કોરોનાને કારણે બે વર્ષથી બંધ થયેલી મધ્યાહન ભોજન યોજના આવતીકાલથી ફરીથી થશે શરુ, જીતુ વાઘાણીએ કરી જાહેરાત
મધ્યાહન ભોજન યોજના પૂર્વવત થશે
શિક્ષણમંત્રી જીતુ વાઘાણીની જાહેરાત
ગુરુવારથી તમામ રાજ્યમાં યોજના પૂર્વવત
શાળામાં બાળકોના મધ્યાહન ભોજનને લઇને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. 29 માર્ચથી રાજ્યમાં મધ્યાહન ભોજન આપવાની યોજના પૂર્વવત થશે. આ અંગે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી હતી.
આવતીકાલથી મધ્યાહન યોજનાનો પ્રારંભ
29 માર્ચથી રાજ્યની 8 મહાપાલિકા અને 2 નગરપાલિકામાં આ યોજનાની શરુઆત કરવામાં આવશે. ગાંધીનગર પાસે આવેલા બોરીજ ગામમાં જીતુ વાઘાણીના હસ્તે પુનઃ મધ્યાહન યોજનાનો પ્રારંભ કરવામાં આવશે. એટલે કે આવતી કાલથી શહેરની સરકારી શાળાઓમાં બાળકોને બપોરે ભોજન મળતુ થઇ જશે. અમદાવાદ, રાજકોટ, ભાવનગર, જામનગર, ભુજ, વડોદરા, ગાંધીનગર, નવસારી, સુરતમાં આવતી કાલે મધ્યાહન યોજનાનો પુનઃ પ્રારંભ કરાશે. ત્યાર બાદ ગુરુવારથી તમામ જિલ્લા અને તાલુકાઓમાં આ યોજના શરુ થશે.
શાળાઓ ઓનલાઇન હતી એટલે બંધ હતી યોજના
મહત્વનું છે કે છેલ્લા બે વર્ષથી કોરોના હોવાને કારણે શાળાઓ બંધ હતી. ઓનલાઇન શાળા ચાલી રહી હતી. જેથી મધ્યાહન ભોજન યોજના બંધ કરવામાં આવી હતી. પરંતુ હવે શાળા રાબેતા મુજબ શરુ થતા વિદ્યાર્થીઓના હિતમાં રાજ્યસરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છેકે કોરોનાને કારણે આ યોજના બંધ હતી પરંતુ વિદ્યાર્થીઓને 2 લાખ 60 હજાર મેટ્રિક ટન જેટલુ અનાજનું વિતરણ કરવામાં આવ્યુ છે તેમજ મધ્યાહન ભોજન માટે રાજ્ય સરકારે 1400 કરોડની જોગવાઇ પણ કરી છે.
મધ્યાહન ભોજન યોજના શું છે ?
ગુજરાત રાજ્યમાં મધ્યાહન ભોજન યોજના વર્ષ-૧૯૮૪માં શરૂ કરવામાં આવી છે. જેમાં રાજ્ય સરકારનો ૨૫% તથા કેન્દ્ર સરકારનો ૭૫% હિસ્સો છે. સરકારી તેમજ સરકારી સહાયતા મેળવતી, સ્થાનિક પંચાયતી સંસ્થા દ્વારા સંચાલિત પ્રાથમિક તેમજ ઉચ્ચ પ્રથમિક શાળાઓ ચાલુ હોય તેવા દિવસોમાં સંપૂર્ણ મફત મધ્યાહન ભોજન આપવાની જોગવાઇ કરવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય હેતુ પ્રાથમિક શાળાના વિધ્યાર્થીઓને ગરમ અને પોષણક્ષમ ખોરાક પૂરો પાડવાનો છે. આ ઉપરાંત સમાજના ગરીબ વિધ્યાર્થીઓ શાળામાં નિયમિત આવે, ભણવામાં રુચિ દાખવે તે માટે પ્રોત્સાહિત કરવાનો હેતુ છે..આ ઉપરાંત શાળાઓમાં અધવચ્ચે અભ્યાસ છોડી દેતા વિધ્યાર્થીઓનું પ્રમાણ ઘટે તે પણ છે.