ગુજરાતમાં આજે નર્મદા, અરવલ્લી, તેમજ અમદાવાદના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા.
ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી
આગામી 4 દિવસ કેટલાક જિલ્લામાં હળવો વરસાદ રહેશે
હાલમાં મહારાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થશે: અંબાલાલ
વરસાદને લઇ હવામાન વિભાગની આગાહી મુજબ 10 દિવસના વિરામ બાદ નર્મદા જિલ્લામાં વરસાદની એન્ટ્રી થઈ હતી. આજે બુધવારની મોડી રાત્રે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ છે. અરવલ્લીના ધનસુરા, માલપુર મેધરજના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે.ગુજરાતમાં અતિવૃષ્ટિથી પાક નુકસાની મામલે કૃષિ વિભાગે 8 જિલ્લામાં સરવેની કામગીરી પૂર્ણ કરી છે. કચ્છ જિલ્લામાં હજુ પણ કામગીરી ચાલી રહી છે. રાજ્યના 4000 ગામમાં ભારે વરસાદને કારણે પાક નુકસાની થઈ હતી. બુધવાર સાંજે કૃષિમંત્રી સરવે બાબતે રિવ્યુ બેઠક પણ યોજાઇ હતી. મહત્વનું છે કે 9 જિલ્લાના કલેક્ટર રિપોર્ટ સોંપશે ત્યારબાદ રાહત પેકેજ જાહેર થશે
હવામાન વિભાગની આગાહી
આપને જણાવી દઈએ કે 12 જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. દમણ,દાદરનગર હવેલી, સાબરકાંઠા,કચ્છ અને દિવમાં પણ વરસાદ વરસસે તેવી સંભાવના છે. 21 જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં રહેશે વરસાદ, આગામી 4 રાજયના વિવિધ જિલ્લાઓમાં ફક્ત હળવાથી મઘ્યમ વરસાદ ૫ડવાની સંભાવના છે જ્યારે ઓગસ્ટ માસ દરમ્યાન ભારે વરસાદની સંભાવના નહિવત છે.
રાજ્યમાં સરેરાશ 70% વરસાદ નોંધાયો઼
રાજ્યમાં અત્યાર સુધી 70 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ સિઝનનો 118 ટકા વરસાદ, જ્યારે દક્ષિણ ગુજરાતમાં 83 ટકા વરસાદ થયો છે. સાથે પૂર્વ મધ્ય ગુજરાતમાં 62 ટકા અને સૌરાષ્ટ્રમાં પણ સિઝનનો 62 ટકા વરસાદ થયો છે. ઉપરાંત ઉત્તર ગુજરાતમાં સિઝનનો 57 ટકા વરસાદ થયો છે. જેને કારણે ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 26% પાણી, જ્યારે મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 44.38% પાણી ભરાયા છે. સાથે દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 79.93% પાણી, કચ્છના 20 જળાશયોમાં 70.34% પાણી અને સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 55.49% પાણી ભરાયાં છે.
અંબાલાલની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટલે આગાહી કરતાં જણાવ્યું હતું કે, ઓગસ્ટની શરૂઆતમાં 3 થી 4 તારીખ સુધી ભારે વરસાદ શરૂ થશે. મહારાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થશે. વલસાડ, નવસારી, સુરતમાં વરસાદથી તાપીના જળસ્તર વધી શકે છે. આ સાથે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. જેને લઈ મધ્ય, ઉત્તર ગુજરાતના વરસાદથી સાબરમતીનું જળસ્તર વધશે. તો વળી મધ્યપ્રદેશમાં વરસાદને કારણે નર્મદાના જળસ્તર વધશે તેવા સંકેત પણ આપ્યા છે.
70.24 લાખ હેક્ટર ખરીફ પાકનું વાવેતર
રાજ્યમાં ચાલુ વર્ષે અંદાજિત ૭૦.૨૪ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થયું છે. જ્યારે ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં હાલ ખેડૂતો દ્વારા વાવણી ચાલું છે. સરદાર સરોવર જળાશયમાં ૨૬૨૪૧૨ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૭૮.૫૫% છે. જ્યારે રાજયનાં ૨૦૬ જળાશયોમાં ૩૩૯૦૨૭ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહ શકિતના ૬૦.૭૪% છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ –૫૩, એલર્ટ ૫ર કુલ-૦૯ તેમજ વોર્નીગ ૫ર કુલ -૧૭ જળાશય છે. તેમણે કહ્યું હતું કે રાજયમાં હાલ કુલ NDRFની ૧૩ ટીમો તહેનાત કરાઇ છે. જેમાં અમરેલી-૧, બનાસકાંઠા-૧, ભાવનગર-૧, દેવભૂમી દ્વારકા-૧, ગીરસોમનાથ-૧, જામનગર-૧, જૂનાગઢ-૧, કચ્છ-૧, નવસારી-૨, રાજકોટ-૧, સુરત-૧ અને વલસાડમાં -૧ ટીમનો સમાવેશ થાય છે. આમ કુલ -૧૩ NDRF ની ટીમો ડીપ્લોય કરવામાં આવેલ છે.