ભારત સરકાર સાથે ખેલકૂદ ક્ષેત્રમાં પ્રોત્સાહન આપવાનું કામ કરવાનું શરૂ કર્યું. હાલમાં તેઓ ચંડીગઢ ખાતે રહેતા હતા.