ખરાબ વ્યવહાર અને યૌન શોષણના આરોપોમાં ઘેરાયેલા કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી એમ.જે. અકબરે આખરે બુધવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. અકબર પર 20 મહિલાઓએ ખરાબ વ્યવહાર અથવા યૌનશોષણનો આરોપ લગાવ્યો હતો.
આ પહેલા રવિવારે પોતાના સત્તાવાર વિદેશ પ્રવાસથી દેશમાં પરત ફરેલા અકબરે નિવેદન જારી કરીને પોતાના પર લાગેલા યૌન શોષણના આરોપ પર પ્રતિક્રિયા આપી હતી. અકબરે આરોપ લગાવનારી પત્રકાર પ્રિયા રમાની વિરુદ્ઘ દિલ્હીની એક અદાલતમાં માનહાનિનો દાવો કર્યો હતો.
દૈનિક સમાચાર પત્ર ‘ધ ટેલિગ્રાફ’ અને પત્રિકા ‘સન્ડે’ના સ્થાપક સંપાદક રહેલા અકબરે 1989માં રાજનીતિમાં આવતા પહેલા મીડિયામાં એક મોટી હસ્તીના રૂપમાં જાણીતા હતા. તેમણે કોંગ્રેસની ટિકિટ પર લોકસભા ચૂંટણી લડી હતી અને સાંસદ બન્યા હતા. અકબર 2014ની લોકસભા ચૂંટણી પહેલા બીજેપીમાં શામેલ થયા. મધ્ય પ્રદેશથી રાજ્યસભા સદસ્ય અકબરે જૂલાઇ 2016માં વિદેશ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.
લ્લેખનીય છે કે કેન્દ્રિય મંત્રી એમ.જે.અકબરે પત્રકાર પ્રિયા રામાણી પર માનહાનિનો કેસ કર્યાના એક દિવસ બાદ 20 મહિલાના પત્રકારો પ્રિયાના સમર્થનમાં આવી હતી. 1990માં એશિયન એજમાં એમ.જે. અકબર સાથે કામ કરી ચૂકેલી 20 મહિલાઓએ એક નિવેદનમાં જણાવ્યુ કે ''માનહાનિના કેસની સુનાવણીમાં માનનીય કોર્ટ અમારામાંથી કેટલીક મહિલાઓ સાથે થયેલી જાતીય સતામણીના પુરાવા પણ ધ્યાનમાં લે. અરજીકર્તાએ અમારી સાથે કરેલી જાતીય સતામણીના કેટલાક સાક્ષીઓ પણ છે.''
સોશ્યલ મીડિયા પર શરૂ થયેલા #MeToo મૂવમેન્ટ અંતર્ગત મહિલાઓ જાતીય સતામણી સામે અવાજ ઉઠાવી રહી છે. પ્રિયા રામાણીએ એમ.જે.અકબર પર લગાવેલા જાતીય સતામણીના આરોપ પગલે એમ.જે. અકબરે સોમવારે પ્રિયા પર માનહાનિનો કેસ કર્યો છે.
મંગળવારે પૂર્વ પત્રકાર તુષિતા પટેલે એમ.જે. અકબરે પર આરોપ મૂકતા કહ્યુ કે તેમણે મને કામનું બહાનું કાઢીને પોતાના હોટલના રૂમમાં બોલાવી. જ્યારે હું પહોંચી ત્યારે તેઓ માત્ર અંડરવેયર દરવાજો ખોલવા આવ્યા હતા.1990ના શરૂઆતના વર્ષોની વાત છે જ્યારે હું 22 વર્ષની ટ્રેઈની હતી. તુષિતનો આરોપ છે કે જ્યારે તે હૈદરાબાદના એક ન્યૂઝપેપરમાં કામ કરતી હતી તે વખતે અકબરે 2 વખત તેનું શારીરિક શોષણ કર્યુ છે.