અમદાવાદના રાજપથ ક્લબના અમુક સભ્યો ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતા હોવાથી મેમ્બરશીપ રદ કરવા સુધીના પગલાં લેવા અંગે મેનેજમેન્ટ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.
ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતા મેમ્બર્સની રદ થશે મેમ્બરશીપ
ક્લબ મેનેજમેન્ટ દ્વારા તમામ મેમ્બરને SMSથી કરાઈ જાણ
મેઈન ગેટ પરથી રોંગ સાઈડમાં વાહન ચલાવવા મામલે થશે કાર્યવાહી
અમદાવાદમાં ટ્રાફીકના નિયમનું પાલન ન કરવાને લઇને છાશવારે અકસ્માતના બનાવો સામે આવે છે. જેને લઈને અમદાવાદના રાજપથ ક્લબના મેનેજમેન્ટે ક્લબના મેમ્બર સામે લાલ આંખ કરી છે. ક્લબના મેઈન ગેટ પરથી અનેક મેમ્બર્સ રોંગ સાઈડમાં આવતા હતા આ અંગે અનેક વખત સમજાવવા છતા સભ્યો સુધરવાનું નામ ન લેતા રાજપથ ક્લબના મેનેજમેન્ટ દ્વારા આકરો નિર્ણય કરવામાં આવ્યો છે અને ક્લબ મેનેજમેન્ટે તમામ ક્લબના મેમ્બરને SMSથી જાણ કરી મેઈન ગેટ પરથી રોંગ સાઈડ વાહન ચલાવવા મામલે કાર્યવાહી થશે અને સભ્ય પદ રદ કરવા સુધીના પગલાં લેવાની સૂચના આપી છે.
ક્લબ મેનેજમેન્ટ આકરા પાણીએ થયું
અમદાવાદ રાજપથ ક્લબના મેમ્બર્સ માટે ટ્રાફિક નિયમને લઈ મોટા સમાચાર આવ્યા છે. અમદાવાદના રાજપથ ક્લબના મેનેજમેન્ટ દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન ન કરતા મેમ્બરને નોટીસ ફટાકારમાં આવી છે. વારંવાર ક્લબ દ્વારા સૂચના આપવા છતા પણ રોંગ સાઈડમાં ક્લબ મેમ્બર્સ વાહન ચલવતા હોવાથી ક્લબ મેનેજમેન્ટ આકરા પાણીએ થયું છે. રોંગ સાઈડમાં વાહન ચલાવવાથી અકસ્માત થવાનો ભય રહે છે.
સભ્યોને SMSથી જાણ કરી દેવામાં આવી
રાજપથ ક્લબ પાસેથી સભ્યો રોંગ સાઈડમાં પસાર થતાં હોવાથી ભૂતકાળમાં અનેક વખત નાના-મોટા અકસ્માતના બનાવો સામે પણ આવ્યા છે. જેને અટકાવવા માટે રાજપથ ક્લબના મેમ્બર્સ રાજપથ ક્લબ પાસેથી રોંગ સાઈડમાં નિકળશે તેમની મેમ્બરશીપ રદ કરી દેવાની ચેતાવણી આપી છે. આ અંગે કલબના સબંધિત વિભાગ દ્વારા તમામ સભ્યને SMSથી જાણ પણ કરી દેવામાં આવી છે. નોંધનિય છે કે રોંગ સાઈડમાં વાહન ન ચલાવવા મામલે સભ્યોને સુચના આપવા છતાં સભ્યોએ આ સૂચના ન ગણકારી હોવાથી મેનેજમેન્ટ દ્વારા આકરું પગલું ઉઠાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.