ગુજરાતમાં 15થી 20 જૂન વચ્ચે ચોમાસાનું આગમન થશે. કેરળમાં 3 જૂનથી ચોમાસાની શરૂઆત થશે, આગામી 5 દિવસ વાતાવરણ વાદળછાયું રહેશે
ચોમાસાના આગમન મામલે હવામાન વિભાગનું અનુમાન
રાજ્યમાં 15થી 20 જૂન સુધીમાં ચોમાસાનું આગમન થશે
કેરળમાં 3 જૂનથી ચોમાસાની શરૂઆત થશે
ચોમાસાના આગમનને લઇ હવામાન વિભાગે વધુ એક અનુમાન આપ્યું છે. ગુજરાતમાં 15થી 20 જૂન વચ્ચે ચોમાસાનું આગમન થશે. કેરળમાં 3 જૂનથી ચોમાસાની શરૂઆત થશે. આગામી 5 દિવસ વાતાવરણ વાદળછાયું રહેશે. 4 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. જેમાં વલસાડ, નવસારી, ડાંગમાં વરસાદ પડી શકે છે. તો સૌરાષ્ટ્રમાં પણ 3-4 જૂને વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર, રાજકોટમાં વરસાદની આગાહી છે. હવામાન નિષ્ણાતોએ જણાવ્યું કે, તાપમાનમાં કોઈ મોટો ફરક જોવા મળતો નથી. જો કે ઉકળાટ જેવું વાતાવરણ પણ જોવા મળશે. અમદાવાદમાં વાતાવરણ વાદળછાયું રહેશે. હવા પણ સામાન્ય રીતે ચાલશે.
કેરળમાં વરસાદની આગાહી
સાઉથ વેસ્ટ મોનસુન 3 જૂને કેરળ પહોંચશે. જેને લઈ 2 અને 3 જૂનના દિવસે કેરળમાં ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. દિલ્હીમાં ગઈકાલે વાતાવરણમાં ફેરફાર સાથે વરસાદ પડ્યો હતો. તો આગામી 2થી 3 દિવસ દિલ્હીમાં આવું જ વાતાવરણ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના સિનીયર વૈજ્ઞાનિક આર.કે જેનામણીના મત પ્રમાણે એક પછી એક આવેલા વાવાઝોડાના કારણે આ વર્ષે અનેક હીટવેવ જોવા મળશે નહીં.
વાવાઝોડાની વરસાદ પર અસર
તૌક્તે અને યાસ વાવઝોડાના કારણે મધ્યપ્રદેશ, યુપી, દિલ્હી સહિત દેશના અનેક રાજ્યમાં મે મહિનામાં વરસાદ રહ્યો હતો. અને વાદળછાયું વાતાવરણ હોવાના કારણે તાપમાન પણ 40 ડિગ્રીથી નીચે રહ્યું છે. તો ગઈકાલે દેશની રાજધાની દિલ્હીના અનેક વિસ્તારમાં ડમરીઓ ઉડી હતી. અને આજે ન્યુનતમ તાપમાન સામાન્યથી ત્રણ ડિગ્રી ઓછું રહીને 25 ડિગ્રી સે. નોંધાયું હતું.
ગત 27 મેના દિવસે હવામાન વિભાગે 31 મે એટલે આજે વરસાદ કેરળ પહોંચશે. તેવું અનુમાન જાહેર કર્યું હતું. અને સામાન્ય રીતે વરસાદના આગમની તારીખ 1 જૂન હોય છે. તો હવામાન વિભાગે કહ્યું કે, આ વર્ષે વરસાદ સામાન્ય રહેવાનું અનુમાન છે. મહત્વનું છે કે, જૂનથી સપ્ટેમ્બર વચ્ચે ચોમાસામાં ચોખા, મકાઈ અને સોયાબીન સહિત કપાસના પાકની વાવણી થતી હોય છે.