કેરળમાં ચમયાવિલક્કૂ ઉત્સવનું દર વર્ષે આયોજન થાય છે, જેમાં પુરુષો સ્ત્રીનું રૂપ ધારણ કરીને પૂજા કરે છે. જાણો આ વિષે પાછળની માન્યતા શું છે.
ચમયાવિલક્કૂ ઉત્સવમાં પુરુષો સ્ત્રી બનીને કરે છે પૂજા
કેરળમાં ઉજવવામાં આવે છે આ ઉત્સવ
કોટ્ટન્કુલન્ગાર શ્રી દેવી મંદિરમાં કરવામાં આવે છે આ પૂજા
આ ઉત્સવમાં પુરુષો સ્ત્રી બનીને કરે છે પૂજા
કેરળનાં કોલ્લમ જીલ્લામાં સ્થિત કોટ્ટન્કુલન્ગાર શ્રી દેવી મંદિરમાં દર વર્ષે યોજાતા 'ચમયાવિલક્કૂ ઉત્સવ' કદાચ દુનિયામાં એક માત્ર તહેવાર છે, જ્યાં પુરુષો પારંપરિક મહિલાઓના પોશાકમાં તૈયાર થાય છે અને પૂજા અર્ચના કરે છે. બે વર્ષમાં આ પહેલી વાર બન્યું કે જ્યારે જનતાની ભાગીદારીથી ચમયાવિલક્કૂ ઉત્સવ આયોજિત કરવામાં આવ્યો હતો. કોરોના મહામારીને કારણે વર્ષ 2020 અને 2021માં વાર્ષિક ઉત્સવ રદ્દ કરવામાં આવ્યો હતો.
રિપોર્ટ અનુસાર, આ વર્ષે ભક્તોની સંખ્યા કોરોના કાળની પહેલાની તુલનામાં ઓછી હતી, પરંતુ અલગ અલગ ઉંમરનાં ઘણા પુરુષોએ મહિલાઓનાં રૂપમાં આ ઉત્સવમાં ભાગ લીધો હતો. મંદિરનાં અધિકારીઓ અનુસાર, પ્રી- કોવિડ સમયમાં ભાગ લેનાર પુરુષોની સંખ્યા 3000-4000 સુધીની હતી.
આ અવસર પર પુરુષ મહિલાઓની જેમ જ સાડી અને ઘરેણા પહેરે છે. સામાન્ય રીતે મંદિર પરિસરમાં જ પરિવારનાં અન્ય સદસ્યો કે મેકઅપ આર્ટીસ્ટ જ પુરુષોને તૈયાર કરે છે.
પૂજા ક્યા પ્રકારે કરવામાં આવે છે?
તૈયાર થયા બાદ યાત્રા કાઢવામાં આવે છે, જેમાં પુરુષો હાથમાં દીવડો રાખે છે. જણાવી દઈએ કે ચમયાવિલક્કૂનો અર્થ છે શ્રુંગાર પ્રકાશ એટલે કે પાંચ બત્તીથી સળગાવવામાં આવેલ દિપક.
પ્રાચીન માન્યતાઓ
એવી માન્યતા છે કે મહિલાઓનું રૂપ ધારણ કરીને પૂજા કરવાથી પુરુષોને નોકરી, ધન વગેરેની પ્રાપ્તિ થાય છે એટલે કે જે ઈચ્છા હશે, તે પૂર્ણ થશે. આ પ્રાકારના ઉત્સવ પાછળ ઘણી સ્થાનીક લોક કથાઓ પણ ફેમસ છે. એક લોક કથા અનુસાર, એક વાર અમુક ભરવાડોએ એક નારીયળને જંગલમાંથી મળેલા પત્થર મારીને તોડવાની કોશિશ કરી હતી, પરંતુ પત્થરથી લોહીનાં ટીપા ટપકવા લાગ્યા. તેઓ ડરી ગયા અને ગામવાસીઓને આ વિષે જણાવ્યું.
ત્યાર બાદ સ્થાનિક લોકોએ જ્યોતિષોનો સંપર્ક કર્યો હતો. જ્યોતિષોએ કહ્યું કે પત્થરમાં વનદુર્ગાની શક્તિઓ છે અને મંદિરના નિર્માણ બાદ તરત જ પૂજા શરુ કરવી જોઈએ. એટલા માટે ગામવાસીઓએ તે જગ્યાએ એક મંદિરનું નિર્માણ કર્યું હતું.
ત્યારથી માત્ર યુવતીઓને જ અહી ફૂલોની માળા અને દિપક મુકવાની પરવાનગી હતી. પછી સ્થાનિક ગાય ચરાવનાર પુરુષો મહિલાઓ અને છોકરીઓનું રૂપ ધારણ કરીને મંદિરમાં પૂજા કરવા લાગ્યા. આ પ્રકારે પુરુષો તથા છોકરાઓને મહિલાઓ અને છોકરીઓનાં રૂપમાં તૈયાર કરવાની પરંપરા શરુ થઇ હતી.