દેશમાં કોરોના વાયરસના હાહાકાર વચ્ચે લોકડાઉન બાદ પહેલીવાર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના ઘરે ભાજપના મોટા નેતાઓની બેઠક થઇ. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહની સાથે કેટલાક કેન્દ્રીય મંત્રીઓ પણ સામેલ થયા હતા. આ બેઠકમાં દેશમાં કોરોના સંકટના કારણે ઉત્પન્ન થયેલ પરિસ્થિતિ પર ચર્ચા કરવામાં આવી. પરંતુ બેઠકમાં પ્રવાસી મજૂરોનો મુદ્દો છવાયેલો રહ્યો. મજૂરોને પરેશાની થઇ તે મુદ્દે ભાજપને પોતાનો વોટ બેંક ખોઈ દેવાનો ડર સતાવી રહ્યો છે.
લોકડાઉનમાં દેશના કરોડો શ્રમિકોની દશા બગડી
અનેક મુશેકલીઓ પાર કરી વતન જવા મજબૂર શ્રમિકો
હંમેશા ચૂંટણીમાં કિંગમેકરની ભૂમિકા રહેતા ગરીબો ભાજપથી દૂર ન થઇ જાય તેની પાર્ટી નેતાઓને ચિંતા
પીએમ મોદીએ શ્રમિકોના ત્યાગ-તપસ્યા ગણાવ્યા
નોંધનીય છે કે દેશભરમાં શ્રમિકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. શ્રમિકોની તસવીરો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઇ રહી અને સરકાર પ્રત્યે રોષ વધી રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ છેલ્લાં સંબોધનમાં શ્રમિકો પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે આપણા લારી અને ઠેલો લગાવી સામાન વેચતાં લોકો, શ્રમિક સાથીઓ અને ઘરે ઘરે કામ કરતા ભાઈ-બહેને આ સમયમાં ખૂબ કષ્ટ સહન કર્યું છે, તપસ્યા અને ત્યાગ કર્યું છે. આપણું કર્તવ્ય છે કે આપણે તેમને તાકાતવાર બનાવીએ.
સરકાર બનાવવા અને ઉથલાવવામાં ગરીબો જ મહત્વની ભૂમિકામાં
માર્ચ મહિનામાં એક સવાલના જવાબમાં સરકારે સંસદમાં કહ્યું હતું કે દેશમાં આશરે 10 કરોડ પ્રવાસી શ્રમિકો છે. જેમાંથી મોટા ભાગના શ્રમિકોને લોકડાઉનમાં જોરદાર ફટકો લાગ્યો છે. ભારતમાં જે વોટિંગ પેટર્ન છે તે મુજબ ગરીબ જ હંમેશા કિંગમેકરની ભૂમિકામાં રહે છે. ભાજપે 2014ની સરખામણીમાં 2019માં પોતાનો બેસ મજબુત કર્યો હતો. જેમાં ગ્રામીણ વિસ્તારમાંથી મળતા વોટમાં વધારો થયો હતો. CSDSના અહેવાલ મુજબ 2019 અને 2014ના લોકસભા ચૂંટણીમાં ગરીબોથી ભાજપને મોટો ફાયદો થયો હતો. ભાજપને આ જ વોટબેંકનો ડર સતાવી રહ્યો છે.
ભાજપની છવીને લાગ્યો ઝટકો
લોકડાઉન લાગુ કરવામાં આવ્યું ત્યારે જ દેશના ઘણા ભાગોમાંથી શ્રમિકોની વ્યવસ્થા કરવા માટે માંગણીઓ કરવામાં આવી હતી પરંતુ સરકારોએ તો જાણે હાથ ઊંચા કરી લીધા. વતન તરફ જતી વખતે શ્રમિકોએ ભૂખ-તરસ સહન કર્યા. ધોમધખતા તાપમાં શ્રમિકો હિંમત ન હાર્યા. આટલું જ નહીં તંત્ર દ્વારા મદદ તો દૂરની વાત રહી પોલીસના ડંડા પણ ખાધા. એવામાં ભાજપની છવી એક મિડલ ક્લાસની પાર્ટી તરીકે વધુ મજબુત થશે અને 6 વર્ષના શાસન બાદ પ્રો ગરીબ પાર્ટીની છવીને ઝટકો લાગ્યો છે.
વિપક્ષ પણ આક્રમક ભૂમિકામાં
પીએમ મોદીને સત્તામાં લાવવામાં આ જ ગરીબોનો હાથ રહ્યો છે. પીએમ પોતે પણ 'ચાયવાલા'ના રૂપમાં ગરીબો સાથે સીધું કનેક્ટ કરવાના પ્રયાસ કરે છે. એવામાં પ્રવાસી મજૂરોને પડેલી મુશ્કેલીથી તે ભાજપથી દૂર થઇ શકે છે. એવામાં વિપક્ષ પણ સતત સરકાર પર હુમલા કરી રહ્યું છે. સરકારના પેકેજ પર પણ સવાલ ઉભા કરવામાં આવી રહ્યા છે. એવામાં જો આ શ્રમિકો ભાજપથી દૂર થઇ જાય તો તે પાર્ટી માટે જોરદાર ઝટકો સાબિત થશે.