દેશમાં 3 મે સુધી લૉકડાઉન છે ત્યારે હાલમાં કેન્દ્ર સરકાર તરફથી મોટા સમાચાર આવી રહ્યાં છે. કેન્દ્ર સરકારે શ્રમિકો સહિત ફસાયેલા વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ જેવા લોકોને પોતાના વતન જવા મંજૂરી આપી દીધી છે. તમામ લોકોને બસ દ્વારા પોતાના વતન પહોંચાડાશે. આ ઉપરાંત તમામનું સ્ક્રિનિંગ પણ કરવામાં આવશે.
કેન્દ્ર સરકારે શ્રમિકોને વતનમાં જવા માટેની આપી મંજૂરી
કોરોના વાયરસના સંકટ સામે લડવા માટે દેશમાં લૉકડાઉન ચાલી રહ્યું છે. લૉકડાઉનના કારણે દેશમાં કેટલાક લોકો બીજી જગ્યાઓ પર ફંસાયા છે. જેમાં પ્રવાસી મજૂર, તીર્થયાત્રી, પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓ સામેલ છે. ત્યારે ગૃહ મંત્રાલયે ફંસાયેલા લોકો માટે નવી ગાઇડલાઇન બહાર પાડી છે.
ગૃહમંત્રાલય દ્વારા આજે આદેશ જાહેર કરીને આ સંદર્ભે ગાઈડલાઈન પણ બહાર પડાઈ છે.
કેન્દ્ર સરકારે આ ગાઈડનલાઈનમાં કહ્યું છે કે તમામ રાજ્યોએ લોકોને મોકલવા અને આવવા દેવા માટે નોડલ ઓથોરિટી અને સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ બનાવવા પડશે. આ માટે રજિસ્ટર પણ મેઇન્ટેઈન કરવું પડશે.
જો સમૂહમાં લોકો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માંગતા હોય તો આંતરિક સમજૂતીથી રોડ માર્ગે મોકલવાના રહેશે.
દરેક વ્યક્તિનું સ્ક્રિનિંગ કરવામાં આવશે અને જો કોઈ લક્ષણો નહીં જણાય તો જ તેને જવા દેવાની મંજૂરી અપાશે
ફસાયેલા લોકોને સ્થળાંતરિત કરવા માટે બસોનો ઉપયોગ કરાશે. બસને વ્યવસ્થિત સેનેટાઈઝ કરવી પડશે અને સીટિંગ વ્યવસ્થામાં ડિસ્ટન્સિંગના તમામ નિયમોનું પાલન કરવું પડશે.
આગમન સમયે રાજ્યના સ્થાનિક તંત્રએ વ્યક્તિની તપાસ કરવાની રહેશે અને જો હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર ન જણાય તો તેમને હોમ ક્વૉરન્ટાઈન રાખવા પડશે. તેમની હેલ્થ પર સતત વૉચ રાખવી પડશે અને આ માટે આરોગ્ય સેતુનો ઉપયોગ કરવાનો રહેશે.
બિહાર, ઝારખંડ, મહારાષ્ટ્ર જેવા કેટલાક રાજ્યોની માંગ બાદ ગૃહ મંત્રાલયે અલગ અલગ સ્થળો પર ફંસાયેલા પ્રવાસી મજૂરો, તીર્થયાત્રીઓ, પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓની અવરજવર માટે નવી ગાઇડલાઇન તૈયાર કરી છે. નવી ગાઇડલાઇન અનુસાર તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પોતાના નોડલ અધિકારી નિયુક્ત કરવા અને આવા ફંસાયેલા લોકોને પરત મોકલવા અને લાવવા માટે એક SOPની તૈનાતી કરવી પડશે.