ઉત્તર પ્રદેશના મથુરામાં રવિવારે સવારે પરપ્રાંતિય કામદારોની ધીરજ ખૂંટી ગઈ હતી. મથુરાના ફરાહ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કામદારોએ હાઈ વેને રોકીને રોષ વ્યક્ત કર્યો હતો. કામદારોએ હોબાળો મચાવ્યો અને ટાયરોને આગ ચાંપી દીધી.
ગુસ્સે ભરાયેલા મજૂરોએ જણાવ્યું કે તેઓ બે-ત્રણ દિવસથી ભૂખ્યા તરસ્યા છે. તેમના માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી રહી નથી. હવે અમને પગપાળા ચાલીને જવાની પણ મંજૂરી નથી. મુકામ સુધી પહોંચવા માટે વાહનો પણ આપવામાં આવ્યા નથી. આશરે અઢી હજાર કામદારો આ વિસ્તારમાં ભટકી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા વાહનોની વ્યવસ્થા કરવામાં આવી નથી, આનથી નારાજ કામદારોએ આગ લગાવી હાઇવેને રોકી દીધો હતો. DM-SSP સહિતનો ભારે પોલીસ કાફલો સ્થળ પર હાજર છે.
મથુરાના SSP ગૌરવ ગ્રોવરનું નિવેદન
મથુરાના SSP ગૌરવ ગ્રોવરે જણાવ્યું હતું કે અચાનક મજૂરોની ભીડ હાઇવે પર આવીને ટ્રાફિકને અવરોધિત કરવા લાગી હતી. હોબાળો મચાવ્યા બાદ આખરે પોલીસ અને પ્રશાસને ટ્રકમાં બેસાડીને કામદારોને મોકલવાનું શરૂ કર્યું છે. SSPના જણાવ્યા અનુસાર પરપ્રાંતિય મજૂરોને ઘરે લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અગાઉ, કામદારોએ ઝાંસીની રક્સા બોર્ડર પર હંગામો મચાવ્યો હતો.
પરપ્રાંતિય કામદારોને પગપાળા ચાલવા ન દે: યોગીની સૂચના
રાજ્યના અધિક મુખ્ય સચિવ (ગૃહ વિભાગ) અવનિશકુમાર અવસ્થીએ કહ્યું કે ઓરૈયાની ઘટના બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તમામ ક્ષેત્રના અધિકારીઓને સૂચના આપી છે કે તેઓ પરપ્રાંતિય કામદારોને પગપાળા ચાલવા ન દે. ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા કામદારોની વિશેષ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યો છે કે પરપ્રાંતિય કામદારોએ કોઈ પણ પરિસ્થિતિમાં પગપાળા ન ચાલે.
દરેક સરહદ પર 200 બસો લગાવવામાં આવી છે
આ માટે, તમામ પોલીસ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે, જે પણ શ્રમિક આવે છે, તેમની સરહદ પર વિગતો નોંધી લઇને તેમના માટે ખોરાક અને પાણીની વ્યવસ્થા કરવામાં આવે. તેઓ તપાસીને તેઓને સલામત અને સન્માનજનક રીતે ઘરે પહોંચાડવા જોઈએ. મુખ્યમંત્રીની સૂચના પર દરેક સરહદ પર 200 બસો લગાવવામાં આવી છે. સરહદના તમામ જિલ્લાઓમાં વધારાની વ્યવસ્થા કરવામાં આવી છે.