એક સમયે કોરોનાના કેસના મામલે સમગ્ર દેશમાં ચર્ચાસ્પદ બનેલા અમદાવાદમાં હવે સતત કેસ ઘટી રહ્યા છે. કોરોનાનો મૃત્યુઆંક પણ ઘટી રહ્યો હોઇ નાગરિકો કંઇક અંશે રાહત અનુભવી રહ્યા છે, જોકે મધ્ય ઝોન સહિતના પૂર્વ અમદાવાદમાં કોરોનાનો પ્રકોપ ઓછો થયો છે. તો પશ્ચિમ અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતું જાય છે, જેના કારણે તંત્રે હવે પશ્ચિમ અમદાવાદ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તંત્રની માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયાને જાહેર કરવાની નવી નીતિ મુજબ હવે દરરોજ સમગ્ર શહેરના ઝોનદીઠ અને વોર્ડદીઠ કેસની સમીક્ષા થઇ રહી છે.
લવ અગ્રવાલના નેતૃત્વ હેઠળની હેલ્થ ટીમની ફટકાર બાદ તંત્ર એલર્ટ
અનલૉક-2ના પ્રારંભમાં શહેરમાં માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયા 40થી વધીને 127 થયા
બોપલ-ઘુમામાં પણ વધતા કેસ
શહેરમાં હવે રોજ માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયા નક્કી થશે. આ સમીક્ષાના આધારે કેસની સંખ્યાની વધઘટના આધારે નવા માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયા જાહેર કરાય છે અથવા તો હટાવી લેવાય છે. એટલે કે હવે શહેરમાં રોજ માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયા નક્કી થાય તેવી શક્યતા છે. 6 જૂલાઇએ અમદાવાદ શહેરના અગાઉ જાહેર કરવામાં આવેલ 110 માઈક્રો કન્ટેન્મેન્ટ વિસ્તાર ઉપરાંત 17 નવા વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
અમદાવાદ શહેરના અગાઉ જાહેર કરવામાં આવેલ ૧૧૦ માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર ઉપરાંત નીચે જણાવેલ ૧૭ નવા વિસ્તારોને માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવે છે.#AmdavadAMCpic.twitter.com/7c7aPfdem4
— Amdavad Municipal Corporation (@AmdavadAMC) July 6, 2020
અગાઉ મ્યુનિસિપલ સત્તાવાળાઓ જે તે વોર્ડના જે તે એરિયામાં કોરોનાના બે-પાંચ કેસ મળે તો પણ રાતોરાત પતરાં લગાવી અને પોલીસ બેસાડીને માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયા જાહેર કરતા હતા. એક વખત પતરાં લગાવાયા બાદ તે એરિયાને દિવસો સુધી સત્તાધીશો ભૂલી જતા હતા અને માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયાના રહેવાસીઓ તોબા પોકારી ઊઠતા હતા.
તાજેતરમાં વસ્ત્રાપુરના સેટેલાઇટ સેન્ટરને માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયા જાહેર કરાતાં આ બાબતે હાઇકોર્ટમાં PIL કરાઇ હતી. સેટેલાઇટ સેન્ટરમાં એક પણ કેસ ન હોવા છતાં તંત્રના આડેધડ નિર્ણયથી લોકો નોકરી-ધંધો કરી શકતા નથી તેવી હાઇકોર્ટમાં રજૂઆત કરાઇ હતી. જોધપુરના સચીન ટાવરના મામલે તો લવ અગ્રવાલના નેતૃત્વ હેઠળ આવેલી કેન્દ્રની હેલ્થ ટીમે મ્યુનિ. હેલ્થ વિભાગનો જાહેરમાં ઊધડો લીધો હતો, જોકે કોરોના મહામારીના કપરાકાળમાં ઇન્ચાર્જ વડાના હવાલે ચાલતો હેલ્થ વિભાગ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાને નાથવાની કામગીરીમાં પણ નબળો પુરવાર થયો છે તેમ છતાં અગમ્ય કારણસર તંત્ર હેલ્થ વિભાગના ઇન્ચાર્જ વડા વગેરે ઉચ્ચ અધિકારીઓને છાવરી રહ્યું છે.
કેન્દ્રની હેલ્થ ટીમની ફટકાર બાદ તંત્ર કુંભકર્ણની નિદ્રામાંથી જાગ્યું છે અને અનલોક-રની શરૂઆતથી જ હવે સત્તાવાળાઓ દરરોજ સાંજે શહેરના તમામ માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયામાં કોરોનાની સ્થિતિના મામલે ઝીણવટભરી સમીક્ષા કરી રહ્યા છે. ગત તા.26 જૂનની કેન્દ્રની હેલ્થ ટીમ સમક્ષ સેટેલાઇટના સચીન ટાવરમાં પહેલો કેસ કયારે નોંધાયો તેવી અને તેને માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયા કયારે જાહેર કરાયો તેવા પ્રશ્નનો ઉત્તર આપવામાં હેલ્થ વિભાગ નિષ્ફળ નીવડતાં દૂધનો દાઝ્યો છાશ પણ ફૂંકી-ફૂંકીને પીએ તેવી કફોડી હાલતમાં તંત્ર મુકાયું હોઇ છેલ્લા પાંચ દિવસથી જે તે એરિયાના કોરોના કેસની વધઘટના આધારે માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયા જાહેર થઇ રહ્યા છે, જોકે નઘરોળ તંત્ર હવે જાગ્યું હોઇ માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયા હેઠળના લોકો અમુક અંશે રાહત અનુભવી રહ્યા છે.
1 જુલાઇએ શહેરમાં કુલ 40 માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયા હતા જે આજે 127 પર પહોંચ્યા
અનલોક-રના પ્રારંભે એટલે કે ગત તા.1 જુલાઇએ શહેરમાં કુલ 40 માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયા અમલમાં હતા તે દિવસે સત્તાવાળાઓ દ્વારા નવ એરિયામાં માઇક્રો કન્ટેન્મેન્ટ દૂર કરાયું હતું, પરંતુ અન્ય વિસ્તારમાં કોરોનાના કેસમાં ઉછાળો આવતાં નવા 15 એરિયામાં માઇક્રો કન્ટેન્મેન્ટ જાહેર કરાયું હતું. ગત તા.2 જુલાઇએ કુલ 46 માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયામાં વધુ 14 નવા એરિયાનો સમાવેશ કરાયો હતો એટલે શહેરમાં કુલ 60 માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયા થયા હતા, જ્યારે ગત તા.4 જુલાઇએ બોડકદેવના ગેલેકસી ટાવરના 142 ઘરના 496 લોકો સહિત બે માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયાને દૂર કરીને નવા 26 એરિયાનો ઉમેરો કર્યો હતો. અમદાવાદના 84 માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયા પૈકી ગત તા.4 જુલાઇએ સાબરમતીના ધર્મનગરની જગાભાઇની ચાલી સહિત કુલ ચાર એરિયાને માઇક્રો કન્ટેન્મેન્ટમુકત જાહેર કરાયા હતા તેમ છતાં તંત્રની સમીક્ષાના આધારે કોરોનાના કેસ વધતા જતા હોઇ નવા 19 એરિયાને માઇક્રો કન્ટેન્મેન્ટ હેઠળ મુકાયા હતા.
જ્યારે મ્યુનિ. સત્તાવાળાઓએ કોરોનાના કેસની સમીક્ષા કરીને આજે નવા 17 વિસ્તારમાં માઇક્રો કન્ટેન્મેન્ટ અમલમાં મૂકતાં હવે શહેરમાં કુલ 127 માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયા થયા છે. સત્તાવાળાઓએ છેલ્લા પાંચ દિવસમાં 70 નવા માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયા જાહેર કરતાં કોરોનાના કેસ ઘટવાના બદલે પશ્ચિમ અમદાવાદમાં કોરોનાની સ્થિતિ ભયજનક બની છે તેવું બિહામણું ચિત્ર ઉપસ્યું છે.
દરમિયાન ગઇકાલે નઘરોળ તંત્રે દિક્ષણ પશ્ચિમના રબારીવાસ અને અનામિકા ફલેટમાં માઇક્રો કન્ટેન્મેન્ટ તો જાહેર કર્યું છે, પરંતુ આ બંને વિસ્તાર કયા વોર્ડના છે તે દર્શાવ્યું ન હોઇ મ્યુનિ. વર્તુળોમાં ભારે હાસ્યાસ્પદ બન્યું છે. આ વિસ્તારને હવે કયાં શોધવા તેવો પ્રશ્ન પુછાઇ રહ્યો છે. બીજી તરફ બોપલ-ઘુમામાં પણ કોરોનાનું સંક્રમણ વધ્યું હોઇ આજથી ત્યાં ધનવંતરિ રથ દોડતા કરાશે તેવું જાણવા મળ્યું છે.