સુરેન્દ્રનગરના સડલા ગામના એક આધેડનું પોલીસના માનસિક ટોર્ચરથી મોત થયાના આક્ષેપ સાથે પરિવારજનોએ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે હોબાળો મચાવ્યો.
સુરેન્દ્રનગરના સડલા ગામના આધેડનું મૃત્યુ થયા મામલો
મૃતકના પરિવારજનોનો પોલીસ પર ગંભીર આક્ષેપ
કુંવરજી બાવળીયાએ હોસ્પિટલમાં મૃતકના પરિવારજનો સાથે મુલાકાત કરી
સુરેન્દ્રનગરના સડલા ગામના આધેડનું મૃત્યુ થયા મામલે મૃતકના પરિવારજનોએ પોલીસ પર ગંભીર આક્ષેપ લગાવ્યો છે. આ ઘટનામાં યુવક-યુવતીએ લગ્ન કરી લેતા યુવકના પિતાને સુરેન્દ્રનગર પોલીસ પકડી ગઇ હતી. ત્યારે પોલીસે માનસિક ટોર્ચર કરી માર માર્યાનો પરિવારજનો આક્ષેપ લગાવી રહ્યાં છે.
પોલીસના મારથી આધેડનું મોત થયાનો પરિવારનો આક્ષેપ
સુરેન્દ્રનગર પોલીસ પર પરિવારે આક્ષેપ લગાવતા કહ્યું કે, પોલીસના મારથી આધેડનું મોત થયું છે. મૃતકના પરિવારજનોએ સુરેન્દ્રનગર પોલીસ પર આક્ષેપ લગાવતા હોસ્પિટલ ખાતે ભારે હોબાળો મચાવ્યો છે. 40 જેટલાં લોકો હોસ્પિટલમાં ધરણાં પર બેઠા છે. મૃતકનો પરિવાર ન્યાય મળે તેવી માંગ કરી રહ્યો છે.
પોલીસની દમનગીરી સામે ફરિયાદ થવી જોઇએ: કુંવરજી બાવળિયા
સુરેન્દ્રનગરના સડલા ગામના આધેડના મૃત્યુ મામલે પૂર્વ મંત્રી કુંવરજી બાવળીયાએ હોસ્પિટલમાં મૃતકના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. કુંવરજી બાવળિયાએ મૃતકના પરિવારજનો સાથે મુલાકાત કરી કોળી સમાજના આગેવાનો સાથે ચર્ચા કરી હતી. કુંવરજી બાવળિયાએ આ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, 'હું આ પરિવાર અને સમાજ સાથે છું. પોલીસની દમનગીરી સામે ફરિયાદ થવી જોઇએ. સમગ્ર ઘટના ઘટી તે આઘાતજનક છે. પોલીસ પરિવારને જાણ કર્યા વિના ઉઠાવી ગઇ. અપહરણની ફરિયાદ પોલીસ સામે થવી જોઇએ. પહેલાં પોલીસ ફરિયાદ થાય પછી ધરણાં સમેટાશે. કારખાનામાં આવેલી પોલીસ બારોબાર તેઓને ઉઠાવી ગઇ. ' આ ઘટનાને લઇને સુરેન્દ્રનગરના DYSP હિમાંશુ દોશી પણ રાજકોટની સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે.