બિહારમાં મિડ ડે મિલની ગુણવત્તાને લઇને અવારનવાર સવાલો ઉઠતા રહે છે. ક્યારેક ભોજનમાં કીડા તો ક્યારેક ગંડામનમાં મિડ ડે મિલને કારણે બાળકોના મોત. ત્યારે હવે બિહારના શિક્ષણ વિભાગ દ્વારા એક નવી જ તરકીબ શોધી કાઢવામાં આવી છે. જેની જવાબદારી શાળાના હેડ માસ્તરને સોંપવામાં આવી છે.
પહેલા હેડ માસ્તર ખાશે પછી બાળકો
રાજ્યના શિક્ષણ વિભાગે તમામ સરકારી અને સરકારી સહાયતા પ્રાપ્ત પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષકોને મહત્વની સૂચનાઓ આપી છે. આ સૂચના મુજબ શાળાના હેડ માસ્તર સૌપ્રથમ બાળકોનું મધ્યાહન ભોજન ખાશે અને જોશે કે તે બાળકો માટે યોગ્ય છે કે નહીં. તેઓ તપાસ કરશે કે પીરસવામાં આવતો ખોરાક ગુણવત્તાના માપદંડના આધારે યોગ્ય છે કે નહી.
ફેબ્રુઆરીમાં શરુ કરાઇ મિડ ડે મિલ યોજના
રાજ્યના શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ સંજય કુમારે જણાવ્યું હતું કે 28 ફેબ્રુઆરીએ કોવિડ-19ની ત્રીજી લહેર પછી શાળાઓમાં મધ્યાહન ભોજન શરૂ કરવામાં આવ્યું ત્યારથી, મધ્યાહન ભોજનની નિયમિત દેખરેખ સુનિશ્ચિત કરવી જરૂરી છે. માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા છે તેમણે કહ્યું કે શાળા શિક્ષણ સમિતિના અધ્યક્ષ, સચિવ અને અન્ય સભ્યો તેમજ બાળકોના વાલીઓ એક વાર બાળકો સાથે બેસીને ભોજન લેશે.
ડીએમ પણ વિદ્યાર્થીઓ સાથે કરે છે ભોજન
મિડ ડે મિલના ભોજનની ગુણવત્તા પ્રત્યે વિશ્વાસ બેસે તે માટે જિલ્લા અધિકારીઓ બાળકો સાથે ભોજન ખાય છે. જ્યારે પણ જિલ્લા અધિકારી અથવા તેમના વતી અધિકૃત અધિકારી મધ્યાહન ભોજનની તપાસ કરવા શાળામાં જાય છે ત્યારે તેઓ બાળકો સાથે બેસીને તેમની સાથે ભોજન કરે છે. આમ કરવાથી વિદ્યાર્થીઓ અને તેના માતા પિતામાં મિડ ડે મિલની ગુણવત્તા અંગે મનમાં કોઇ શંકા રહેતી નથી.
અગાઉ પણ આપ્યો હતો આદેશ
અગાઉ 5 એપ્રિલના રોજ શિક્ષણ વિભાગે મુખ્ય શિક્ષકોને આદેશ આપ્યો હતો કે તેઓ બાળકોને પીરસવામાં આવે તે પહેલાં ઓછામાં ઓછા અડધા કલાક પહેલા રાંધેલું ભોજન ચાખે. મુખ્ય સચિવ સાથે 28 માર્ચે મળેલી બેઠકમાં મધ્યાહન ભોજનના નિયમિત દેખરેખ પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. મહત્વનું છે કે પહેલા ધોરણથી આઠમા ધોરણ સુધી સરકારી શાળાના વિદ્યાર્થીઓને મિડ ડે મિલ યોજના હેઠળ ભોજન આપવામાં આવે છે.