લૉકડાઉનને લઇને હાલ દેશના પ્રવાસી શ્રમિકોની હાલત ખરાબ છે. આકરા તડકામાં પણ તેઓ વતન જવા માટે હજારો કિલોમીટર સુધી પગપાળા ચાલી રહ્યા છે. ત્યારે હાલમાં એક શ્રમિકે સાયકલની ચોરી કર્યા બાદ લખેલી માફી માગતી ચિઠ્ઠી સામે આવી છે.
શ્રમિકે સાયકલ ચોરી અંગે માગી માફી
મારા દિવ્યાંગ દીકરા માટે સાયકલ જોઇએ છીએ
હું મજબુર છું, મને માફ કરશો !
હાલ ત્રીજુ લૉકડાઉન ચાલી રહ્યું છે ત્યારે શ્રમિકો બેરોજગાર અને નોકરી પરથી છૂટા કરી દેવાતા પોતાના વતન તરફ પ્રયાણ કરવા મજબૂર બન્યા છે. તેવામાં કેટલાક મજૂરો ટ્રેન અને બસથી જઇ રહ્યા છે. તો કેટલાક શ્રમિકો પગપાળા અને સાયકલ દ્વારા આ ઉનાળાના તાપમાં ઘરે જવા મજબૂર બન્યા છે. તેવામાં એક અજીબ ચોરીની ઘટના સામે આવી છે. એક પ્રવાસી શ્રમિક મોહમ્મદ ઇકબાલને તેના તેમના વિકલાંગ દીકરા સાથે ઘરે જવું હતું, પણ તેની પાસે કોઈ વાહન નહોતું. આથી તેણે રાજસ્થાનના ભરતપુર જીલ્લાથી ઉત્તર પ્રદેશના બરેલી શહેર સુધી પહોંચવા માટે સાહબ સિંહના ઘરેથી સાઈકલની ચોરી કરી હતી.
સાયકલ ચોરી અંગે માગી માફી
જોકે આ ચોરી બદલ તેણે ઘરના વરંડામાં ચિઠ્ઠી મૂકીને માફી પણ માગી હતી. મોહમ્મદ ઇકબાલે લખ્યું, 'નમસ્તે જી , મેં આપકી સાઇકિલ લે કર જા રહા હૂં. હો સકે તો મુઝે માફ કર દેના જી. ક્યોંકિ મેરે પાસ કોઈ સાધન નહિ હૈ. મેરા એક બચ્ચા હૈ, ઉસકે લિયે મુઝે એસા કરના પડા હૈ, ચલ નહિ શકતા. હમે બરેલી તક જાના હૈ -આપકા કસૂરવાર, એક યાત્રી, એક મજદૂર, મોહમ્મદ ઇકબાલ.'
આ પત્રમાં માત્ર મોહમ્મદની જ નહિ પણ દેશના દરેક શ્રમિકની પીડા જણાઈ રહી છે જે લોકો ઘરે જવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. મોહમ્મદે તેના દીકરા માટે સાઈકલની ચોરી કરી અને પોતાની ભૂલની માફી પણ માગી. ભરતપુરથી બરેલી વચ્ચે 254 કિલોમીટરનું અંતર આ બાપ-દીકરો હાલ આવા આકરા તડકામાં સાઈકલ પર કાપી રહ્યા છે.