મધ્યાહ્ન ભોજનમાં બાળકોના આરોગ્ય સાથે ચેડા થઇ રહ્યા છે, થોડા દિવસ પહેલા ગોંડલ તાલુકા બાદ બીજી ઘટના જેતપુરના નવાગઢમાં સામે આવી છે. નવાગઢની તાલુકા પ્રાથમિક શાળા નંબર-26 અને 27માં બાળકોના મધ્યાહ્ન ભોજનમાં જીવતી ઈયળ જોવા મળી હતી, જેને લઇ ને સરકારી તંત્ર દોડતું થયું છે.
થોડા દિવસો પહેલા ગોંડલ તાલુકાના મોવૈયાની આંગણવાડીમાં બાળકોના મધ્યાહ્ન ભોજનમાં જીવતોનો કિસ્સો હજુ તાજો છે ત્યાં જ જેતપુરના નવાગઢ વિસ્તારમાં આવેલ સિપાઈપરાની તાલુકા પ્રાથમિક શાળા નંબર 26 અને 27માં બાળકોના મધ્યાહન ભોજનમાં જીવતી ઈયળો જોવા મળી હતી. જેને લઇને હંગામો મચી ગયો હતો. વિદ્યાર્થીના વાલીઓ શાળાએ દોડી ગયા હતા અને સંચાલકને આ બાબતે ફરિયાદ કરી હતી. અન્ય કોઈ આવે મીડિયા આવે તે પહેલા જ સંચાલકોને તમામ રાંધેલ ખોરાક ગટરમાં નાખીને સમગ્ર મામલો રફેદફે કરવાનો પ્રયત્ન કરેલ હતો. આ બાબતે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીના વાલીઓ દ્વારા પણ અનેક વખત સંચાલકો અને શાળાના આચાર્યને રજૂઆત કરી છે પરંતુ કોઈ પરિણામ આવેલ નહતું.
તમામ સામગ્રીમાં ધનેડાં સહિતની જીવાત જોવા મળી
સામે આવેલ સમગ્ર ઘટના પગલે શાળા નંબર 26ના રસોડાની રસોઈની સામગ્રીની તપાસ કરતા, તમામ સામગ્રીમાં ધનેડાં સહિતની જીવાત જોવા મળી હતી. ચણા દાળ, તુવેર દાળ વેગેરેમાં તો ધનેડાં દ્વારા અનાજ ખાઈને ખરાબ કરી નાખેલ સ્પષ્ટ જોવ મળતું હતું. આ બાબતે જેતપુર મામલતદાર દ્વારા ચેકીંગ શરુ કરવામાં આવ્યું હતું અને શાળામાં ડેપ્યુટી મામલતદાર અને ટીમે ચેકીંગ શરૂ કરેલ જ્યારે મામલદારે સમગ્ર મામલાની તપાસ કરીને જવાબદાર સામે પગલાની સૂચના આપવાની વાત કરી હતી.
બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં
અવાર નવાર ગરીબ અને નીચલા મધ્યમ વર્ગનાં બાળકો સાથે કોઈને કોઈ રીતે ચેડાં થતા રહે છે. ક્યારેક શાળાની સુવિધા પૂરતી ના હોય, ક્યારેક અભ્યાસ માટે શિક્ષકો પૂરતા ના હોય, ત્યારે ચોક્સથી પ્રશ્ન થાય કે સરકાર દ્વારા કરવામાં આવતા મોટા ખર્ચ મળતિયા માટે ભ્રષ્ટાચારીઓ માટે છે, સરકાર કાલના ભવિષ્ય એવા બાળકો માટે એક ખાસ તકેદારી રાખીને નક્કર કામગીરી કરે તે જરૂરી છે.