માઇક્રોસોફટની વિન્ડોઝ 10 ઓપરેટિંગ સિસ્ટમને લોન્ચ થયાને ચાર વર્ષ થઇ ગયા છે. તેમ છતાં દુનિયાભરમાં અને ખાસ કરીને ભારતમાં હજારો-લાખો લોકોના પીસી અને લેપટોપ હજુ પણ વિન્ડોઝ 7 ઓએસ પર ચાલે છે. જોકે વિન્ડોઝ 7ના યુઝર્સ માટે માઠા સમાચાર છે.
માઇક્રોસોફટે હવે વિન્ડોઝ 7ને તમામ પ્રકારનો સપોર્ટ આપવાનું 14 જાન્યુઆરી, 2020થી બંધ કરવાની જાહેરાત કરી દીધી છે. માઇક્રોસોફટે યુઝર્સને તે પહેલા લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ પર શીફટ થવા પણ સલાહ આપી છે. ડેલ અને એચપી જેવી ટોચની કંપનીઓ સાથે મળીને પણ લોકોને પરવડે તેવા પીસી અને લેપટોપ બનાવવાના પ્રોજેકટ પર પણ હવે માઇક્રોસોફટ કામ કરશે.
લેપટોપ અને પીસીમાં બાય બેક અને એકસચેન્જ ઓફર લાવવા પણ વિચારણા ચાલી રહી છે. વિન્ડોઝ 7ને માઇક્રોસોફટ સિકયોરિટી અને ટેકનિકલ અપડેટ સાવ બંધ કરી દેશે. જેના કારણે 7 ઓએસ માટે વાયરસ અને હેકિંગનું રિસ્ક ઘણું વધી જશે. એટલું જ નહીં માઇક્રોસોફટની કેટલીક એપ અને ફ્રી સોફટવેર પણ યોગ્ય રીતે કામ નહીં કરી શકે.
ભારતમાં ખાસ કરીને લાખો લોકો વિન્ડોઝ 7 ઓએસ હજુ પણ વાપરે છે.
આપણા દેશમાં પાઇરેટેડ ઓપરેટિંગ સિસ્ટમ અને સોફટવેરનો પણ ધૂમ ઉપયોગ થાય છે. માઇક્રોસોફટે જેન્યુઇન વિન્ડોઝ 7 હોય તેમના માટે વિન્ડોઝ 10નું અપડેટ ફ્રી આપ્યું હતું. તેથી પાઇરેટેડ ઓએસવાળા પીસી કે લેપટોપમાં હજુ પણ 7 ઓએસ ચાલે છે. આપણા ત્યાં વિન્ડોઝ 10નું પાઇરેટેડ વર્ઝન પણ લોકો યુઝ કરે છે. તેમને પણ 10ના અપડેટ મળી શકતા નથી. જોકે ભેજાબાજો અપડેટેડ વર્ઝનના પાઇરેટેડ વર્ઝન પણ તરત જ મુકી દે છે.