દિવાળાને લઇને અમદાવાદની બજારમાં ઘરાકીની મોસમ જામી છે ત્યારે પોલીસે ચોર બનીને લોકોને ગઠીયાઓથી સજાગ રહેવા અપીલ કરી હતી.
અમદાવાદમાં દિવાળી પહેલા પોલીસનું અભિયાન
પોલીસે ચોર બની લોકોને કર્યા જાગૃત
પોલીસે બાળકનું અપહરણ કર્યું છતાં લોકોને ન પડી ખબર
અમદાવાદમાં દિવાળીના તહેવારોને લઇને પોલીસ વિભાગે ખાસ ચેકિંગ હાથ ધર્યું છે. દિવાળાને લઇને બજારમાં મોટાપાયે ગ્રાહકો ખરીદી માટે નીકળતા હોય છે. જેનો લાભ લઇને ગઠીયાઑ પણ સક્રિય થતાં હોય છે. ત્યારે પર્સ, મોબાઈલ અને રોકડ બાબતે ગ્રાહકોની આંખ ઉઘાડવા અમદાવાદમાં પોલીસ દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. અમદાવાદમાં દિવાળીના તહેવારમાં પોલીસ દ્વારા ગ્રાહકોને જાગૃત કરવા અનોખુ અભિયાન હાથ ધરી ખુદ પોલીસ જવાનો ચોર બન્યા હતા અને લોકોના ખિસ્સામાથી વસ્તુંઑ સેરવી લીધી હતી.
પોલીસે ચોર બનીને લોકોને કર્યા જાગૃત
જેમાં લાલ દરવાજા ખાતે પોલીસ કર્મચારીઓએ જ ખિસ્સાકાતરુ બન્યા હતા અને કર્મચારીઑએ પર્સ, મોબાઈલ અને કિંમતી વસ્તુઓ ચોરી લીધી હતી. જેમાં ખરીદીમાં મશગુલ લોકોએ બેદરકારી દાખવી હોવાના કિસ્સા સામે આવ્યા હતા. એટલું જ નહિ પોલીસ કર્મીઑ બાળકનું અપહરણ કરીને લઈ ગયા હતા. તેમ છતાં ખરીદીમાં ખોવાયેલા લોકેને જાણ થઇ ન હતી. જેને લઇને પોલીસે બેદરકાર લોકોને બેદરકારીનું ભાન કરાવ્યું હતું.
પોલીસે અભિયાન ચલાવી લોકોને બેદરકારીનું કરાવ્યું ભાન
ઉલ્લેખનીય છે કે દિવાળીના તહેવારમાં લાલ દરવાજા ખાતે અમદાવાદ ઉપરાંત રાજ્યભરમાંથી હજારોની સંખ્યામાં લોકો ખરીદી માટે ઉમટી પડે છે. આ દરમ્યાન અનેક ખિસ્સા કાતરુઓ ભીડનો લાભ લઇને ગ્રાહકોની પાકિટ તેમજ કિંમતી ચીજવસ્તુઓની ચોરી કરે છે. જેમાં સફળ પણ થતાં હોય છે ત્યારે પોલીસના કર્મચારીઓએ આવા બનાવો અટકાવવા ગ્રાહકોને સાવધાન રહેવા અપીલ કરી છે.