ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતી કાલથી ચાર મેચની ટેસ્ટ શ્રેણીનો પ્રારંભ થઈ રહ્યો છે.
આવતી કાલે પ્રથમ ટેસ્ટ એડિલેડમાં ભારતીય સમય પ્રમાણે સવારે ૯.૩૦ વાગ્યાથી ડે-નાઇડ ફોર્મેટમાં શરૂ થશે. આજે અહીં એક જૂની યાદ તાજી કરીએ. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે એક યાદગાર ટેસ્ટ મેચ ૧૯૭૭માં મેલબર્નમાં રમાઈ હતી, જ્યારે ભારતે ઓસ્ટ્રેલિયાને ૨૨૨ રનના મોટા અંતરથી પરાજય આપ્યો હતો.
ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભારતે પ્રથમ ટેસ્ટ જીત ૧૯૭૭માં મેળવી હતી
એ ઐતિહાસિક જીત વખતે બિશનસિંહ બેદી ભારતના કેપ્ટન હતા. એ ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભારતનો પ્રથમ વિજય હતો. જોકે ભારતે પહેલી વાર ૧૯૪૭-૪૮માં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ ખેડ્યો હતો, જ્યારે લાલા અમરનાથ ભારતીય ટીમનું નેતૃત્વ સંભાળતા હતા અને ઓસ્ટ્રેલિયનના કેપ્ટન સર ડોનાલ્ડ બ્રેડમેન હતા.
ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સ ભારતે ૨૧૩ રનમાં સમેટી લીધી
૧૯૭૭માં પાંચ ટેસ્ટની શ્રેણીમાં ૦-૨થી પાછળ રહેલી ભારતીય ટીમના કેપ્ટન બિશનસિંહ બેદીએ ત્રીજી ટેસ્ટમાં ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. ભારતના ઓપનરો સુનીલ ગાવસ્કર અને ચેતન ચૌહાણ ખાતું પણ ખોલાવી શક્યા નહોતા. મોહીન્દર અમરનાથ (૭૨), ગુંડપ્પા વિશ્વનાથ (૫૯) અને મધ્ય ક્રમના બેટ્સમેનોની કેટલીક ઉપયોગી ઇનિંગ્સની મદદથી ભારતે પ્રથમ ઇનિંગ્સમાં ૨૫૬ રન બનાવ્યા. જોકે ભારતીય સ્પિનર ભાગવત ચંદ્રશેખરે છ વિકેટ ઝડપીને ભારતીય ટીમને મેચમાં વાપસી કરાવી અને ઓસ્ટ્રેલિયાનો વાવટો ૨૧૩ રનમાં સમેટાઈ ગયો.
બીજી ઇનિગ્સમાં ચંદ્રશેખર અને બિશનસિંહની કમાલ
ત્યાર બાદ ગાવસ્કરે બીજી ઇનિંગ્સમાં ૧૧૮ રનની શાનદાર ઇનિંગ્સ રમી અને વિશ્વનાથે વધુ એક અર્ધસદી (૫૪) ફટકારી. ભારતે ૩૪૩ રન બનાવ્યા અને ઓસ્ટ્રેલિયાને જીતવા માટે ૩૮૭ રનનું લક્ષ્ય મળ્યું. ચંદ્રશેખરે ફરી વાર કમાલ કરી. તેણે બીજી ઇનિંગ્સમાં પણ છ વિકેટ ઝડપી. બિશનસિંહ બેદીએ પણ ચાર વિકેટ ઝડપીને ચંદ્રશેખરને જોરદાર ટેકો આપ્યો.
ઓસ્ટ્રેલિયાની ટીમ પોતાની બીજી ઇનિંગ્સમાં માત્ર ૧૬૪ રન જ બનાવી શકી હતી અને ભારતે ૨૨૨ રને મોટી જીત હાંસલ કરી, જે ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભારતની પ્રથમ ટેસ્ટ જીત હતી. હવે આવતી કાલે ટીમ ઇન્ડિયા એડિલેડમાં ડે-નાઇટ ટેસ્ટ રમશે. વિરાટ કોહલી માટે આેસ્ટ્રેલિયા પ્રવાસની આ અંતિમ મેચ હશે, કારણ કે પ્રથમ ટેસ્ટ બાદ વિરાટ પેટરનિટી લીવ પર ભારત પાછો ફરી રહ્યો છે.