ભાવનગરઃ શહેરના 25 હજાર બાળકો સાથે તંત્ર ઘોર મજાક કરી રહ્યું છે. મધ્યાહન ભોજન યોજના અચાનક જ બંધ કરી દેવાઈ અને શાળાઓને તેની જાણ પણ ન થઈ. ભાવનગરમાં મધ્યાહન ભોજનનો કોન્ટ્રાક્ટ અક્ષયપાત્ર નામની સંસ્થાને આપવામાં આવ્યો છે. જ્યારે VTVની ટીમે આ મામલે શાસન અધિકારીને પુછ્યું તો જવાબ મળ્યો કે સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે મધ્યાહન ભોજન યોજનામાં માત્ર 200 દિવસ ભોજન પીરસાવું જોઈએ.
ભાવનગરમાં 200 દિવસ ભોજન આપવામાં આવ્યું છે જ્યારે મામલતદારને પુછવામાં આવ્યું તો જવાબ મળ્યો કે હાલ પરીક્ષા ચાલે છે. વિદ્યાર્થીઓ ભોજન લેતા નથી જેના કારણે યોજના હાલ પુરતી બંધ કરવામાં આવી છે. બાળકો શાળાએ જાય જ્યારે મા-બાપ મજુરીએ ગયા હોય તો બાળકો ભુખ્યા ન રહે અને શિક્ષણ પણ મેળવે તેવો આશય આ યોજનાનો છે. પણ સરકારી બાબુઓની નિર્દયતાને કારણે આવા કિસ્સાઓ તેના લક્ષ્યનો ધીમો પાડે છે.
સરકારી શાળામાં બાળકોને ગુણવતાયુક્ત આહાર માટે અક્ષયપાત્ર દ્વારા મધ્યાહન ભોજન શરુ કરવામાં આવ્યું હતું. પરંતુ ભાવનગરમાં કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર ગઈકાલે મધ્યાહન ભોજન બંધ કરી દેવતા ૫૪ શાળાના ૨૫ હજારથી પણ વધુ વિદ્યાર્થીઓ મધ્યાહન ભોજનની રાહ જોતા રહી ગયા હતા. ભોજન કર્યા વગર જ પાછા ફરવાનો વારો આવ્યો હતો.
આમ તો છેલ્લા ૧ વર્ષથી પોષ્ટિક આહાર બાળકોને અપાતો હતો. પરંતુ તંત્રની અણઆવડત કે આગોતરા આયોજનનાં અભાવે આજે અચાનક શાળાઓમાં બાળકોને ભોજન ન મળતા ચર્ચાનો વિષય બન્યો છે. આમ તો આ સંસ્થાનો કોન્ટ્રાક્ટ ૭ એપ્રિલના રોજ પૂરો થયો છે. જેની જાણ શિક્ષણ સમિતિ કે શાળાના આચાર્યને પણ જાણ કરાઈ ન હતી. બાળકો ભોજનની રાહમાં બેઠા હતા પરંતુ ભોજન ન આવતા તેઓ નિરાશ થયા હતા. શાસન અધિકારી નું કહેવું છે કે અક્ષયપાત્ર દ્વારા ભોજન નહિ પહોચાડવાના મામલે શિક્ષણ સમિતિને જાણ પણ કરાઈ નથી.
જો કે એમ જાણવા મળ્યું છે કે સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે સરકારી શાળામાં ઓછામાં ઓછા ૨૦૦ દિવસ બાળકો માટે સરકારે ભોજનની વ્યવસ્થા કરવી જોઈએ. તે મુજબ આ વર્ષે વધુ દિવસ થઇ ગયા હોય ભોજન બંધ કરાયું છે તેમ પણ શાસન અધિકારીઓએ જણાવ્યું હતું.
અક્ષયપાત્ર સંસ્થા દ્વારા સાથે સરકારે મધ્યાહન ભોજનનો કોન્ટ્રાક્ટ કર્યો છે. આ સંસ્થા દ્વારા પરીક્ષાના દિવસોમાં જ ભોજન ન આપવામાં આવતા બાળકોમાં નિરાશા જાગી છે. જો કે ગત વર્ષે ખાનગી સંચાલકોના હાથમાં મધ્યાહન ભોજન યોજના હતી. એટલે ભોજન આપવામાં આવ્યું હતું તેમ પણ જાણવા મળ્યું છે. આ ઘટના અંગે સીટી મામલતદારનું કહેવું છે કે પરીક્ષાનો સમય ઓછો હોય અને બાળકો પરીક્ષા આપી ને સીધા ઘરે જ ચાલ્યા જાય છે. અન્નનો બગાડ ન થાય તે માટે પરીક્ષાના દિવસોમાં મધ્યાહન ભોજન યોજના બંધ રાખવામાં આવી છે. જો કે તેમને જણાવ્યું હતું કે નવા સત્રથી ફરી વખત આજ સંસ્થા મધ્યાહન ભોજન યોજના શરુ રાખશે.
સરકાર લાખો રૂપિયા ખર્ચીને શિક્ષણ અને ગુણવતાયુક્ત ભોજન માટે અનેક યોજના બનાવે છે. પરંતુ તેની પાચલ ફોલોપ ન લેવાતું હોવાને કારણે સરકારનો આ વહીવટ બહાર આવે છે. જેનું ઉદાહરણ ભાવનગરમાં જોવા મળ્યું છે.