કોરોના વાયરસના સંક્રમણને ફેલાતુ રોકવા માટે દેશમાં 21 દિવસનું લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું હતું, જેનો આજે અંતિમ દિવસ હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ મહામારીથી ઉદ્ભવેલી પરિસ્થિતિને જોતા દેશના નામે સંબોધનમાં લૉકડાઉનને 3 મે સુધી ચાલુ રાખવાનો નિર્ણય લીધો. આ નિર્ણયને લઇને મુંબઈમાં પરપ્રાંતિય કારીગરો વચ્ચે અફવા ફેલાઇ કે લોકડાઉન પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. જ્યાર બાદ મુંબઈના બાંદ્રા રેલવે સ્ટેશન પર પ્રવાસી મજૂરોની મોટી ભીડ ઉમટી પડી.
દેશમાં 3 મે સુધી વધારાયું લોકડાઉન
લોકડાઉન ખુલ્યું હોવાની અફવા
મુંબઈના રેલવે સ્ટેશન પર મજૂરો ઉમટ્યાં
જોકે કારીગરોને લાગ્યું કે લોકડાઉન પૂર્ણ કરી દેવામાં આવ્યું છે, જ્યારબાદ પોતાના ઘર માટે તેઓ સ્ટેશન તરફ નિકળી ગયા. ટોળું જમા થયા બાદ સુચના મળતા પોલીસ તાત્કાલિક પહોંચી અને લોકોને પોતપોતાના ઘરે જવા માટે કહ્યું.
બાંદ્રા સ્ટેશન પર એ પ્રકારે ભીડ હતી કે ત્યાં સોશિયલ ડિસ્ટેન્સિંગના લીરેલીરા ઉડી ગયા. ઘરે જવા માટે સ્ટેશન પર મજૂરોનું ટોળું ઉમટી પડ્યું, જેને કાબૂ કરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો.
પોલીસે કહ્યું અફવાને કારણે સર્જાઈ આ ઘટના
મહારાષ્ટ્ર પોલીસે કહ્યું હતું કે એક અફવાને કારણે આ ઘટના સર્જાઈ હતી. જો કે મહારાષ્ટ્ર પોલીસે આ બાબતે જાણ કરતા કહ્યું હતું કે આ ઘટના સર્જાવાનું કારણ અફવા છે. એવી વાત ઉડી હતી કે સ્પેશ્યલ ટ્રેનનું આયોજન કરવામાં આવ્યું છે અને આ અફવાને કારણે લોકો અહીં ઊમટી પડ્યાં હતાં.
દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 10 હજારના આંકડાને પાર કરી ગઇ છે. દરરોજ કોરોના વાયરસના નવા કેસ ઝડપથી આગળ વધી રહ્યા છે. એક તરફ જ્યારે શરૂઆતમાં કોરોનાના કેસની સંખ્યા 24 કલાકમાં 300થી 500 સુધી વધતી હતી ત્યારે આ ઝડપ પકડાઇ ચૂકી છે. ગત બે-ત્રણ દિવસમાં દરરોજ કોરોનાના 1000થી વધુ કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસમાં વધુ ઝડપ આવી છે.