દેશની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર દેશ 'આઝાદી કા અમૃત મહોત્સવ' મનાવી રહ્યો છે ત્યારે VTV ન્યૂઝ આઝાદીની આ લાંબી લડાઇમાં સમાવેશ પામેલા મહત્વના સ્થળો અને સ્વતંત્ર સેનાનીઓને યાદ કરી રહ્યું છે.
આફ્રિકાથી પરત ફર્યા બાદ ગાંધીજીએ સ્થાપેલ પ્રથમ આશ્રમ
22મે 1915ના રોજ કોચરબ આશ્રમની કરાઇ હતી સ્થાપના
આઝાદીની લડાઇનું પ્રથમ પગઠિયું એટલે કોચરબ આશ્રમ
દેશમાં આઝાદીની વાત થતી હોય અને મહાત્મા ગાંધીજીનું નામ ન આવે તે કેવી રીતે બની શકે. આજે અમે આપને જણાવીશું ગાંધીજીની મોહનથી મહાત્મા બનવા સુધીની સફર. ગાંધીજી આફ્રિકાથી પરત ફર્યા બાદ આઝાદીની જે ચડવળ શરૂ કરી હતી તેમાં કોચરબ આશ્રમની મહત્વની ભૂમિકા રહીં હતી. એવું પણ કહી શકાય કે મહાત્મા ગાંધીએ આઝાદી માટે શરૂ કરેલી લડાઇનું પ્રથમ પગઠિયું એટલે પાલડીમાં આવેલો કોચરબ આશ્રમ........
અમદાવાદના ટ્રાફિકથી ધમધમતા રોડ પાલડી નજીક આવેલો કોચરબ આશ્રમ ભારતની આઝાદીની ચળવળમાં અનેરુ મહત્વ ધરાવે છે. મોટાભાગના લોકોને સાબરમતી આશ્રમ વિશે જાણકારી છે. પણ ગાંધીજીના કોચરબ આશ્રમ વિશે બહુ ઓછા લોકો જાણે છે. મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમ પહેલા કોચરબ આશ્રમની શરૂઆત કરી હતી. જ્યાં શરૂઆતમાં ગાંધીજી રહેતા હતા. લિંબડીથી આવેલા ગાંધીજીએ મિત્ર બેરિસ્ટર જીવનલાલ દેસાઇ પાસેથી અંદાજિત રૂ.2ના ભાડા પટ્ટે લિધો હતો. ગાંધીજીએ આશ્રમમાં 20 તારીખે વાસ્તુપૂજન કર્યુ હતુ અને 22 મે 1915ના કેટલાક અનુયાયીઓ સાથે અહીં વસ્યા હતા.જો કે આશ્રમની કાર્યવાહી અને આશ્રમજીવનની શરૂઆતની તારીખ સંદર્ભો મુજબ 25 મે ના નોંધાઇ છે. કોચરબ આશ્રમમાં મુકાયેલી તકતીમાં આશ્રમની સ્થાપનાની તારીખ 25 મે 1915 જ લખવામાં આવી છે.
આશ્રમની સ્થાપના થઇ ત્યારે તેનું નામ સત્યાગ્રહ આશ્રમ રખાયું હતું
આશ્રમની સ્થાપના થઇ ત્યારે તેનું નામ સત્યાગ્રહ આશ્રમ રખાયું હતું. સમયાંતરે ગાંધીજીએ સાબરમતી કિનારે આશ્રમની સ્થાપના કરી એ પણ સત્યાગ્રહ આશ્રમ હતો તેથી નામની ગુંચવણ ઉભી ન થાય તેથી પ્રથમ આશ્રમને કોચરબ સત્યાગ્રહ આશ્રમ નામ પણ મળ્યું. આ આશ્રમ ગાંધીજી દ્વારા શરૂ કરવામાં આવેલો પ્રથમ આશ્રમ હતો. વિદ્યાર્થીઓ અને નવયુવાનો માટે સત્યાગ્રહ, સ્વરોજગાર, સ્વદેશી ચીજોના હિમાયતી, મહિલાઓ અને અસ્પૃશ્યતાના ઉદ્ધાર માટેના કાર્યો, જાહેર શિક્ષણ - શૌચાલય અંગેના ગાંધીજીના વિચારોના અભ્યાસ માટેનું મુખ્ય કેન્દ્ર આશ્રમ હતું. આશ્રમનું નિર્માણ સાદગી, સમાનતા જેવા સિદ્ધાંતો પર થયું હતું અને હાલ કોચરબ આશ્રમનું સંચાલન ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા કરાઇ રહ્યું છે. શરૂઆતમાં માંડ 25 લોકો જ રહેતા હતા. તેમાંથી આશરે 17 જેટલા લોકો તો સાઉથ આફ્રિકાથી આવેલા તમિલો હતા.
કોચરબ સત્યાગ્રહ આશ્રમના ડિરેક્ટર પ્રવીણ પારેખ આશ્રમનું વર્ણન કરતા જણાવ્યુ હતું કે ગાંધીજી 1915માં સ્વદેશ પરત ફરી મુંબઇ ઉતરે છે ત્યારે રવિન્દ્રનાથ ટાગોરને ત્યાં થોડો સમય રોકાયા બાદ અમદાવાદ પરત ફરી મિત્ર જીવનભાઇ દેસાઇ પાસેથી આ બેરિસ્ટર ભવન ભાડે લે છે. કોચરબ આશ્રમ આઝાદીની લડત માટેનું એપી સેન્ટર કહેવાતું હતું. આ આશ્રમમાં સરદાર પટેલ, નહેરુ, વિનોબા ભાવે સહિતના મહાનુભાવો કોચરબ આશ્રમે આવતા અને આઝાદીની લડાઇ અંગે અનેક મહત્વની વાતો પણ અહીં કરતા હતા.
ગાંધીજીનો મૂળ આશ્રમ તો કોચરબ આશ્રમ હતો
કોચરબ આશ્રમના ડિરેક્ટર આશ્રમના પ્રસંગો વર્ણવતા જણાવે છે કે અમદાવાદના શ્રેષ્ઠી લોકોએ જ્યારે આ બંગલો ભાડે આપ્યો ત્યારે એક શરત રાખવામાં આવી હતી કે કોઇ અત્યંજ પરિવાર ન આવવું જોઇએ ત્યારે થોડા જ સમય બાદ આશ્રમમાં એક અત્યંજ પરિવાર દુદાભાઇ, દાનીબેન અને એક દિકરી લક્ષ્મી પ્રવેશ કરે છે જેના કારણે અનેક મુશ્કેલીઓ તે સમયે સામે આવી હતી અને આશ્રમ ચલાવવા માટે ગાંધીજીને મળતી આર્થિક સહાય પણ બંધ કરી દેવાઇ હતી પરંતુ તે સમયમાં પણ અસ્પૃશ્યતા નિવારણનું મોટું ઉદાહરણ પુરૂ પાડતા ગાંધીજીએ એ અત્યંજ પરિવારને આશ્રમમાં રાખ્યો હતો.તે સમયે અંબાલાલ શેઠ નામના એક શ્રેષ્ઠ વ્યક્તિએ રૂ.13 હજારનું દાન ગાંધીજીને આપ્યુ હતું. વિનોબા ભાવે પણ સંસાર ત્યાગવાનો વિચાર કરતા હતા ત્યાર બાદ અહીં આવીને 2 વર્ષ જેટલો સમય ગાંધીજી પાસે પસાર કર્યો હતો.
આજે પણ પાલડી ખાતેના કોચરબ આશ્રમમાં ગાંધીજીનું પ્રાર્થના સ્થળ, પ્રભાત ઘંટ, રસોડું, રૂમ અને ચરખો હયાત છે અને આ તમામ વસ્તુઓ મુલાકાતીઓ નિહાળી પણ શકે છે. ગાંધીજીએ કોચરબ આશ્રમ બાદ જ સાબરમતી આશ્રમની સ્થાપના કરી હતી. સાબરમતી આશ્રમથી ગાંધીજીએ દાંડીકૂચ કરી, પરંતુ, ગાંધીજીનો મૂળ આશ્રમ તો કોચરબ આશ્રમ હતો. અહીં રોજ 500 જેટલા મુલાકાતીઓ આવે છે પરંતુ ગાંધી આશ્રમના કારણે કોચરબ આશ્રમની મહત્વતા લોકોથી થોડે દૂર રહીં ગઇ હોય તેવું અહીં આવીને પ્રવાસીઓ પણ અનુભવે છે.