ખેડૂતો દ્વારા આપવામાં આવેલ ભારત બંધની જાહેરાતના પગલે કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા દરેક રાજ્યોને નિર્દેશ આપવામાં આવ્યા છે.
આવતીકાલે ભારત બંધનું એલાન
ઘણા બધા રાજ્યોમાં પાર્ટીઓ અને સંસ્થાઓએ કર્યું બંધનું સમર્થન
કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે રાજ્યોને કેન્દ્રએ આપ્યા નિર્દેશ
રાજ્યોને કાયદો વ્યવસ્થા સંભાળવા નિર્દેશ
ખેડૂતો દ્વારા કરવામાં આવેલ ભારત બંધના એલાનના મુદ્દે કેન્દ્ર સરકાર અલર્ટ થઇ ગઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા આજે દરેક રાજ્યો માટે એડવાઈઝરી આપવામાં અવી છે. સૂત્રો અનુસાર ગૃહમંત્રાલયે દરેક રાજ્યોને 'બંધ' શાંતિપૂર્ણ થાય તે માટેના પગલાં લેવા કહ્યું છે તથા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચેતવણી પણ આપવામાં આવી છે.
આવતીકાલે ભારત બંધ
નોંધનીય છે સરકાર સાથે કરવામાં આવેલ વાતચીત નિષ્ફળ રહ્યા બાદ ખેડૂતોએ આઠમી ડિસેમ્બરે ભારત બંધનું એલાન કર્યું છે. ખેડૂતોના આ બંધના એલાનને દેશના વિવિધ રાજ્યોના વિવિધ સંગઠનો દ્વારા સમર્થન પ્રાપ્ત થઇ રહ્યું છે ત્યારે દેશમાં કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કેન્દ્ર સરકારે દરેક રાજ્યોને નિર્દેશ આપ્યા હોવાનું મીડિયા અહેવાલોના સૂત્રો દ્વારા સામે આવ્યું છે.
શું છે માંગ
કેન્દ્ર સરકાર દ્વારા કૃષિને લગતા ત્રણ કાયદા બનાવવામાં આવ્યા છે જેનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતો સાથે સરકારે વિવિધ સ્તરની બેઠક પણ કરી. આ બેઠકમાં ખેડૂતોએ સરકારને ત્રણેય કાયદા પાછા લઇ લેવા કહ્યું જેના માટે સરકાર તૈયાર નથી. ખેડૂતોના આંદોલન પર સરકારનું કહેવું છે કે તે વાતચીત માટે તૈયાર છે અને સમાધાન આવી જશે. જોકે ન્યૂઝ એજન્સીના સૂત્રો અનુસાર સરકાર ખેડૂતો સાથે બેસીને કાયદામાં ફેરફાર કરવા માટે પણ તૈયાર છે પરંતુ ખેડૂતો સરકાર કાયદા પાછા ન લે ત્યાં સુધી દિલ્હી બોર્ડરથી હટીશું નહીં તેવી ચીમકી ઉચ્ચારી રહ્યા છે.