દેશમાં કોરોના નામની બીમારીને કારણે હાલ લોકડાઉન છે. બધુ જ બંધ છે પરંતુ ડૉક્ટર, મેડિકલ સ્ટાફ, પોલીસ સ્ટાફ અને પત્રકારો 24 કલાક ખડપગે છે. કારણ કે કોરોનાને હરાવવાનો છે. મીડિયાનું કામ છે લોકો અને તંત્ર વચ્ચે સેતુ બનવું. ત્યારે VTV પણ આ કામ ખુબ જ સારી રીતે કરી રહ્યું છે. હાલ લોકડાઉનને કારણે અનેક ગરીબોની સ્થિતિ કફોડી બની છે. અમદાવાદના કાલુપુર વિસ્તારમાં કેટલાય પરપ્રાંતિય લોકો ફુટપાથ પર જીવન નિર્વાહ કરી રહ્યા છે. તેમની સમસ્યા અમારે ધ્યાને આવી તો અમે જાત નિરક્ષણ માટે પહોંચ્યા. ત્યારે જૂઓ શું સામે આવ્યું ?
હજારો પરપ્રાંતિય મજૂરો ફસાયા
છેલ્લા 2 દિવસથી ભોજનના ફાંફાં
VTVએ સરકાર અને જનતા વચ્ચે સેતુનું કામ કર્યું
હાલ કોરોનાને કારણે અનેક લોકો પર આફત આવી ચડી છે. કેટલાય પરપ્રાંતિયો અને ગરીબો હાલ નિરાધાર બન્યા છે. પણ તેઓ આ ગુજરાતની ધરતી પર છે તો તે સુરક્ષિત છે. તેમ છતાં આ લોકોની હાલત દયનીય છે. કારણ કે ફૂટપાથ પર રહેવા મજબૂર તો બન્યાં છે પરંતુ સાથે સાથે ભોજન પણ નિયમિત મળી નથી રહ્યું.
VTVના ધ્યાને અમદાવાદના કાલુપુર વિસ્તારની સમસ્યા આવી હતી. અમે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના સીધા જ ત્યાં પહોંચ્યા અને એક માધ્યમ બનવાનો પ્રયાસ કર્યો. અમે એક પછી એક પરપ્રાંતિય મજૂરોને મળ્યા અને તેમની વેદના સાંભળી. તેમની આ વેદના ખરેખર દર્દનાક હતી. તો બીજી તરફ ફસાઈ ગયેલા આ પરપ્રાંતિયોની મદદ કેટલીક સેવાભાવી સંસ્થાઓ પણ કરી રહી છે.
અહીં જોવા મળેલા દ્રશ્યો ખરેખર ખૂબ જ કરુણ હતા. આમાંથી કોઈ એવું નહીં હોય કે જેને મફતનું ખાવાની ટેવ હોય. કારણ કે આ બધા જ લોકો મહેનત કરીને ખાવા માટે ટેવાયેલા છે. પરંતુ હાલ સ્થિતિ જ કંઈક એવી નિર્માણ થઈ છે જેણે અનેક લોકોને રોડ પર લાવી દીધા છે.
ખિસ્સામાં પૈસા નથી, જમવાનું પહોંચતું જ નથીઃ પરપ્રાંતિય
ઘણા લોકોનું એવું કહેવું હતું કે અમને છેલ્લા બે-ત્રણ દિવસથી ખાવા પીવાનું નિયમિત નથી મળી રહ્યું. પરિવારથી દૂર મજૂરી માટે આવેલા લોકોએ જણાવ્યું કે, ફુડ પેકેટ ઓછા મળે છે, જમવાનું નથી મળતું અને આસપાસમાં લોકો જગ્યા શોધીને રસ્તા પર જ સુઇ જઇએ છીએ. અમારા ખિસ્સામાં પૈસા પણ નથી. પબ્લિક જ એટલી બધી છે કે અમારી સુધી જમવાનું પહોંચતું જ નથી. લોકોએ કહ્યું કે, ટ્રેન-વાહનવ્યવહાર શરૂ થાય ત્યાં સુધી જમવાનું મળે.
કોઈ દિવસ ભોજન મળે છે કોઈ દિવસ નહીં
કોરોના સંકટમાં લૉકડાઉનને કારણે અમદાવાદમાં કેટલાંય પરપ્રાંતીયો ફસાયા છે. જેમાં તેમની હાલત દયનીય બની છે કારણ કે ફૂટપાથ પર રહેવા માટે તો મજબૂર થયાં છે પરંતુ ભોજન મળવામાં પણ તકલીફ પડી રહી છે. જેમાંથી એક વ્યક્તિ કહે છે કે કોઈ દિવસ ભોજન મળે છે તો કોઈ દિવસ મળતું નથી. પોતાના વતન જવાની રાહ જોવામાં ન જાણે હજુ કેટલાં દિવસ આ લોકોને ફૂટપાથ પર ગુજારવા પડશે.
VTV દ્વારા તંત્રનો સંપર્ક કરીને લોકોને ભોજન પુરૂ પાડવા કરાઇ માંગ
જો કે અમે આ લોકોની મદદ કરવા માગતા હતા તો સ્થાનિક તાલુકા વિકાસ અધિકારી તડવી સાહેબનો સંપર્ક કર્યો. તાલુકા વિકાસ અધિકારી(TDO) તડવી સાહેબને વીટીવીએ અપીલ કરી કે, કાલુપુર વિસ્તારમાં રિપોટિંગ દરમિયાન કેટલાક મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના પરપ્રાંતિય લોકો રસ્તા પર સુતા છે. તો તેમને બન્ને ટાઇમ નિયમિત જમવાનું મળતું નથી તો હવે મળે તેવું કરો.
ત્યારે TDO સાહેબે કહ્યું કે, અત્યારે દાતાઓ ઓછા થઈ ગયા છે. તમે જોયું હશે કે બે દિવસથી જે પેલું થયું તેના કારણે પ્રાઈવેટવાળાને તો કોઈ આપવા જ નથી દેતા. અમને જે મળે છે, જેનો ફોન આવે છે તેને આપીએ છીએ.
તાલુકા વિકાસ અધિકારી સાથે અમે વાતચીતને અમે આ પરપ્રાંતિય લોકોને મદદ કરવાનો પ્રયાસ કર્યો. એક જાગૃત મીડિયા તરીકે અમે તંત્ર અને પ્રજા વચ્ચે સેતુ બનીને આ લોકોને ભોજન અને રાહત મળી રહે તેવો પ્રયાસ કર્યો હતો.